ડી સુબ્બારાવે વ્યાજદરોમાં કપાતના સંકેત આપ્યા
ડી સુબ્બારાવે આરબીઆઇના કેન્દ્રીય બોર્ડની બેઠકમાં પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે "ચોક્કસપણે એ હકીકત છે કે આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો નોંધાયો છે. જીડીપી વૃદ્ધિ પાછલા બે વર્ષમાં 8.5 ટકા અને 6.5 ટકા છે. અને પાછલા બે ત્રિમાસિક ગાળામાં 5.3 ટકા પર આવી ગઇ છે."
તેમણે જણાવ્યું કે "આરબીઆઇમાં અમે હંમેશા વૃદ્ધિ અને ફુગાવા વચ્ચે સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરીએ છીએ. પાછલા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિદર ઘટીને 5.3 ટકા પર આવી ગયો છે. આ સાથે ફુગાવો પણ ખૂબ વધી ગયો છે."
તેમણે જણાવ્યું કે ફુગાવે તેના મહત્તમ સ્તરથી નીચે આવ્યો છે. આમ છતાં, તે 7.5 ટકા છે. અમને આશા છે કે ચાલુ નાણાકીય વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળામાં તેમાં ઘટાડો નોંધાશે. સુબ્બારાવે એમ પણ કહ્યું કે 18 ડિસેમ્બરે મધ્ય ત્રિમાસિક સમીક્ષા અને 29 જાન્યુઆરીએ યોજાનારી ત્રિમાસિક સમીક્ષામાં અમે વૃદ્ધિ અને ફુગાવાના દર પર ધ્યાન આપીશું. આ બંને બાબતોના આધારે આગામી આર્થિક નીતિ ઘડીશું.