રેલમંત્રીએ રેલ બજેટમાં ગુજરાતને માત્ર 9 નવી ટ્રેન આપી

જોકે રેલવે બજેટ 2013-14ને ગુજરાતની દ્રષ્ટિએ જોવામાં આવે તો એકવાર ફરી રેલ બજેટ ગુજરાતની અપેક્ષાઓને પૂરી કરવામાં ઉણું ઉતર્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રેલ બજેટમાં રેલવે પ્રધાને ગુજરાત માટે કોઇ ખાસ જાહેરાત કરવામાં આવી નથી. રેલવે મંત્રીએ ગુજરાત માટે એક્સપ્રેસ તથા પેસેન્જર ટ્રેન એમ મળીને કુલ 9 નવી ટ્રેનની જાહેરાત કરી છે.
નવી ચાર એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનમાં બાંદ્રા ટર્મિનસ-હિસાર એક્સપ્રેસ વાયા અમદાવાદ-પાલનપુર, અમદાવાદ-જોધપુર એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર એક્સપ્રેસ વાયા વલસાડ અને ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે નવી દૈનિક પેસેન્જર ટ્રેનમાં ભાવનગર-પાલિતાણા પેસેન્જર, ભાવનગર-સુરેન્દ્રનગર પેસેન્જર, નડિયાદ-મોડાસા પેસેન્જર સપ્તાહમાં 6 દિવસ, તો સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા પેસેન્જર, સોમનાથ-રાજકોટ પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સોમનાથ-દ્વારકા એક્સપ્રેસને ઓખા સુધી, પોરબંદર-વેરાવળ પેસેન્જર ટ્રેન સોમનાથ સુધી અને મોરબી-વાંકાનેર મેમુને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. તેમજ આગ્રા ફોર્ટ-અમદાવાદ એક્સપ્રેસ 3 દિવસના બદલે સાપ્તાહિક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ-નાગપુર એક્સપ્રેસ ર દિવસના બદલે 3 દિવસ દોડશે. જ્યારે ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ 1ના બદલે 2 દિવસ કરવામાં આવી છે. આ ઉપરાંત પાલનપુર-સામખિયાળીને ડબલ ટ્રેક કરવામાં આવશે. જ્યારે વટવા-અમદાવાદમાં ત્રીજી લાઈન બનાવાવમાં આવશે. આ પ્રકારની જાહેરાત રેલવેમંત્રી દ્વારા કરવામાં આવી છે.
વિદ્યુતીકરણ અને નવી લાઈનમાં રેલમંત્રીએ ગુજરાતમાં કલોલ-ગાંધીનગર-ખોડિયાર-પાલનપુર-અમદાવાદ લાઈનનું વિદ્યુતીકરણ કરવાની વાત કરી છે. જ્યારે આણંદ-બોરસદ, કપડવંજ-ટીંબા, મોડાસા-મેઘરજ-બાંસવાડા અને રાજપીપળા-કેવડીયા કોલોની સુધીની નવી લાઈન નાખવામાં આવશે. તો અમદાવાદ-બહુચરાજી, પેટલાદ-નડિયાદ, ગઢડા-જસદણ અને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા લાઈનનું ગેજ પરિવર્તન કરવામાં આવશે. તો કંડલા-પાલનપુર અને રાજકોટ-વેરાવળની ડબલ લાઈન કરવામાં આવશે. ગુજરાતને રેલ બજેટમાં અપેક્ષા કરતા ઓછું મળવાની વાત વિશ્લેષકો કરી રહ્યા છે. તેમજ બીજેપી આને કોંગ્રેસ તરફી બજેટ ગણાવી રહી છે.












Click it and Unblock the Notifications
