રેલમંત્રીએ રેલ બજેટમાં ગુજરાતને માત્ર 9 નવી ટ્રેન આપી
જોકે રેલવે બજેટ 2013-14ને ગુજરાતની દ્રષ્ટિએ જોવામાં આવે તો એકવાર ફરી રેલ બજેટ ગુજરાતની અપેક્ષાઓને પૂરી કરવામાં ઉણું ઉતર્યું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રેલ બજેટમાં રેલવે પ્રધાને ગુજરાત માટે કોઇ ખાસ જાહેરાત કરવામાં આવી નથી. રેલવે મંત્રીએ ગુજરાત માટે એક્સપ્રેસ તથા પેસેન્જર ટ્રેન એમ મળીને કુલ 9 નવી ટ્રેનની જાહેરાત કરી છે.
નવી ચાર એક્સપ્રેસ સાપ્તાહિક ટ્રેનમાં બાંદ્રા ટર્મિનસ-હિસાર એક્સપ્રેસ વાયા અમદાવાદ-પાલનપુર, અમદાવાદ-જોધપુર એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-હરિદ્વાર એક્સપ્રેસ વાયા વલસાડ અને ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે. જ્યારે નવી દૈનિક પેસેન્જર ટ્રેનમાં ભાવનગર-પાલિતાણા પેસેન્જર, ભાવનગર-સુરેન્દ્રનગર પેસેન્જર, નડિયાદ-મોડાસા પેસેન્જર સપ્તાહમાં 6 દિવસ, તો સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા પેસેન્જર, સોમનાથ-રાજકોટ પેસેન્જર ટ્રેનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સોમનાથ-દ્વારકા એક્સપ્રેસને ઓખા સુધી, પોરબંદર-વેરાવળ પેસેન્જર ટ્રેન સોમનાથ સુધી અને મોરબી-વાંકાનેર મેમુને રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. તેમજ આગ્રા ફોર્ટ-અમદાવાદ એક્સપ્રેસ 3 દિવસના બદલે સાપ્તાહિક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ-નાગપુર એક્સપ્રેસ ર દિવસના બદલે 3 દિવસ દોડશે. જ્યારે ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ 1ના બદલે 2 દિવસ કરવામાં આવી છે. આ ઉપરાંત પાલનપુર-સામખિયાળીને ડબલ ટ્રેક કરવામાં આવશે. જ્યારે વટવા-અમદાવાદમાં ત્રીજી લાઈન બનાવાવમાં આવશે. આ પ્રકારની જાહેરાત રેલવેમંત્રી દ્વારા કરવામાં આવી છે.
વિદ્યુતીકરણ અને નવી લાઈનમાં રેલમંત્રીએ ગુજરાતમાં કલોલ-ગાંધીનગર-ખોડિયાર-પાલનપુર-અમદાવાદ લાઈનનું વિદ્યુતીકરણ કરવાની વાત કરી છે. જ્યારે આણંદ-બોરસદ, કપડવંજ-ટીંબા, મોડાસા-મેઘરજ-બાંસવાડા અને રાજપીપળા-કેવડીયા કોલોની સુધીની નવી લાઈન નાખવામાં આવશે. તો અમદાવાદ-બહુચરાજી, પેટલાદ-નડિયાદ, ગઢડા-જસદણ અને સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા લાઈનનું ગેજ પરિવર્તન કરવામાં આવશે. તો કંડલા-પાલનપુર અને રાજકોટ-વેરાવળની ડબલ લાઈન કરવામાં આવશે. ગુજરાતને રેલ બજેટમાં અપેક્ષા કરતા ઓછું મળવાની વાત વિશ્લેષકો કરી રહ્યા છે. તેમજ બીજેપી આને કોંગ્રેસ તરફી બજેટ ગણાવી રહી છે.