RBI અને સરકાર વચ્ચે સંકલન જરૂરી : સુબ્બારાવ
સુબ્બારાવે એમ પણ જણાવ્યું કે "આરબીઆઇ એકલા હાથે આર્થિક સમસ્યાઓનો નિવેડો લાવી શકે એમ નથી. સરકારે પણ તેની તિજોરી અંગે કામ કરવાની જરૂર છે. સરાકારે નાણાકીય અને રાજકોષીય નીતિઓની વચ્ચે સંકલન સાધવાની જરૂર છે."
રિઝર્વ બેંકના ગવર્નર ડી સુબ્બારાવે મુંબઇમાં સી ડી દેશમુખ સ્મૃતિ વ્યાખ્યાનમાં નોબેલ પુરસ્કારથી સન્માનિત જોસેફ સ્ટિગિલિટ્સનું સ્વાગત કરતા જણાવ્યું કે "સંયુક્ત કે સમાન લક્ષ્યાંકની પ્રાપ્તિ માટે નાણાકીય અને રાજકોષીય નીતિઓમાં સંકલન સાધવું જરૂરી છે." વ્યાજ દર ઘટાડવા તથા નવા બેંક લાયસન્સ સહિતના વિવિધ મુદ્દાઓને સાથે રાખીને રિઝર્વ બેંક તથા નાણા મંત્રાલયની વચ્ચે સહમતિ વચ્ચે સુબ્બારાવનું આ નિવેદન અનેક બાબતો તરફ ધ્યાન ખેંચે છે.
નાણા મંત્રાલય અને વેપાર મંત્રાલયના સંકેતો છતાં રિઝર્વ બેંકના રેપો રેટમાં કોઇ કાપ મૂકવામાં આવ્યો ન હતો. નાણા મંત્રી પી ચિદમ્બરમે આશ્વાસન આપ્યું છે કે સરકાર સમયસર બેંકિંગ કાયદામાં સુધારા લાવશે. આમ થતાં રિઝર્વ બેંકે બેંકિંગ લાયસન્સ આપવાની પ્રક્રિયા શરૂ કરી નથી.
રિઝર્વ બેંક ત્રીજી ત્રિમાસિક નાણાકીય સ્થિતિની સમીક્ષા 29 જાન્યુઆરીએ કરશે. તેમાં રેપો રેટ ઘટાડવામાં આવે એવી શક્યતા છે. સુબ્બારાવે આગળ જણાવ્યું કે આર્થિક વૃદ્ધિને ગતિ આપવા માટે રોકાણકારોમાં વિશ્વાસ વધારવા માટે કામકાજ સુધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે "ગ્રાહકો તથા વેપારીઓનો વિશ્વાસ વધારવા માટે સરકારી કામકાજને સુધારવાની પણ જરૂરિયાત છે."