આજની પેઢી માટે ગાંધી જયંતિ એટલે માત્ર રજાની મજા !!
રાકેશ પંચાલ, ચરોતર: જેમણે પોતાનો જન્મદિવસ ક્યારેય ઉજવ્યો નથી તેવા મહાત્મા ગાંધીના જન્મ દિને દેશભરમાં સરકારી તંત્રની સાથે મોટાભાગનો નોકરીયાત રજાની મજા લે છે. પરંતુ હવે જાણે ગાંધી જયંતિ એક રજાનું નામ બની ગયું હોય એમ લાગે છે.
આ ઉપરાંત લોકોને ગાંધી વિચારસરણી સાથે જાણે કોઈને નિસ્બત નથી તેમ મોટાભાગનો વર્ગ કહેતો રહે છે. તેવી પરિસ્થિતિમાં આજનો યુવાવર્ગના મનમાં ગાંધી અને તેમનું સરળ જીવન ઉપરાંત ગાંધી વિચારસરણીને પોતાના રોજિંદા જીવનમાં અપનાવું કેટલું શક્ય લાગે છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
અનેક યુવાનો સાથે ગાંધીની છબી તેમજ ગાંધીની વિચારસરણી તેમજ સાદું જીવન ઉપરાંત દેશના સળગતા પ્રશ્નોનું નિરાકરણ વર્તમાન સમયમાં ગાંધીના માર્ગે શક્ય છે કે નહીં તે બાબતે પ્રશ્નો કરવામાં આવ્યાં હતા. તે ઉપરાંત બીજી ઓક્ટોબરે ગાંધી નિર્વાણ દિને શહીદોની યાદમાં સવારે અગિયાર વાગ્યે પળાતા બે મિનિટના મૌન બાબતે પ્રશ્નો કરવામાં આવ્યા હતા.
શું માને છે આજના કોલજીયનો
કોલેજોના વિધાર્થીઓ માને છે કે વધી રહેલી આધુનિક્તા વચ્ચે સહજ સામાન્ય જીવનશૈલી શક્ય નથી. ગાંધી નિર્વાણ દિને પળાતાં બે મિનિટના મૌન વિશે મોટાભાગનો યુવાવર્ગ અજાણ છે. જ્યારે દેશમાં વધી રહેલી આતંકવાદને નાથવા ગાંધી વિચારસરણી કામે ન લાગે તેમ મોટાભાગના કોલજીયનો જણાવી રહ્યાં છે.
મોબાઈલ, ફેશનેબલ કપડાં અને વાહન વગરનું જીવન અશક્ય
મેનેજમેન્ટ કોલેજમાં અભ્યાસ કરતી ઝંખના પટેલના મતે અહિંસા અને સત્યની પ્રેરણા આપનારા ગાંધીજી નવા પેઢીના માર્ગદર્શક છે. પરંતુ આ માર્ગ ઘણો કઠણ છે. મેં ગાંધી પુસ્તક વાચ્યું છે અને હું તેમની ફિલોસોફી સાથે સહમત છું અને થોડા અંશે સત્ય અને અહિંસાના માર્ગે ચાલવાની કોશિશ કરું છું. ગાંધીજીની વિચારસરણીથી આમ આદમીના જીવનની તેમજ વિશ્વવ્યાપી કેટલી સમસ્યાઓનો ઉકેલ ગાંધીજીની વિચારસરણી પ્રમાણે થઈ શકે પરંતુ આતંકવાદના મુદ્દે હું અસહમત છું. ગાંધી નિર્વાણ દિનના મહત્વને જાણતી આ યુવતીના મતે જાહેર જીવનમાં ખોવાઈ રહેલી સાદગીને ધારણ કરવી તેને માટે ઘણું કઠણ છે. મોબાઈલ, ફેશનેબલ કપડાં અને વાહન વગરનું જીવન અશક્ય બાબત છે.
ગાંધીજીની વિચારસરણી વર્તમાન સમયમાં પ્રેક્ટીકલ નથી
બી.એમાં અભ્યાસ કરી રહેલ સિધ્ધાંત મહંતના મતે ગાંધી એક વિચાર છે જે સત્ય, અહિંસા અને સાદગીનું પ્રેરકબળ છે પરંતુ આજની પેઢીમાં ગાંધી એક નામ છે. ગાંધીજીની વિચારસરણી વર્તમાન સમયમાં પ્રેક્ટીકલ નથી જેથી હું સહમત નથી. મારા મતે હિંસાનો જવાબ હિંસાથી હોય અને કોઈના ભલા માટે અસત્ય બોલવું કોઈ પાપ નથી. મેં ગાંધીના વિચારો પુસ્તક વાચ્યું છે પરંતુ ગાંધી નિર્વાણ દિન બાબતે કોઈ જાણકારી નથી. મારી માટે સાદગી અપનાવવી શક્ય નથી અને મારા મતે મોબાઈલ, આધુનિક ઉપકરણો અને ફેશનેબલ કપડાં વગરનું જીવન બંધ દરવાજાવાળું ઘર છે.
સત્ય, અહિંસા થોડા અંશે શક્ય પરંતુ સાદગી અશક્ય
સંયુક્ત કુંટુંબનું મહત્વ સમજતાં નડિયાદના નિતીનભાઈ શાહે પોતાના પિતા વસંતભાઈને અંત સમય સુધી ગાંધીજીની વિચારસરણી પ્રમાણે જીવન જીવતાં જોયા છે અને આ મુલ્યોનું મહત્વ સમજીને પોતાના જીવનમાં મોટાભાગે અમલ કરે છે જેના તેમને સારા નરસા પરિણામો મળ્યાં છે. ગાંધીજીની વિચારસરણીનું મહત્વ પોતાની આગલી પેઢી સમજે તે હેતુથી પોતાના સંતાનો સાથે ચર્ચા વિચારણા કરે છે પરંતુ તે સમયે સ્વર્ગસ્થ પિતાની ખોટ હરહમેશની જેમ વર્તાઈ છે. જોકે તેમની પુત્રી શ્રીનાનાં મતે ગાંધીની વિચારસરણી જુની છે જે વર્તમાન સમયે પ્રસ્તુત નથી. જેમાં કદાચ સત્ય, અહિંસાને અપનાવી થોડા અંશે શક્ય બની શકે પરંતુ સાદગી અશક્ય બાબત છે.