વર્લ્ડ આર્થરાઈટિસ ડે : વિટામીન ડીની ઉણપ અને તેના પરિણામો
અમદાવાદ, 11 ઓક્ટોબર : દર વર્ષે 12 ઓક્ટોબરે વર્લ્ડ આર્થરાઈટિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. માત્ર ભારતમાં જ 15 ટકા એટલે કે આશરે 18 કરોડ લોકો આ શક્તિહીન કરી દેતી વ્યાધિથી પીડાતા હોવાનો અંદાજ છે. ઓસ્ટિયોઆર્થરાઈટિસ (અસ્થિ કે સંધિકોપ), રૂમેટોઈડ આર્થરાઈટિસ (આરએ) અને સોરિયાટિક આર્થરાઈટિસ એ સંધિવાના સૌથી સામાન્ય પ્રકારો છે. તાજેતરના સંશોધનમાં એવો સંકેત મળ્યો છે કે વિટામીન ડીની ઉણપના લીધે માત્ર રૂમેટોઈડ આર્થરાઈટિસ જ થતો નથી, પણ વિટામીન ડીની ઉણપ ધરાવનાર રૂમેટોઈડ આર્થરાઈટિસના દર્દીઓમાં હૃદયનો રોગ થવાનું જોખમ વધુ રહે છે.
જર્નલ ન્યુટ્રિયન્સમાં પ્રસિદ્ધ થયેલ એક અભ્યાસમાં કેનેડાની યુનિવર્સિટી ઓફ સાસ્કેટશેવનના સંશોધકોએ એક સામુદાયિક ક્લિનિકમાં 116 દર્દીઓમાં વિટામીન ડીની સ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું. આ પૈકીના 60 દર્દીઓ સંધિવાને લગતા રોગોથી પીડાતા હતા. સંશોધકોને જણાઈ આવ્યું હતું કે ઓટોઈમ્યુન રૂમેટિક રોગ (રૂમેટોઈડ આર્થરાઈટિસ જેવા)થી પીડાતા દર્દીઓમાં વિટામીન ડીનું સ્તર નોંધપાત્રપણે કથળેલું હતું.

હૈદરાબાદની અપોલો હોસ્પિટલના રૂમેટોલોજિસ્ટ ડો. મનીષ ડુગર આ અભ્યાસને ટેકો આપતા જણાવે છે કે રૂમેટોઈડ આર્થરાઈટિસ ધરાવતા દર્દીઓમાં સામાન્યપણે વિટામીન ડીની ઉણપ જોવા મળી છે અને વિટામીન ડીની ઉણપને રૂમેટોઈડ આર્થરાઈટિસ રોગની ગંભીરતા સાથે સાંકળી શકાય છે. રૂમેટોઈડ આર્થરાઈટિસ કોઈપણ વયે થઈ શકે છે પણ સર્વસામાન્ય 40 અને 60 વર્ષની વયની વચ્ચે તેની શરૂઆત થાય છે. આ રોગ પુરૂષો કરતાં મહિલાઓમાં ત્રણ ગણો વધારે જોવા મળે છે. વિટામીન ડીની ઉણપ ધરાવતા રૂમેટોઈડ આર્થરાઈટિસના દર્દીઓમાં હૃદયના રોગ થવાનું જોખમ નોંધપાત્ર પ્રમાણમાં વધારે હોય છે.
રૂમેટોઈડ આર્થરાઈટિસ એ સંધિવાના વિકારના સૌથી સામાન્ય અને ગંભીર પ્રકાર પૈકીનો એક છે જેમાં શરીરની પોતાની જ રોગપ્રતિકારક વ્યવસ્થા શરીરના કોષમંડળ (ટિશ્યૂ) પર હુમલો કરવાનું શરૂ કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વની વસતિનો એક ટકા હિસ્સો રૂમેટોઈડ આર્થરાઈટિસના હઠીલા રોગLr પીડાય છે.
આ ઉપરાંત સંશોધકોને જણાયું છે કે રૂમેટોઈડ આર્થરાઈટિસના દર્દીઓ પૈકી વિટામીન ડીનું નીચું સ્તર રૂમેટોઈડ આર્થરાઈટિસના વધુ ગંભીર લક્ષણો સાથે પ્રત્યક્ષપણે સંકળાયેલું હતું. રોગપ્રતિકારક વ્યવસ્થાના નિયમનમાં વિટામીન ડી એક નિર્ણાયક ભૂમિકા ભજવતું જોવા મળ્યું છે. વિટામીન ડીના સ્તર સાથે વિવિધ ઓટોઈમ્યુન રોગોનું ઊંચું જોખમ જોડાયેલું છે. વિટામીન ડી એ રોગપ્રતિકારક વ્યવસ્થા માટે પોલીસ જવાનની ગરજ સારે છે અને ઓટોઈમ્યુનના પ્રવાહને યોગ્ય દિશામાં વાળે છે.
વર્ષ 2004માં જર્નલ આર્થરાઈટિસ એન્ડ રૂમેટિઝમમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં એવું જણાવવામાં આવ્યું છે કે આહારમાં વિટામીન ડીનું ઉચ્ચ સ્તર રૂમેટોઈડ આર્થરાઈટિસની વૃદ્ધિને અટકાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે. સંશોધકોએ લોવા વુમન્સ હેલ્થ સ્ટડીમાં સામેલ થનારી 55થી 69 વર્ષની વચ્ચેની વયની લગભગ 30,000 મહિલાઓની વિગતોનું વિશ્લેષણ કર્યું હતું અને 11 વર્ષ સુધી તપાસ ચાલુ રાખી હતી. અભ્યાસમાં સહભાગી થનારા લોકોની નિયત સમયાંતરે તેમના આરોગ્યની સ્થિતિ, ખાવાપીવાની આદતો અને પોષણ સંબંધી સપ્લીમેન્ટ્સના ઉપયોગ વિશે પૂછપરછ કરાઈ હતી. એક દશક સુધી ચાલેલા આ અભ્યાસ દરમિયાન 152 સહભાગીઓમાં રૂમેટોઈડ આર્થરાઈટિસના રોગનું નિદાન થયું હતું.
સંશોધકોને જણાયું હતું કે આહારમાં સૌથી વધુ વિટામીન ડી લેનારી મહિલાઓમાં સંધિવા થવાનું જોખમ સૌથી ઓછું હતું. આનાથી વિપરિત આહારમાં પ્રતિદિન વિટામીન ડીના 200 ઈન્ટરનેશનલ યુનિટ્સ (આઈયુ) કરતાં પણ ઓછા વિટામીન ડીનો સમાવેશ કરનારી મહિલાઓમાં આ રોગ થવાનું જોખમ આહારમાં વધુ વિટામીન ડી લેનારી મહિલાઓની સરખામણીએ 33 ટકા વધારે હતું.
વિટામીન ડીના ઉચ્ચ સ્તરને વિવિધ ઓટોઈમ્યુન રોગો તેમજ હૃદયના રોગ, ડાયાબિટિસ અને કેન્સરના નીચા દર સાથે જોવામાં આવ્યું છે. કેટલોક ખોરાક વિટામીન ડી વડે સમૃદ્ધ હોય છે તેમ છતાં શરીરમાં આ શક્તિશાળી પોષકતત્વનું સ્તર વધારવા માટે આ વિટામીનને પૂરક સ્વરૂપે પણ લઈ શકાય છે. વિટામીન ડીની ઉણપથી પીડાતા દર્દીઓએ પ્રતિદિન વિટામીન ડીના ઓછામાં ઓછા 1,000 ઈન્ટરનેશનલ યુનિટ્સનો ડોઝ લેવો જોઈએ. જોકે વિટામીન ડીના પૂરક ડોઝને લેવાનું શરૂ કરતાં પૂર્વે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
