અમીરોને LPG સબસિડી નહીં અપાય : અરૂણ જેટલી
નવી દિલ્હી, 22 નવેમ્બર : સરકાર આગામી સમયમાં અમીર લોકોને એલપીજી સિલિન્ડર પર આપવામાં આવતી સબસિડી બંધ કરી શકે છે. આ અંગે આગામી થોડા સમયમાં નિર્ણય કરવામાં આવી શકે છે. આ ઉપરાંત સરકાર એવી ટેક્સ સિસ્ટમ લાવવા જઇ રહી છે, જે રોકાણકારોને માફર આવે તેવી હશે.
આ અંગે વાત કરતા નાણા પ્રધાન અરૂણ જેટલીએ દિલ્હીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે દેશના લોકોએ આવનારા સમયમાં એ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો રહેશે કે શું મને એલપીજી સબસિડી મળવી જોઇએ? તેમણે એમ જણાવ્યું કે આપણે જેટલી જલ્દી આ અંગે નિર્ણય કરીશું તેટલી જ જલ્દી આપણા અર્થતંત્ર માટે તે સારી બાબત બની રહેશે.
નોંધનીય છે કે વર્તમાન વ્યવસ્થામાં ગ્રાહકોને વર્ષે 12 સિલિન્ડર રૂપિયા 414 પ્રતિ સિલિન્ડરના ભાવે મળે છે. તેનાથી વધારે સિલિન્ડરની જરૂર પડે તો રૂપિયા 880 આપવા પડે છે.
જેટલીએ જણાવ્યું કે સત્તામાં આવ્યા બાદ સરકારે ડીઝલની કિંમતોની નિયંત્રણમુક્ત કરી છે. હવે સર્વિસ એન્ડ ગુડ્સ ટેક્સ (જીએસટી) પર પ્રસ્તાવ અને ડ્રાફ્ટ લગભગ તૈયાર છે. અમને વિશ્વાસ છે કે સંસદમાં સોમવારથી શરૂ થઇ રહેલા ચોમાસુ સત્રમાં તેના પર કોન્સ્ટિટ્યુશન એમેડમેન્ટ બિલ રજૂ કરવામાં આવશે.
લાંબા સમયથી અટકેલા ઇન્શ્યોરન્સ બિલ અંગે પણ જેટલીએ જણાવ્યું હતું કે અમે આ ક્ષેત્રને થોડું વધારે મુક્ત કરવા માંગીએ છીએ. આ સેશનમાં વીમા ક્ષેત્રમાં વિદેશી રોકાણ (એફડીઆઇ)ની મર્યાદા વર્તમાન 26 ટકાથી વધારીને 49 ટકા કરવાની દરખાસ્ત છે.