માર્કેટના મેરીગોરાઉન્ડમાં રોકાણકારોએ રૂપિયા 3 લાખ કરોડ ગુમાવ્યા
મુંબઇ, 6 જાન્યુઆરી : આજે ભારતીય શેરમાર્કેટે ખાધેલી ઊંધા માથાની પછડાટમાં રોકાણકારોની કમર ભાંગી ગઇ છે. આજના મેરીગોરાઉન્ડમાં રોકાણકારોના રૂપિયા 3 લાખ કરોડનું પાણી થઇ ગયું છે. આજે શેરબજારમાં લિસ્ટેડ 2200 કંપનીઓના શેર્સ રેડ ઝોનમાં બંધ થયા હતા.
BSE સેન્સેક્સ ઉપરમાં 27698.93 અને નીચામાં 26937.06 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 854.86 પોઈન્ટ ઘટીને 26987.46 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8,327.85 અને 8,111.35 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 251.05 પોઈન્ટ ગગડીને 8127.35 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.95 ટકા અને 2.95 ટકા ઘટીને બંધ રહ્યા હતા.
આજે માર્કેટમાં ક્રુડના ભાવ છેલ્લા 5 વર્ષના તળિયે પ્રતિ બેરલ 50 ડોલર કરતા પણ ઓછા થઇ જતા ગ્લોબલ માર્કેટમાં ઉથલ પાથલ મચી ગઇ હતી. આ ઉપરાંત ગ્રીસ સંકટ અને યુરોઝોનના તણાવની અસર પણ માર્કેટ પર જોવા મળી હતી.
આજે સ્ટોક માર્કેટમાં 2253 શેર્સમાં ઘટાડો નોંધાયો હતો. 644 શેર્સમાં વધારો નોંધાયો હતો. જ્યારે 58 શેર્સમાં કોઇ પ્રકારની વધઘટ જોવા મળી ન હતી. આજે ક્રુડ 49.95 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું હતું. જો કે માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે ક્રુડના ભાવમાં ઘટાડો ભારતીય માર્કેટ માટે સારો છે.