રસપ્રદ ઇતિહાસ : અપક્ષોની ભીડમાં ઇંદુલાલ ભડવીર!
અમદાવાદ, 14 એપ્રિલ : લોકસભા ચૂંટણી 2014 માટે ગુજરાતના લડવૈયાઓના નામો નક્કી થઈ ગયાં છે અને ગુજરાતની પરમ્પરા મુજબ બે મુખ્ય પક્ષો વચ્ચે જ મુકાબલો છે. તેમાં ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપે રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો ઉપર ઉમેદવાર ઊભા રાખ્યાં છે, તો કોંગ્રેસ પક્ષે એક બેઠક એનસીપી માટે છોડી 25 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યાં છે. કુલ ઉમેદવારોની સંખ્યા 334 છે કે જેમાં અપક્ષ ઉમેદવારો 156 છે.
જોકે આજે આપણે વાત મુખ્ય સ્પર્ધક પક્ષો કે ઉમેદવારોની નથી કરવી. આજે આપણે વાત કરીશું એવા લડવૈયાઓની કે જેમાંના મોટાભાગનાને ખબર હોય છે કે તેઓ લોકસભા ચૂંટણી જેવા મોટા યુદ્ધ મેદાનમાં કંઈ પણ ઉકાળી શકવાના નથી અને છતાં તેઓ મોટા પાયે મેદાનમાં ઉતરી પડે છે અને તેમાંના એકાધ કોઇક બિરલાને છોડી લગભગ તમામની ડિપૉઝિટ ડૂલ થઈ જાય છે.
હા જી, અમે વાત કરી રહ્યાં છીએ અપક્ષ ઉમેદવારોની. કોઈ પણ કક્ષાની ચૂંટણીઓ હોય, તેમાં અપક્ષ ઉમેદવારો તો હોય જ છે. જોકે નાની કક્ષાની ચૂંટણીઓમાં અપક્ષોને થોડી ઘણી સફળતાઓ મળી પણ જાય છે, પરંતુ વાત જ્યારે વિધાનસભા અને તેનાથી પણ ઉપર લોકસભા ચૂંટણીની આવે, ત્યારે લગભગ તમામ અપક્ષો ભોંયભેગા થઈ જાય છે. ગુજરાતનો ઇતિહાસ જોઇએ, તો 1962થી લઈ 2009 સુધીની લોકસભાની 13 ચૂંટણીઓમાં 1600 કરતા વધુ અપક્ષો પોતાનું ભાગ્ય અજમાવી ચુક્યાં છે, પરંતુ આટલા મોટા રાફડામાં સફળતા માત્ર એક જ ભડવીરને મળી છે અને તે હતાં મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇંદુલાલ યાજ્ઞિક.
ચાલો ભડવીર ઇંદુલાલ યાજ્ઞિકની તસવીરો સાથે જાણીએ ગુજરાતમાં અપક્ષોનો રસપ્રદ ઇતિહાસ :
ગુજરાતમાં અપક્ષોનો ઇતિહાસ
પૃથક ગુજરાતની સ્થાપના બાદ ગુજરાતમાં થયેલ 13 લોકસભા ચૂંટણીઓમાં 1600 કરતા વધુ અપક્ષો ચૂંટણી મેદાનમાં આવી ચુક્યાં છે, પરંતુ સફળતા માત્ર એક જ ઉમેદવારને મળી છે. ગુજરાતમાં પહેલી ચૂંટણી 1962માં યોજાઈ હતી કે જેમાં 22 બેઠકો ઉપર અપક્ષોની સંખ્યા 14 હતી, પરંતુ વિજય એકેયને નહોતો મળ્યો.
ગુજરાતમાં અપક્ષોનો ઇતિહાસ
તે પછી લોકસભા ચૂંટણી 1967માં બેઠકો વધીને 24 થઈ અને કુલ ઉમેદવારોમાં અપક્ષોની સંખ્યા 28 હતી. આ ચૂંટણીમાં પહેલી વાર એક અપક્ષ ઉમેદવાર ચૂંટાયો. અમદાવાદ મતવિસ્તારમાંથી ચૂંટાયેલ આ અપક્ષ ઉમેદવાર હતાં મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઇંદુલાલ યાજ્ઞિક. જોકે ઇંદુલાલ યાજ્ઞિક લોકસભા ચૂંટણી 1957માં પણ અપક્ષ તરીકે જીતી ચુક્યા હતાં, પરંતુ પૃથક ગુજરાતના તેઓ પ્રથમ અપક્ષ સાંસદ હતાં. એટલુ જ નહીં, 1971માં પણ ઇંદુલાલ યાજ્ઞિક અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં હતાં, પરંતુ આ વખતે તેઓ હારી ગયાં. આ ચૂંટણીમાં 58 અપક્ષો હતાં.
ગુજરાતમાં અપક્ષોનો ઇતિહાસ
ઇંદુલાલ યાજ્ઞિક 1967માં અપક્ષ તરીકે ચુંટાયેલા પ્રથમ અને આખરી સાંસદ હતાં. તે પછી ગુજરાતમાં ક્યારેય કોઈ અપક્ષ ઉમેદવાર વિજયી બન્યો નથી. 1971માં 58 અપક્ષ ઉમેદવારો મેદાનમાં હતાં, તો 1977માં 60 અને 1980માં 94 અપક્ષો મેદાનમાં હતાં. 1984માં પહેલી વાર અપક્ષોની સંખ્યા સોને ઓળંગી 151 ઉપર પહોંચી ગઈ.
ગુજરાતમાં અપક્ષોનો ઇતિહાસ
લોકસભા ચૂંટણી 1989માં અપક્ષ ઉમેદવારોની સંખ્યા ઓર વધી 161 પર પહોંચી, તો 1991માં આ સંખ્યા વધી 258 થઈ ગઈ. 1996માં તો હદ થઈ ગઈ કે જ્યારે રેકૉર્ડ 412 અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતરી આવ્યાં.
ગુજરાતમાં અપક્ષોનો ઇતિહાસ
ચૂંટણી પંચે નિયંત્રણો લાદ્યા બાદ 1998માં અપક્ષોની સંખ્યા ઘટીને 30 થઈ ગઈ. તે પછી લોકસભા ચૂંટણી 1999માં 62, 2004માં 65 અને 2009માં 176 અપક્ષો ચૂંટણી મેદાનમાં હતાં. આમ અત્યાર સુધી 1600 કરતા વધુ અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવી ચુક્યાં છે, પરંતુ ઇંદુલાલ સિવાય કોઈ ભડવીર આ મેદાનમાં વિજય મેળવી શક્યો નથી. આ વખતે એટલે કે લોકસભા ચૂંટણી 2014માં અપક્ષ ઉમેદવારોની સંખ્યા 156 છે. જોઇએ ઇંદુલાલને કોઈ આંબે છે કે કેમ?