નરેન્દ્ર મોદી કોંગ્રેસની ઉદ્યોગલક્ષી નીતિના સમર્થક : કનુ કલસરિયા

"ભાજપના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસની ઉદ્યોગલક્ષી નીતિના સૌથી મોટા સમર્થક છે. આ કારણે જ ગુજરાતમાં ખેડૂતોની સમસ્યાઓ અવગણીને મોદીએ ઔદ્યોગિક વિકાસને પ્રાધાન્ય આપ્યું છે." ભાજપની ટીકિટ પરથી ભાવનગર જિલ્લાના મહુવા બેઠકના ધારાસભ્ય અને વ્યવસાયે ડૉક્ટર એવા કનુભાઇ કલસરિયાએ ગુજરાતી વનઇન્ડિયા ન્યુઝ પોર્ટલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આમ જણાવ્યું હતું.
ભાજપની નીતિ અને વલણને કારણે ખેડૂતોને અન્યાય થતા ભાજપ સાથે છેડો ફાડનારા ડૉ. કનુ કલસરિયા અને તેમના સાથીઓ સદભાવના મંચના નામે તળાજા, રાજુલા, મહુવા, ગારિયાધાર અને સાવરકુંડલા એમ પાંચ બેઠકો પરથી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 લડવાનો નિર્ણય લઇ ચૂક્યા છે.
ખેડૂતો અને માછીમારોની સમસ્યા અંગે આવાજ ઉઠાવતા કલસરિયાએ વર્તમાન ગુજરાતની સ્થિતિ અંગં જણાવ્યું કે "નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું ત્યાં સુધી બધું ઠીક હતું. ત્યાર બાદ સરકાર પૈસાલક્ષી અને ઉદ્યોગલક્ષી બની. જેના કારણે ગુજરાતમાં અમીરો અને ગરીબો વચ્ચેની ખાઇ વધારે ઊંડી બની છે. આજનું ગુજરાત રાજકીય અંધાધૂંધીનું ગુજરાત બન્યું છે. ગુજરાતની પ્રજાએ મોટાં પરિવર્તન કર્યાં છે. આ વખતે પણ પ્રજા પરિવર્તન કરી બતાવશે."
વર્તમાન ટર્મમાં પોતાના મત વિસ્તારમાં કરેલાં મહત્વનાં કાર્યો અંગે તેમણે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી નિકોલ બંધારા અને માલણ બંધારાને જોડવા માટે કેનાલની વાત ચાલતી હતી. આ કેનાલનું કાર્ય રૂપિયા 20 કરોડના ખર્ચે પૂરું કરાવ્યું છે. આ ઉપરાંત 7 નવી હાઇસ્કૂલ, નવા રસ્તાંના કાર્યો પણ કર્યાં છે.
ડૉ. કનુ કલસરિયા યુરોલૉજિસ્ટ છે. આ સાથે તેમને સંગીતનો ઘણો શોખ છે. સમય મળે ત્યારે તેઓ પોતાનો શોખ પૂરો કરે છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 અંગે તેમણે જણાવ્યું કે "આ વખતે ત્રિશંકુ વિધાનસભા બનશે. કોંગ્રેસને મોંઘવારીનો મુદ્દો નડશે તો ભાજપને વિકાસનો મુદ્દો નડશે. કેશુભાઇ પટેલનું ફેક્ટર ભાજપને નડી શકે પણ તેઓ થોડા મોડા પડ્યા છે."
ડૉ. કનુભાઇ કલસરિયાની પ્રોફાઇલ :
ધારાસભ્ય : 54, મહુવા બેઠક, ભાવનગર જિલ્લો
જન્મ : 20 જાન્યુઆરી, 1954
અભ્યાસ : એમએસ (જનરલ સર્જરી)
સંસદીય કારકિર્દી : 10મી ગુજરાત વિધાનસભા (1998થી 2002)માં સભ્ય, 11મી ગુજરાત વિધાનસભા (2002થી 2007)માં સભ્ય, 12મી ગુજરાત વિધાનસભા (2007થી 2012)માં સભ્ય












Click it and Unblock the Notifications
