Makar Sankranti 2018: કેમ ઉત્તરાયણના દિવસે ઉડાવાય છે પતંગ?
તમે અનેક ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવી હશે. પણ શું તમને આ પાછળનું કારણ ખબર છે. જાણો અહીં પતંગને લઇને કેટલીક રસપ્રદ માહિતી
14મી જાન્યુઆરીને મકર સંક્રાંતિ કે પછી ઉત્તરાયણના તહેવાર તરીકે ગુજરાતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ગુજરાતનો માહોલ જ અનેરો હોય છે. લાઉડ મ્યૂઝિક, તલના લાડુ, ઊધિયું સાથે ગુજરાતની ધાબા પરની નવરાત્રી ઉજવે છે. પણ શું તમને ખબર છે કે ઉત્તરાયણના દિવસે પતંગ કેમ ઉડાવવામાં આવે છે. આ અંગે કેટલાક રસપ્રદ વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ. તો તમે અત્યાર સુધી પતંગો તો ઘણી ચઢાવી હશે ઉત્તરાયણના દિવસે પણ આજે જાણી લો તે પાછળના કારણો પણ અહીં....
શુભ સંદેશ વાહક
માન્યતા છે કે પતંગ ખુશી, ઉલ્લાસ, આઝાદીનો શુભ સંદેશો લઇને આવે છે. સંક્રાંતિના દિવસથી તમામ સારા કામોની શરૂઆત થાય છે. આ દિવસથી કમૂર્તા ઉતરતા લોકો વિવાહથી લઇને તમામ સારા કામોની પહેલ કરી શકે છે. વધુમાં પતંગ ઉડાવવાથી મન ખુશ રહે છે. અને મગજ પણ સંતુલિત રહે છે. સાથે જ પતંગને ઊંચે ઉડાવવાથી તમને પણ જીવનમાં આગળ વધવા અને ઊંચાઇઓ પાર કરવાની સાથે જ મુશ્કેલીઓ વચ્ચે પણ જીવનને માણવાની શીખ મળે છે.
આંખો અને સૂરજ
મકર સંક્રાંતિના દિવસે જે સૂર્યના કિરણો હોય છે તે આંખમાં અને શરીરમાં પડવાથી વૈજ્ઞાનિક લાભ પણ થાય છે. આ કૂણો તડકો વિટામીન ડી સમેત તમારા શરીર માટે લાભકારી રહે છે. જો કે હવે વિકરણોનો ખતરો વધુ રહેલો હોય છે. તેમ છતાં 10 વાગ્યા પહેલાના તડકાનો લાભ લઇને તમને સહપરિવાર ઉત્તરાયણના દિવસે તમારા શરીરને વિટામીન ડી જેવા વિટામીનનો લાભ આપી શકો છો.
પતંગ ઉડાવવી
દરેક લોકો પતંગ ઉડાવી નથી શકતા. તે માટે ખાસ હુનર જોઇએ છે. વળી પતંગ ઉડાવી દીધા પછી આકાશમાં લાંબા સમય સુધી તેને રાખવી તે પણ એક કળા છે. જેમાં ધણીવાર ફરકી પકડનાર અને પતંગ ચગાવનારનો તાલમેળ પણ એટલો જ જરૂરી બને છે. પતંગ આપણને તે જ શીખવે છે ચડતી પડતી તો આવતી રહેશે, એક પતંગ ફાટશે તો બીજી આવશે, મહત્વનું તે નથી કે કેટલી ઊંચી તમારી પતંગ ગઇ કે રહી મહત્વ તે છે કે તમે પ્રયાસો કરતા રહ્યા. પવન હોય કે ના હોય, પતંગ ચગાવતા આવડતું હોય કે ના હોય પ્રયાસ કરતા રહેવું મહત્વનું છે. જે શીખવા જેવું છે.