Exclusive : ‘નીચ રાજનીતિ’ કહી પ્રિયંકાએ ‘આકાશમાં થૂંક ઉડાડ્યું’?
અમદાવાદ, 7 મે : ભારતીય રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી ‘નીચ વૉર' શરૂ થઈ છે અને આ ‘નીચ વૉર'ની શરુઆત કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના પુત્રી તથા ઉપપ્રમુખ રાહુલ ગાંધીના બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરી હતી. પ્રિયંકાએ પોતે પણ નહીં વિચાર્યું હોય કે તેમના દ્વારા નરેન્દ્ર મોદી વિરુદ્ધ શરૂ કરાયેલ આ વાક્-યુદ્ધ તેમના જ ગળાનો ફાંસો બની જશે, કારણ કે નરેન્દ્ર મોદીએ પ્રિયંકાના ‘નીચ' શબ્દનો પોતાના રાજકીય ફાયદા માટે ભરપૂર ઉપયોગ કર્યો છે અને તે પણ છેલ્લા તબક્કાની ચૂંટણીઓ દરમિયાન.
હકીકતમાં પ્રિયંકા ગાંધી આ સમગ્ર પ્રકરણમાં બાલિશ સિદ્ધ થયાં છે. પ્રિયંકાને ભલે રાજકીય વિશ્લેષકો અને પંડિતો રાજકારણમાં રાહુલ ગાંધી કરતા વધુ હોશિયાર સમજતા હશે, પરંતુ પ્રિયંકાએ લાગણીઓમાં વહી જે રીતે નરેન્દ્ર મોદીને વ્યક્તિગત રીતે નિશાન બનાવ્યાં અને તેમની સામે ‘નીચ' જેવા શબ્દનો ઉલ્લેખ કર્યો, તે એક જવાબદાર રાજકીય પક્ષના વારસદાર તરીકે જ નહીં, પણ સામાન્ય કાર્યકર તરીકે પણ યોગ્ય નહીં જ ગણાય.
પ્રિયંકાએ શરૂ કરેલી આ નીચ વૉર બાદ નરેન્દ્ર મોદીએ જે રીતે વળતા પ્રહારો કર્યા અને પછી તેમાં રાહુલ ગાંધી જોડાયા બાદ મોદીએ વધુ જોરદાર પ્રહારો કર્યાં, તે જોતા સ્પષ્ટ છે કે પ્રિયંકાથી ક્યાંકને ક્યાંક ભૂલ તો થઈ જ છે. અમેઠીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ યોજાયેલ સભા દરમિયાન નરેન્દ્ર મોદીએ રાજીવ ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો અને પ્રિયંકા ગાંધી લાગણીઓમાં વહી ગયાં. તેમણે ટ્વીટ કરી મોદીના રાજીવ ગાંધી અંગે કરાયેલ વક્તવ્યને ‘નીચ રાજનીતિ' કહી હતી.
પ્રિયંકાએ નરેન્દ્ર મોદીના વક્તવ્ય અંગે ‘નીચ રાજનીતિ' જેવો શબ્દ પ્રયોગ કરતાં જ મોદી ભડકી ઉઠ્યાં અને તેમણે ટ્વિટર પર ટ્વીટ્સનો ધોધ વહાવી પ્રિયંકાને વળતો જવાબ આપ્યો. મોદીએ પ્રિયંકાના ‘નીચ રાજનીતિ' શબ્દને વ્યક્તિગત હુમલામાં બદલી નાંખી જણાવ્યું કે હું નીચી જાતિમાંથી આવુ છું એટલે જ મારા અંગે આવી ટિપ્પણી કરાઈ છે.
દરમિયાન મોદી-પ્રિયંકાની લડાઈમાં આજે રાહુલ ગાંધીએ કૂદકો માર્યો. રાહુલે જણાવ્યું કે વ્યક્તિ જાતિથી નીચ નથી હોતી, પણ કર્મોથી નીચ હોય છે. રાહુલના આવા નિવેદનનો પણ મોદીએ તરત જ વળતો પ્રહાર કર્યો અને કોંગ્રેસે કરેલા તમામ કૌભાંડોને નીચ કર્મ ગણાવ્યાં. નરેન્દ્ર મોદીએ નિર્ભયા ફંડના પૈસા ન ખર્ચવાને નીચ કર્મ ગણાવ્યાં, કૉમનવેલ્થ કૌભાંડને નીચ કર્મ ગણાવ્યાં. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપર લાગેલા તમામ આરોપોને નીચ કર્મ ગણાવ્યાં અને મોદીના આ હુમલા ઉપરથી લાગે છે કે જાણે ‘નીચ' શબ્દ પ્રયોગ કરી પ્રિયંકાએ સાચે જ મોટી ચૂક કરી દીધી.
‘નીચ વૉર'માં દરેક પગલે નરેન્દ્ર મોદીનો હાથ ઉપર રહેતા પ્રકાશ ઝાની ફિલ્મ રાજનીતિનો એક ડાયલૉગ અનાયાસે જ યાદ આવી જાય છે. ફિલ્મમાં મનોજ બાજપાઈ એક ચૂંટણી સભાને સંબોધતા કહે છે - બેબુનિયાદ આરોપ, મનગઢંત સ્કૅન્ડલ ઔર ખોદ ખોદ ખોદ કે કીચડ ઉછાલ રહે હૈં હમ પર. આસમાન મેં થૂકને વાલે કો શાયદ યે પતા નહીં હૈ કિ પલટ કે થૂક ઉન્હીં કે ચેહરે પર ગિરેગા. નીચ વૉરના અત્યાર સુધીના પ્રહાર-પ્રતિપ્રહાર બાદ તો પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક છે કે શું પ્રિયંકા ગાંધી વાડ્રાએ ‘નીચ રાજનીતિ' શબ્દ બોલી આકાશમાં થૂંક ઉડાડ્યું છે?
ચાલો સ્લાઇડર સાથે જાણીએ ‘નીચ વૉર' દ્વારા કઈ રીતે પ્રિયંકા ગાંધીનુ બાલિશપણુ અને નફરતનું રાજકારણ કઈ રીતે સાબિત થાય છે :
હળવા હુમલા
પ્રિયંકા ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે એમ તો આ લોકસભા ચૂંટણી 2014માં કોઈ પણ મુદ્દે કે કોઈ પણ આધારે કોઈ સંઘર્ષ હતો જ નહીં. નરેન્દ્ર મોદી પોતે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ભાજપના એક નેતા તરીકે કોંગ્રેસ પક્ષ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધીને જ નિશાન બનાવતા હતાં, તો પ્રિયંકા ગાંધી મોદી વિરુદ્ધ નિવેદનો તો કરતા હતાં, પરંતુ તેમની વાણીમાં આટલી કડવાશ નહોતી.
ડીડીના ઇંટરવ્યૂએ છેડ્યો મધપૂડો
મોદી-પ્રિયંકા વૉરની શરુઆત થઈ દૂરદર્શન પર પ્રસારિત થયેલ નરેન્દ્ર મોદીના એડિટેડ ઇંટરવ્યૂ સાથે અને આ સાથે જ એવા સમાચારો વહેતા થયાં કે મોદીએ આ ઇંટરવ્યૂ દરમિયાન પ્રિયંકાને પોતાની દીકરી જેવી ગણાવી અને દૂરદર્શને આ ભાગ જ પ્રસારણમાંથી હટાવી દીધો હતો.
પિતાના નામે બિનજરૂરી લાગણીશીલ
એક સમાચાર પત્રમાં જ્યારે આ સમાચાર પ્રકાશિત થયાં કે મોદીએ પ્રિયંકાને દીકરી જેવી ગણાવી છે, ત્યારે પ્રિયંકાએ વળતો પ્રહાર કરતાં જણાવ્યુ હતું કે તેમના પિતા રાજીવ ગાંધી હતાં અને તેઓ તેમનું સ્થાન કોઈને ન આપી શકે. પ્રિયંકા ગાંધીના આ નિવેદનમાં સ્પષ્ટ રીતે નફરતનું રાજકારણ ઝલકતુ હતું. મોદીએ જો તેમને દીકરી જેવી ગણાવી પણ હોત, તો શું વાંધો હતો. મોદી અને પ્રિયંકાની ઉંમરનો તફાવત એક પિતા-પુત્રી જેટલો જ છે. કોઈ દીકરી જેવી કહે, તો એનો મતલબ એ તો નથી થતો કે તે બાપ બનવા કે બાપનું સ્થાન લેવા માંગે છે?
મોદીનો ખુલાસો-પ્રિયંકાને તમાચો
નરેન્દ્ર મોદીએ અખબારમાં પ્રસિદ્ધ થયેલ ખોટા અહેવાલો બાદ દૂરદર્શનને આપેલ પોતાનું અનએડિટેડ ઇંટરવ્યૂ પોતાની ઑફિસ દ્વારા જારી કરાવ્યું. આ અનકટ ઇંટરવ્યૂ બાદ સ્પષ્ટ થઈ ગયું કે નરેન્દ્ર મોદીએ પ્રિયંકા ગાંધી વાડ્રાને ક્યાંય પણ દીકરી જેવી ગણાવી નહોતી. મોદીએ એટલુ જ કહ્યુ હતું કે પ્રિયંકા ગાંધી સોનિયા ગાંધીના દીકરી છે અને દીકરી તરીકે તેઓ માતા માટે મહેનત કરી રહ્યાં છે. તેના માટે હું સન્માન ધરાવુ છું. આ ખુલાસો પ્રિયંકાના રાજકીય દ્વેષને તમાચા જેવો જ હતો.
‘નીચ રાજનીતિ' કહી વિવેક ભૂલ્યાં
પ્રિયંકાએ નરેન્દ્ર મોદી પ્રત્યે નફરતના રાજકારણની બાબતમાં ત્યારે હદ વટાવી દીધી કે જ્યારે તેમણે ટ્વીટ કર મોદીને નીચ રાજનીતિ કરનાર કહ્યાં. મોદીએ અમેઠીમાં યોજાયેલ ચૂંટણી સભામાં નફરતના રાજકારણ અંગે કહ્યુ હતું કે રાજીવ ગાંધી જ્યારે કોંગ્રેસના માત્ર મહામંત્રી હતાં, ત્યારે તેમણે આંધ્ર પ્રદેશના વયોવૃદ્ધ મુખ્યમંત્રીને ઍરપોર્ટ ઉપર મોડા આવવા બદલ ખખડાવ્યા હતાં. નફરતનું રાજકારણ આને કહેવાય. મોદીના આ નિવેદનના જવાબમાં પ્રિયંકાએ વિવેક ભૂલી ગયાં અને તેમણે ટ્વીટ કર્યુ હતું કે મોદીએ મારા શહીદ પિતાનું અપમાન કર્યું છે. પ્રિયંકાએ આને નીચ રાજનીતિ ગણાવી કહ્યુ હતું કે અમેઠીના લોકો આનો જવાબ આપશે.
મોદીનો હુમલો
નરેન્દ્ર મોદીએ પ્રિયંકાના નીચ રાજનીતિ શબ્દને પકડી લીધો અને વળતો પ્રહાર કરતા જણાવ્યું કે તેઓ નીચી જાતિમાંથી આવે છે એટલે જ તેમની વિરુદ્ધ આવા શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નીચી જાતિનું હોવું ગુનો નથી.
રાહુલનો જવાબ
રાહુલ ગાંધીએ મોદીના આ હુમલાના જવાબમાં જણાવ્યું કે વ્યક્તિ જાતિથી નહીં, કર્મોથી નીચ ગણાય છે.
મોદીનો વળતો પ્રહાર
રાહુલના આ નિવેદન સામે મોદીએ વળતો અને વિસ્તૃત પ્રહાર કર્યો. મોદીએ કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારના તમામ આરોપો અને કૃત્યોને નીચ કર્મ ગણાવ્યાં. મોદીએ નીચ કર્મની વ્યાખ્યા આપી રાહુલ ગાંધી ઉપર જોરદાર હુમલો કર્યો.
ચૂક કરી પ્રિયંકાએ
આમ આ સમગ્ર પ્રકરણમાં પ્રિયંકા ગાંધીની મોટી ચૂક દેખાઈ આવે છે. રાજકારણમાં અપશબ્દો તો કહેવાતા હોય છે, પરંતુ લાગણીશીલ બની રાજકીય દ્વેષ અને ખુન્નસ સાથે આવા નિવેદન આપી પ્રિયંકાએ પોતાની જાતને રાજકીય રીતે અપરિપક્વ સાબિત કરી. એટલુ જ નહીં, નફરત અને દ્વેષપૂર્ણ રાજકારણ કરવાનું પણ સાબિત કર્યું છે.