ખીચડી બનશે રાષ્ટ્રીય વાનગી? વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે બનશે 800 KG ખીચડી
દિલ્હીમાં વર્લ્ડ ફૂડ ડે માટે ખાસ 800 કિલો ખીચડીનું બનાવવાનું આયોજન. ઇન્ડિયન બ્રાંડ ફૂડ તરીકે રજૂ થશે ખીચડી. ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાશે
ભારતની મોદી સરકાર સાદી-સીધી ખીચડીની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખતા તેને દુનિયા સામે રજૂ કરવા માંગે છે. દાળ-ચોખા અને ઘીના આ અતૂટ બંધનને ટૂંક સમયમાં જ સમગ્ર દુનિયામાં ઓળખાણ પ્રાપ્ત થનાર છે. કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે, તેઓ દુનિયામાં ખીચડીને લોકપ્રિય કરવા માટે તેના ફાયદાઓ લોકોને જણાવશે. ખીચડીને બ્રાન્ડ ઇન્ડિયન ફૂડ તરીકે રજૂ કરવાના ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયના નિર્ણયને મંજૂર કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 3થી 5 નવેમ્બર દરમિયાન યોજાનારા ફૂડ ડેમાં ખીચડીને રજૂ કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઉપ-રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂ કરશે.

વર્લ્ડ ફૂડ ડે માટે લગભગ 800 કિલો ખીચડી બનવવાની તૈયારી કરવામાં આવી છે, આ ખીચડી લોકપ્રિય શેફ સંજીવ કપૂરની દેખરેખમાં બનાવવામાં આવશે. કહેવાઇ રહ્યું છે કે, આ ખીચડીમાં દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી મંગાવવામાં આવેલ બાજરો, ચોખા અને દાળનો ઉપયોગ કરવામાં આવશે. આટલા મોટા પ્રમાણમાં ખીચડી બનાવવા માટેનું એક કારણ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવાનું પણ છે. દેશ-વિદેશથી આવેલ લોકો તથા ગરીબ બાળકોને આ ખીચડી પીરસવામાં આવશે.
ખીચડીને રાષ્ટ્રીય ડિશ કે વાનગી બનાવવા અંગે કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો છે. આપણા દેશમાં જેમ ખીચડી લોકોને ખૂબ ભાવે છે, એમ બિરયાની ખાવાવાળો વર્ગ પણ ઘણો મોટો છે અને તેમનું કહેવું છે કે, આ રીતે બ્રાન્ડ ફૂડ તરીકે માત્ર ખીચડીને રજૂ ન કરવી જોઇએ, બિરયાની પણ સૌથી લોકપ્રિય ભારતીય વાનગીઓમાંની એક છે. આ મામલે કેન્દ્રિય ખાદ્યમંત્રી હરસિમરત કૌરે આ અંગે સફાઇ પણ આપી છે. તેમણે કહ્યું કે, ખીચડીને માત્ર બ્રાન્ડ ઇન્ડિયન ડિસ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે અને વિશ્વવિક્રમ માટે જ આટાલ મોટા પ્રમાણમાં ખીચડી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
