Excl : કોંગ્રેસ-કેશુભાઈને ‘મિથુન’ ડુબાડશે, મોદીનું રાજતિલક નક્કી ?
અમદાવાદ, 12 ડિસેમ્બર : દેશ-વિદેશમાં વિકાસના મૉડેલ તરીકે જાણીતાં ગુજરાતમાં ચુંટણીનો સંગ્રામ પરાકાષ્ઠાએ છે. દરેક રાજકીય પક્ષ પોતાના લોભામણા વાયદોનો પટારો ખોલી બેઠો છે, પરંતુ સામાન્ય પ્રજા સમયની સાથે સમજુ થતી જાય છે. એમ તો ચુંટણી અગાઉ દરેક રાજકીય પક્ષ પોત-પોતાની જીતના દાવા કરતો હોય છે. આ કોઈ નવી વાત નથી, પરંતુ ગુજરાતની આ ચુંટણીમાં સિતારાઓની ચાલ કોને અનુકૂળ રહેશે, એ જાણવું રસપ્રદ રહેશે.
એમ તો ચુંટણી પરિણામોને હવે અઠવાડિયું જ બાકી છે, પરંતુ આમ છતાં ગ્રહોની ચાલ દ્વારા જાણવાની કોશિશ કરાઈ છે કે ગુજરાતના આગામી મુખ્યમંત્રી કોણ હશે?
જાણીતાં જ્યોતિષશાસ્ત્રી પંડિત અનુજ કે. શુક્લે જણાવ્યું કે ગુજરાત વિધાનસભા ચુંટણી 2012 મુખ્યત્વે ત્રણ ખૂણે લડાઈ રહી છે. એક ખૂણે કોંગ્રેસ, બીજા ખૂણે કેશુભાઈ પટેલ અને ત્રીજા ખૂણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે. આમ ગ્રહોની ચાલ પણ આ ત્રણેના નામ અને રાશિ મુજબ કરવી યોગ્ય ગણાશે.
સૌપ્રથમ જોઇએ દેશના સૌથી જૂના પક્ષ કોંગ્રેસ વિશે. કોંગ્રેસ પક્ષની નામ રાશિ છે મિથુન. મિથુન એક દ્વિસ્વભાવ ધરાવતી રાશિ છે અને તેનો સ્વામી બુધ ગ્રહ છે. બુધ વાણી તેમજ બૌદ્ધિકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી કોંગ્રેસની કથણી અને કરણીમાં અનિશ્ચિતતા પ્રવર્તે છે. હાલમાં બુધ શત્રુ રાશિ વૃશ્ચિકમાં ભ્રમણ કરી રહ્યો છે. માટે બે દશકાથી પણ વધુ સમયથી સત્તામાં વનવાસ ભોગવતા કોંગ્રેસ પક્ષની આશાઓ પર પાણી ફરવાની શક્યતા લાગે છે.
હવે જાણીએ કેશુભાઈ પટેલ વિશે. ગુજરાતમાં લેઉવા પટેલનું પ્રતિનિધિત્વ કરવાનો દાવા કરતા કેશુભાઈ પટેલની નામ રાશિ પણ મિથુન છે. કોંગ્રેસ અને કેશુભાઈ બંનેની મિથુન રાશિ છે. ગુજરાતની ચુંટણીમાં કેશુભાઈ ફૅક્ટર કોઈ પરિવર્તન તો નહીં લાવી શકે, પરંતુ કેશુભાઈનો પોતાનો રાજકીય પરાભવ લગભગ નક્કી જ છે.
આમ કોંગ્રેસ અને કેશુભાઈ અંગે ગ્રહોની ચાલ સ્પષ્ટ રીતે જણાવે છે કે ગુજરાતની ચુંટણીમાં આ બંનેને તેમની રાશિ મિથુન ડુબાડી શકે છે.
સિતારાઓ મોદીના પક્ષે
ગુજરાત ચુંટણીમાં મુખ્ય પરિબળ પક્ષ છે ભાજપ. ગુજરાતમાં ભાજપનો અસ્તિત્વ નરેન્દ્ર મોદીના વ્યાપક વ્યક્તિત્વ તેમજ કાર્ય કરવાની શૈલી ઉપર અવલમ્બે છે. મોદીનો જન્મ લગ્ન વૃશ્ચિક છે કે જે એક સ્થિર રાશિ છે. મોદી જે નક્કી કરી લે, તેની ઉપર સ્થિર અને અડગ રહે છે. લક્ષ્ય નક્કી કર્યા પછી તેમને તે લક્ષ્ય સુધી પહોંચતાં કોઈ રોકી શકતું નથી. વૃશ્ચિક રાશિ એક જળ તત્વ રાશિ છે કે જે જાતકની ઉર્વર કલ્પના શક્તિ, તીવ્ર બુદ્ધિમત્તા, દૂરદર્શિતા તેમજ ઊંડી સંવેદનશીલતાની દ્યોતક છે. વૃશ્ચિક રાશિ મોદીમાં નોંધનીય આંતરપ્રેરણા શક્તિ વ્યક્ત કરે છે કે જે તેમને કોઈ પણ વિષયનું સૂક્ષ્મ પરીક્ષણ, નિરીક્ષણ અને વિશ્લેષણ કરવાની ક્ષમતા આપે છે. લગ્નમાં વૃશ્ચિકનો મંગળ રૂચક મહાપરુષ યોગનું નિર્માણ કરી રહ્યો છે કે જેથી મોદીમાં સાહસ, સ્વાતંત્ર્ય, ઉદારતા, પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ધૈર્ય જાળવી રાખવું તેમજ વિરોધીઓને નિરુત્તર કરવાની પ્રવૃત્તિ જેવા ગુણોની હાજરી વ્યક્ત કરે છે.
જન્મ કુંડળીનો સારો સંકેત
વર્તમાનમાં મોદીની જન્મકુંડળીમાં ચંદ્રની મહાદશામાં રાહુનો અંતર તથા શનિનો પ્રત્યુન્તર ચાલી રહ્યો છે. ચંદ્રમા ભાગ્યેશ થઈ લગ્નમાં નીચ રાશિમાં બેસાડી નીચભંગ રાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. પંચમનો રાહુ તીક્ષ્ણ બુદ્ધિના કારણે પ્રસિદ્ધિ અને કીર્તિ અપાવે છે. શનિ તૃતીયેશ તેમજ ચતુર્થેશ થઈ દશમ ભાવે આધિપત્ય જમાવી બેઠો છે. દશમ ભાવનો શનિ ઉચ્ચ પદનો સંકેતક છે. ગોચરમાં શનિ તુલા રાશિમાં ઉચ્ચનો બની ભ્રમણ કરી રહ્યો છે જે એક સારો સંકેત છે.
20 ડિસેમ્બરનો પૂર્વાભાદ્રપદ નક્ષત્ર પણ મજબૂત કરશે
વિધાનસભા ચુંટણીના પરિણામો 20મી ડિસેમ્બરના રોજ આવનાર છે. તે દિવસે ક્ષિતિજે પૂર્વાભાદ્રપદ નક્ષત્ર રહેશે. મોદીનો જન્મ અનુરાધા નક્ષત્રે થયો છે. તારા ચક્ર મુજબ અનુરાધા નક્ષત્ર ગણતા નવમા નંબરનો નક્ષત્ર પૂર્વાભાદ્રપદ આવે છે કે જે અતિમિત્ર નક્ષત્રોની શ્રેણીમાં આવે છે. તેથી મોદીનો પક્ષ વધુ મજબૂત બનશે.
અંકશાસ્ત્ર મુજબ 134 સીટો, ટોચના અવરોધો પણ હટશે
અંકશાસ્ત્ર મુજબ જોઇએ તો ભાજપને 134 સીટો મળી શકે છે. મોદીની જન્મ તારીખ 17-09-1950 છે કે જેનો મૂળાંક 8, ભાગ્યાંક 5 અને નામાંક 5 છે. આ ત્રણે અંકોમાં પરસ્પર મૈત્રી સંબંધ છે. પરિણામ જાહેર થવાની તારીખ 20મી ડિસેમ્બરના અંકોનો સરવાળો 5 થાય છે અને વર્ષ 2012ના અંકો જોડતાં પણ 5 આવે છે. આ તમામ નિયતિના સંકેતો મેળવતાં પરિણામ કળી શકાય છે. પ્રથમ - વિકાસના એજન્ડાને પ્રાથમિકતા આપનાર મોદીની રાજકીય સીડીની ટોચે પહોંચવાની સંભવિત યાત્રામાં આવતા અવરોધો દૂર થશે. દ્વિતીય - નરેન્દ્ર મોદી લગભગ 134 સીટો પામી સતત ત્રીજી વાર ગુજરાતની ગાદી સંભાળી ઇતિહાસ રચી શકે છે.













Click it and Unblock the Notifications
