સાંઈ બાબાને ચઢાવેલા પૈસા મુકવાની બેંકોમાં જગ્યા બચી નથી
શિરડીમાં આવેલા સાંઈ બાબાના મંદિરમાં એટલો બધો ચઢાવો છે કે બેંકો પાસે તેને રાખવા માટે કોઈ જગ્યા બચી નથી.
શિરડીમાં આવેલા સાંઈ બાબાના મંદિરમાં એટલો બધો ચઢાવો છે કે બેંકો પાસે તેને રાખવા માટે કોઈ જગ્યા બચી નથી. આના કારણે, બેંકોએ મંદિરના પૈસા લેવાની ના પાડી દીધી છે. બેંકો દ્વારા પૈસા ન લેવાને કારણે, મંદિરના દાનપત્રને ખોલીને દાનના પૈસાની ગણતરી કરવાનું બંધ કરવામાં આવ્યું છે. આ માહિતી શ્રી સાંઈ બાબા ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટના સીઇઓ દીપક મુગલીકરએ આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે, દાનમાં વધારે પ્રમાણમાં સિક્કા હોય છે, જે હવે બેંક લેતી નથી. મુગલીકરે કહ્યું કે આ સ્થિતિથી ભારતીય રિઝર્વ બેન્કને અવગત કરાવવામાં આવી છે.
દર અઠવાડિયે બે વાર ખુલે છે દાનપત્ર
શ્રી સાંઈ બાબા ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટના સીઇઓ દીપક મુગલીકરના જણાવ્યા મુજબ મંદિરમાં દાનપત્ર અઠવાડિયામાં બે વાર ખોલવામાં આવે છે અને ભક્તોનું દાન ગણવામાં આવે છે અને તેને બેંકમાં જમા કરાવામાં આવે છે. તેમણે કહ્યું કે સામાન્ય રીતે દરેક વખતની ગણતરીમાં 2 કરોડ રૂપિયા સુધીનું ભક્તોનું દાન મળે છે. તેમાંથી 5 લાખ રૂપિયા સુધીના સિક્કા હોય છે. આ સિક્કાઓ અને રોકડને રોટેશનના આધાર પર 8 રાષ્ટ્રીય બેંકોમાં વારાફરતી જમા કરાવવામાં આવે છે.
બેંકોએ સિક્કા લેવાનો ઇનકાર કર્યો
મુગલીકર અનુસાર, છેલ્લા કેટલાક મહિનાથી, બેંક તેમને જગ્યાની અછત વિશે જણાવી રહ્યા હતા. બેંકો કહે છે કે તેમની પાસે સિક્કા રાખવા માટે કોઈ જગ્યા નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સમયે, બેંકોમાં ડિપોઝિટ તરીકે શ્રી સાંઈ બાબા ઇન્સ્ટિટ્યુટ ટ્રસ્ટએ લગભગ 1.5 કરોડ રૂપિયાના સિક્કા જમા કરેલા છે.