સોનાના આયાત પર નિયંત્રણ મુદ્દે કોઇ નિર્ણય લેવાયો નથી : સીતારમણ
નવી દિલ્હી, 8 નવેમ્બર : આજે વેપાર અને વાણિજ્ય પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે સરકાર સોનાની આયાત પરના નિયંત્રણોના મુદ્દાનો અભ્યાસ કરવામાં આવશે. ત્યાર બાદ આ નિયંત્રણો હળવા કરવા કે નહીં, અને કરવા તો કેટલા કરવા તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.
તેમણે એમ પણ જણાવ્યું કે મોટા પ્રમાણમાં સોનાની આયાત કરવાથી વેપારના સંતુલન પર મોટી અસર પડવા સાથે ચૂકવણીના સંતુલન પર પણ અસર પડે છે. આ કારણે કેટલાક વર્ગમાં સોનાના નિયંત્રણોને દૂર કરવાની માંગણી ઉઠી રહી છે, જ્યારે કેટલાક વર્ગમાં તેને ચાલુ રાખવાનો અભિપ્રાય છે.
તેમણે પત્રકારોને એમ પણ જણાવ્યું કે સરકાર સોનાની આયાતમાં નિયંત્રણ સંબંધિત કોઇ પણ નિર્ણય લેતા પહેલા મુદ્દાનો વિગતે અભ્યાસ કરશે. નોંધનીય છે કે સરકારે વર્ષ 2013માં સોનાના આયાત પરની ડ્યુટી 2 ટકાથી વધારીને 10 ટકા કરી હતી. આ ઉપરાંત કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી)ને નિયંત્રણમાં રાખવા માટે 80:20નું પ્રમાણ પણ નક્કી કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે સપ્ટેમ્બમાં સોનાની આયાત માં ગયા વર્ષની સરખામણીએ 3.75 બિલિયન ડોલરનો વધારો થયો હતો. જ્યારે ગયા વર્ષની આયાત 682.5 મિલિયન અમેરિકન ડોલર રહી હતી. જે કારણે ઓવરઓલ ટ્રેડ ડેફિસિટ 18 મહિનાની ઉંચાઇએ 14.2 બિલિયન અમેરિકન ડોલર રહી હતી.