રેપો રેટમાં ઘટાડા છતાં બેંકો વ્યાજ કેમ નહીં ઘટાડે?
આજે એક પ્રેસ કોન્ફરન્સમાં બેંકોએ જણાવ્યું કે આરબીઆઇએ ઘટાડેલો રેપો રેટ ગ્રાહકો સુધી લાભ પહોંચાડવા માટે પૂરતો નથી. માર્કેટમાં લિક્વિડિટીની સ્થિતિ સરળ નહીં હોવાથી ઉંચા દરે નાણા મેળવવા પડે છે. આ કારણે વ્યાજ દરમાં ઘટાડાની કોઇ શક્યતા નથી.
એસબીઆઇના ચેરમેન પ્રતીપ ચૌધરીએ જણાવ્યું કે "વ્યાજદર ઘટાડવાની કોઇ શક્યતાઓ નથી. અમારી ઉપ વ્યાજ દરો ઘટાડવા માટે કોઇ ફરજિયાત દબાણ નથી. વાસ્તવમાં આનો લાભ મળે એવું કશું જ નથી." તેમણે અગાઉ એવા સંકેત આપ્યા હતા કે આરબીઆઇ કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો ના કરે તો બેંકો ગ્રાહકોને નીચા દરે લોન ઉપલબ્ધ કરાવી શકે એમ નથી.
આરબીઆઇએ જાહેર કરેલી નવી નીતિ બાદની પ્રેસ કોન્ફરન્સમાં બેંકોએ જણાવ્યું હતું કે તેમની એસેટ લાયેબિલિટી કમિટીસ (એએલસીઓ) મળશે, નવી નીતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ નક્કી કરશે કે દરો ઘટાડવા કે નહીં.
એસબીઆઇએ જણાવ્યું છે કે દરોમાં ઘટાડાની કોઇ શક્યતા નથી. આઇસીઆઇસીઆઇ બેંકે જણાવ્યું છે કે વ્યાજ દરમાં ઘટાડો એ ફંડ કયા દરે મળે છે તેના પર આધાર રાખે છે. એક્સિસ બેંક અને પંજાબ નેશનલ બેંક દ્વારા પણ આવા જ પ્રતિસાદ આપવામાં આવ્યા હતા. તમામ બેંકોએ નજીકના ભવિષ્યમાં વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ નકારી કાઢી હતી.
આરબીઆઇ ગવર્નર ડી સુબ્બારાવે જણાવ્યું હતું કે "આપણે અર્થતંત્રમાં જરૂરી બચત કરવી પડે એમ છે. આ કારણે બેંકોની તેમના ગ્રાહકોને લાભ નહીં આપવાની ચિંતા પ્રસંશનીય છે." જ્યારે વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના ચેરમેન સી રંગરાજને જણાવ્યું હતું કે "ફુગાવો કેવો રહે છે તેના આધારે વ્યાજ દરમાં ઘટાડાની શક્યતા રહેલી છે."