Pushkar Brahma Temple : શા માટે કપાયું બ્રહ્માજીનું પાંચમું મસ્તક? આ કારણે નથી થતી પૂજા
સતરૂપાએ તેમની નજરથી બચવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગઇ. જ્યારે સતરૂપાએ પોતાને બચાવવા માટે ઉપર તરફ જતી રહી, ત્યારે બ્રહ્માજીએ તેમનું એક માથું ઉપરની તરફ વિકસાવ્યું. શિવજી બ્રહ્માની આ બધી ક્રિયાઓ જોઈ રહ્યા હતા.
Pushkar Brahma Temple : હિન્દુ ધર્મમાં 33 કોટી દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવે છે, પરંતુ સમગ્ર સૃષ્ટિના સર્જક બ્રહ્માની પૂજા દેશમાં કરવામાં આવતી નથી. આ સાથે દેશમાં બ્રહ્માના મંદિર બહુ ઓછા છે. બ્રહ્માની પૂજા ઘરોમાં કરવામાં આવતી નથી. પુષ્કરમાં એક પ્રખ્યાત મંદિર છે જ્યાં ભગવાન બ્રહ્માની પૂજા કરવામાં આવે છે. આ સાથે ગુજરાતમાં ખેડબ્રહ્મામાં પણ બ્રહ્માનું મંદિર છે.
આ કારણે કપાયું બ્રહ્માજીનું પાંચમું મસ્તક
શું તમે જાણો છો કે, ભગવાન બ્રહ્માના ચાર નહીં, પણ પાંચ મસ્તક હતા. બ્રહ્માનું પાંચમુ માથું ભગવાન શિવે કાપી નાખ્યું હતું. શાસ્ત્રો અનુસાર, જ્યારે ભગવાન બ્રહ્મા વિશ્વની રચના કરી રહ્યા હતા, ત્યારે તેમણે એક ખૂબ જ સુંદર સ્ત્રીની રચના કરી હતી, જે સતરૂપા હતી. તે એટલી સુંદર હતી કે, ભગવાન બ્રહ્મા પોતે તેના પર મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જે વચ્ચે બ્રહ્મા તેની સામે જોવા લાગ્યા હતા.
સતરૂપાએ તેમની નજરથી બચવા માટે ઘણો પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ ગઇ. જ્યારે સતરૂપાએ પોતાને બચાવવા માટે ઉપર તરફ જતી રહી, ત્યારે બ્રહ્માજીએ તેમનું એક માથું ઉપરની તરફ વિકસાવ્યું. શિવજી બ્રહ્માની આ બધી ક્રિયાઓ જોઈ રહ્યા હતા. ભગવાન શિવની દ્રષ્ટિએ, સતરૂપા બ્રહ્માની પુત્રી સમાન હતી, તેથી તેમણે આ ગંભીર પાપ કર્યું છે. જેથી શિવજીએ બ્રહ્માનું પાંચમું માથું કાપી નાખ્યું હતું.
પુષ્કરની પૌરાણિક કથા:
એક દંતકથા અનુસાર, એવું માનવામાં આવે છે કે, એકવાર ભગવાન બ્રહ્માએ પૃથ્વી પર યજ્ઞ કરવાનું વિચાર્યું હતું. આ માટે તેમણે પૃથ્વી પર કમળનું ફૂલ મોકલ્યું હતું. કમળનું ફૂલ જ્યાં પડ્યું, તે સ્થાન રાજસ્થાનનું પુષ્કર હતું. જ્યારે કમળના ફૂલનો એક ભાગ પડી ગયો, ત્યારે તે જગ્યાએ એક તળાવ બન્યું.
જ્યારે બ્રહ્મા યજ્ઞ કરવા પૃથ્વી પર આવ્યા, ત્યારે તેમની પત્ની સાવિત્રી તે સ્થાન પર આવી શકી ન હતી. કારણ કે, તેમને કંઈપણ ખબર ન હતી. યજ્ઞનો શુભ સમય પસાર થઈ રહ્યો હતો અને બધા દેવતાઓ પણ યજ્ઞસ્થળે પહોંચી ગયા હતા. શુભ સમય પસાર ન થાય તે માટે બ્રહ્માજીએ નંદિની ગાયના મુખમાંથી માતા ગાયત્રી પ્રગટ કરી અને તેની સાથે લગ્ન કર્યા હતા અને તેમની સાથે શુભ મુહૂર્તમાં યજ્ઞ કરાવ્યો હતો.
થોડા સમય બાદ જ્યારે તેમની પત્ની સાવિત્રીને ખબર પડી, તો તેમણે પણ પૃથ્વી લોક પાસે પહોંચી, જ્યાં ગાયત્રી માતાને પોતાની બાજુમાં જોઈને તેઓ ગુસ્સે થઈ ગયા અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે, હવે પૃથ્વીલોકમાં તમારી પૂજા નહીં થાય.
આ શ્રાપ બાદ તમામ દેવી-દેવતાઓએ તેને પોતાનું વચન પાછું લેવા વિનંતી કરી, ત્યારબાદ તેમણે પોતાનો શ્રાપ પાછો લઈ લીધો અને કહ્યું કે, પુષ્કરમાં જ બ્રહ્માજીની પૂજા થશે. ત્યારથી સમગ્ર દેશ અને દુનિયામાં બ્રહ્માજીની પૂજા માત્ર પુષ્કરમાં જ થાય છે.