સોનાના ઘરેણા દિવાળીમાં કેમ મોંઘા બનશે?
મુંબઇ, 14 ઓક્ટોબર : દિવાળી પહેલાં સોના અને હીરાના ભાવમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. જેના કારણે સોનાના ઘરેણા મોંઘા થશે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છે.
સોનાની માગ વધવાથી છેલ્લા એક સપ્તાહમાં સોનાનું પ્રીમિયમ પણ ત્રણ ગણું વધ્યું છે. તેને લીધે ભારતીય બજારમાં સોનાના ભાવ વધ્યા છે. ડાયમંડ ટ્રેડિંગ કંપનીએ પણ રફ ડાયમંડના ભાવ બે-ત્રણ ટકા વધાર્યા છે. જેની સીધી અસર સ્થાનિક બજારમાં હીરા અને સોનાના ભાવ પર પડશે.
બજારમાં સોનાની ઉપલબ્ધતા ઘટી છે. બેન્કો 30 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર સુધી બંધ હતી. તેને લીધે સોનાના પુરવઠા પર અસર પડી છે. બેન્કો સોનાની ડિલિવરી લેવાનું ચાલુ કરશે ત્યારે પ્રીમિયમમાં થોડો ઘટાડો થશે, પરંતુ તહેવારોને કારણે સોનાની માંગમાં મોટો ઘટાડો જોવા નહીં મળે.
ઓછી ઉપલબ્ધતાને કારણે સ્થાનિક બજારમાં સોનું મોંઘું બન્યું છે. વૈશ્વિક ભાવ પણ પ્રતિ ટ્રોય ઔંસ 1,180 ડોલરથી વધીને 1,230 ડોલર ચાલે છે. સેન્ટિમેન્ટ પ્રોત્સાહક હોવાથી ચાલુ વર્ષે સોનાની માંગ ગયા વર્ષની તુલનામાં ઊંચી રહેશે.
જેમ એન્ડ જ્વેલરી એક્સ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે ડીટીસીના રફ ડાયમંડના ભાવમાં 2-3 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે રશિયન ગૂડ્ઝની માગ તાજેતરમાં 2-5 ટકા વધી છે. તેને લીધે ડાયમંડ જ્વેલરીના ઉત્પાદન ખર્ચમાં વધારો થશે અને તહેવારોમાં ડાયમંડ જ્વેલરીના ભાવમાં વૃદ્ધિ તરફી જોક જોવા મળશે.