18 નવેમ્બરથી કિસાન વિકાસ પત્ર રિલોન્ચ થશે
ભારત સરકાર મંગળવારથી કિસાન વિકાસ પત્ર (કેવીપી - KVP) ફરીથી રજૂ કરવા જઇ રહી છે. આ બચત યોજનામાં રોકવામાં આવેલું ધન આઠ વર્ષ અને ચાર મહિનામાં બમણું થઇ જશે. તેને ફરીથી શરૂ કરવાની માંગ ધણા સમયથી કરવામા્ં આવી રહી હતી.
આ અંગે નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું કે તેઓ નવેસરથી કેવીપી શરૂ કરશે. આ પત્રો રૂપિયા 1000, રૂપિયા 5000, રૂપિયા 10,000 અને રૂપિયા 50,000માં ઉપલબ્ધ હશે. તેમાં રોકાણની કોઇ ટોચની મર્યાદા નથી.
નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે શરૂઆતમાં કેવીપી સર્ટિફિકેટ ટપાલઘર મારફતે વેચવામાં આવશે. ત્યાર બાદ કેવીપીને રાષ્ટ્રીયકૃત બેંકોની વિવિધ શાખાઓ મારફતે પણ ઉપલબ્ધ કરાવાશે. કેવીપીમાં કરવામાં આવેલા રોકાણનો લોક ઇન પિરિયડ અઢી વર્ષનો હશે. ત્યાર બાદ આ પહેલા નક્કી કરવામાં આવેલા પરિપક્વતા મૂલ્યના હિસાબથી છ મહિનાના બ્લોકમાં હશે.
નાણા મંત્રાલયે જણાવ્યું કે કેવીપી માત્ર નાના રોકાણકારો માટે જ રોકાણનો સુરક્ષિત વિકલ્પ હશે, તેના મારફતે દેશમાં બચત દર વધારવામાં પણ મદદ મળશે.