શા માટે સ્ટોક માર્કેટ એનાલિસ્ટ્સ થોડા સમય માટે વિશ્લેષણ બંધ કરશે?
મુંબઇ, 3 ડિસેમ્બર : ભારતમાં અનેક રિસર્ચ કંપનીઓ અને બ્રોકરેજ હાઉસીસના વિશ્લેષકો લગભગ એકાદ સપ્તાહ સુધી બિઝનેસ ચેનલ્સ તેમજ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં પોતાના વિચારો કે વિશ્લેષણ રજૂ નહીં કરે. સેબીના રિસર્ચ એનાલિસ્ટ્સ (RA) રેગ્યુલેશન્સ અંગે થોડી સ્પષ્ટતા થયા પછી જ કેટલાક નિષ્ણાતો મીડિયામાં સક્રિય બનશે.
વિશ્લેષકો અંગેના નવા નિયમો સોમવારથી અમલી બન્યા છે. તેના ભાગરૂપે સેબીની નોંધણીનું પ્રમાણપત્ર મેળવ્યા પછી જ વ્યક્તિ રિસર્ચ એનાલિસ્ટ કે રિસર્ચ એન્ટિટી તરીકે કામ કરી શકશે.

આ નિયમ અંગે એડલવાઇઝના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 'કોન્ફરન્સ કોલ, સેમિનાર, ફોરમ, રેડિયો કે ટેલિવિઝન, ઇન્ટરનેટલ, વેબસાઇટ, પ્રિન્ટ મીડિયા, અથવા જાહેર મીડિયામાં ઘણા લોકો સામે પોતાના વિચારો રજૂ કરવાની બાબતને 'પબ્લિક એપિયરન્સ'ની વ્યાખ્યામાં આવરી લેવાઈ છે.'
આ તમામ મીડિયા અને ઇવેન્ટ્સમાં રિસર્ચ એનાલિસ્ટ્સ સિક્યોરિટીઝ કે પબ્લિક ઓફર સંબંધી ભલામણ કરે છે. એટલે એડલવાઇઝના મેનેજમેન્ટે 1 ડિસેમ્બર 2014થી એક પખવાડિયા સુધી કોઈ પણ જાતના પબ્લિક એપિયરન્સને ટાળવાનો કે રદ કરવાનો નિર્ણય લીધો છે.''
એનાલિસ્ટ્સના નિયમોને સપ્ટેમ્બરમાં આખરી ઓપ અપાયો હતો. તેનો હેતુ ભારતીય બજારને વિદેશી બ્રોકરેજિસ સહિતના સટ્ટાકીય રિસર્ચ રિપોર્ટમાંથી બચાવવાનો છે. નવાં ધોરણો અનુસાર શેરની ભલામણ માટે વિશ્લેષકો રાખતી એન્ટિટીએ યોગ્યતા, કેપિટલ એડિક્વસી, આંતરિક પોલિસી અને પ્રક્રિયાનું નિર્ધારણ તેમજ હિતોના ઘર્ષણ સામે સુરક્ષા અને સમયસર ડિસ્ક્લોઝરના નિર્ધારિત માપદંડને અનુસરવું પડશે.
એક મોટી રિટેલ બ્રોકરેજના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, 'RA નોટિફિકેશનને કારણે વિશ્લેષકોમાં મોટો ગૂંચવાડો ઊભો થયો છે અને એટલે અમે તમામ રિસર્ચ એનાલિસ્ટ્સને વધુ સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી કોઈ અભિપ્રાય આપવા કે વિચારો જણાવવાની મનાઈ કરી છે.'
નવા નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડનાત્મક પગલાંની જોગવાઈ કરવામાં આવી છે. આવાં પગલાંમાં પ્રતિબંધ, અન્ય માર્કેટ ઇન્ટરમીડિયરી જેટલો દંડ તેમજ નોંધણી રદ કરવાનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
