જયલલિતાની રોયલ લાઇફસ્ટાઇલ;10000 સાડી, 750 ચંપલ, સોનાના હાર અને ઘણું બધું...
જયલલિતા એક સશક્ત મહિલા રાજકારણી હતાં, તમિલનાડુના લોકલાડીલા અમ્મા હતા. પણ તે સિવાય તે તેમની વૈભવી જીવનશૈલી માટે સૌથી વધુ જાણીતા હતા. અમ્માના વૈભવશાળી જીવનની આ વાતો તમને નવાઇ પમાડશે.
ગઇકાલે રાત્રે 11.30 વાગ્યે ચેન્નાઇની અપોલો હોસ્પિટલમાં તમિલનાડુના અમ્માએ છેલ્લા શ્વાસ લીધા. જયલલિતા જેટલા સશક્ત રાજકારણી હતા એટલાં જ વૈભવી મહિલા પણ હતાં. તેમનું વ્યક્તિત્વ અને જીવન જીવવાનો અંદાજ બિલકુલ અલગ હતો. તેઓ દુનિયાની ચિંતા કર્યા વગર પોતાની મરજીથી પોતાનું જીવન જીવ્યા.
હિ-મેનથી લઇને બોલિવૂડની સેલેબ્રિટીઝ કરી "જયા"ને કરી યાદ
તેમની વૈભવી લાઇફસ્ટાઇલ જોઇ લોકો દંગ રહી જતા. કહેવામાં આવે છે કે અમ્મા પાસે 10000 થી વધુ સાડીઓ અને 750 જોડી ચંપલો હતી. જે લોકો અમ્માને ઓળખતા હતા એમનું કહેવું છે કે તેમનો અંદાજ હંમેશાથી રોયલ હતો. જ્યારે તેઓ ફિલ્મોમાં કામ કરતા હતા ત્યારે પણ તેમના માટે ખાવાનું ઘરેથી આવતું. તે પોતાના સમયના સુપરસ્ટાર હતા. રાજકારણમાં આવ્યા પછી પણ તેમના વૈભવી દેખાવમાં કોઇ ફરક ન આવ્યો. માત્ર સામાન્ય લોકો જ નહીં, મોટા-મોટા માણસો પણ તેમના આ વૈભવને જોઇને અચરજ પામતા હતા.
જયલલિતાનો ખુરશી પ્રેમ
જયલલિતાને સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી, માટે તેમને માટે ખાસ સાગના લાકડાની ખુરશી ડિઝાઇન કરવામાં આવી હતી. આ ખુરશી દિલ્હી સ્થિત તમિલનાડુ ભવનમાં મુકવામાં આવી છે. દિલ્હીના પ્રવાસ દરમિયાન જયલલિતા જ્યાં જાય ત્યાં આ ખુરશી પણ લઇ જવામાં આવતી. વિજ્ઞાન ભવનની મીટિંગ, સંસદની લાઇબ્રેરી કે રાષ્ટ્રપતિ ભવન, જયલલિતા જ્યાં પણ જાય, આ ખુરશી પણ સાથે જતી. દિલ્હીના મુલાકાત કાર્યક્રમો સમાપ્ત થયા બાદ આ ખુરશી ફરીથી તમિલનાડુ ભવન મોકલી દેવામાં આવતી.
5 ભાષાઓનું જ્ઞાન
જયલલિતાને 5 ભાષાઓનું જ્ઞાન હતું. તેઓ અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ અને હિંદીમાં એક્સપર્ટ હતા. સાથે જ તેઓ ક્લાસિકલ ડાન્સમાં પણ એક્સપર્ટ હતા, તેમણે ભારતમાં વિવિધ સ્થળોએ ક્લાસિકલ ડાન્સનું પર્ફોમન્સ પણ આપ્યું હતું. તેઓ 4 વર્ષના હતા ત્યારે કર્ણાટક સંગીત પણ શીખ્યા હતા. તેમણે પોતાની અનેક ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.
અગણિત સાડીઓ અને ચંપલ
ઇ.સ.1997માં જ્યારે જયલલિતાના ઘરે છાપો પડ્યો ત્યારે કબાટમાંથી દસ હજાર સાડીઓ અને 750 ચંપલો મળી આવ્યા હતા. એવું પણ કહેવાયું હતું કે તમામ જૂતા અને ચંપલો સાડી સાથે મેચિંગ હતા. આ જાણકારીથી રાજકારણમાં જાણે ભૂકંપ આવી ગયો હતો.
દત્તક દીકરાના લગ્નમાં 75 કરોડનો ખર્ચો
સપ્ટેમ્બર 1995માં જયલલિતાના દત્તક પુત્ર સુધાકરનના લગ્ન લેવાયા હતા અને એ સમયે લગ્નમાં 75 કરોડનો ખર્ચો થયો હતો. આ લગ્ન સમારંભ માટે ચેન્નાઇની 20 હેક્ટર(50 એકર) જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લગભગ 1,50,000 લોકો આ લગ્નમાં હાજર રહ્યા હતા. લગ્નના મંદિરથી 5 કિલોમીટર સુધીના રસ્તા પર ગુલાબ વેરવામાં આવ્યા હતા. આ લગ્નમાં માત્ર કેટરિંગનો ખર્ચો જ 2 કરોડ રૂપિયા આવ્યો હતો. કદાચ આ કારણે જ આ લગ્ન ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયા છે.