રિઝર્વ બેંકે વિદેશમાં વ્યક્તિગત ખર્ચ મર્યાદા વધારી
નવી દિલ્હી, 21 જૂન : ભારતીય રેઝર્વ બેંક - આરબીઆઇએ જાહેરાત કરી છે કે ભારત, પાકિસ્તાન અને બંગલાદેશના નાગરિકો અને ભારતના આ બે પાડોશી દેશોમાંથી આવતી હોય કે ત્યાં જવાની હોય એવી વ્યક્તિ સિવાયની ભારતની કે વિશ્વની કોઈ પણ વ્યક્તિને ભારતની બહાર જતી વખતે 25,000 રૂપિયા સુધીની રકમની ચલણી નોટો સાથે રાખવાની છૂટ છે.
નોંધનીય છે કે અત્યાર સુધી વિદેશ જતી ભારતીય વ્યક્તિને 10,000 રૂપિયા સુધીની રકમ જ સાથે રાખવાની છૂટ હતી અને વિદેશીઓને ભારતની બહાર ઇન્ડિયન કરન્સી સાથે લઈ જવાની છૂટ જ નહોતી.
RBIએ પોતાના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે ભારતની બહાર જતી વખતે (પાકિસ્તાન અને બંગલા દેશના નાગરિકો તેમ જ પાકિસ્તાન કે બંગલા દેશથી ઇન્ડિયા આવતા કે જતા લોકો સિવાયના) ભારત સહિતની વિશ્વની કોઈ પણ વ્યક્તિને 25,000 રૂપિયા સુધીની ઇન્ડિયન કરન્સી સાથે લઈ જવાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ભારતમાં આવતા વિદેશીઓ અને વિદેશમાં જતા ભારતીયો પોતાની ટ્રાવેલ વિશેની જરૂરિયાતો પૂરી કરી શકે તેમ જ દેશની આર્થિક સ્થિતિ સુધારવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદેશમાં જતી વખતે વધુ રકમ સાથે લઈ જવા વિશેની આ જાહેરાત ત્રીજી જૂને અગત્યની બીજી બાય મન્થ્લી મોનિટરી પોલિસી સ્ટેટમેન્ટમાં કરવામાં આવી હતી.
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે કોઈ પણ ભારતીય નેપાલ અને ભુતાનમાં ગમે એટલી રકમ સાથે લઈ જઈ શકે છે, પરંતુ શરત માત્ર એટલી જ કે 100 રૂપિયાથી વધુ રકમની કોઈ નોટ એમાં ન હોવી જોઈએ.