દિગ્દર્શન ક્ષેત્રે બીજી ઇનિંગ શરૂ કરશે આમિર ખાન
મુંબઈ, 24 નવેમ્બર : બૉલીવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ આમિર ખાન ફરી એક વાર ફિલ્મ દિગ્દર્શન ક્ષેત્રે પગલુ મુકવા માંગે છે. આમિર ખાને તાજેતરમાં જ રિયાલિટી શો સત્યમેવ જયતેના કો-પ્રોડ્યુસર બની આ શો વડે દેશ ભરમાં ખૂબ નામ કમાવ્યું. સત્યમેવ જયતેએ માત્ર સામાન્ય માણસ જ નહિં, પણ સમાજના ઉચ્ચ વર્ગો સુદ્ધાને દેશના બહેતર ભવિષ્ય માટે વિચારવા મજબૂર કર્યા હતાં.
આ અગાઉ આમિરે પોતાના પ્રોડક્શન હાઉસમાંથી અનેક ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને હવે તેઓ જે ફિલ્મનું નિર્માણ કરવાનું વિચારે છે, તે તેમના માટે માત્ર એક ફિલ્મ જ નહિં, પણ તેમનું સપનું પણ છે.
આમિર ખાને 2001માં પોતાની પ્રોડક્શન કમ્પની શરૂ કરી હતી અને નિર્માતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી લગાન. આ ફિલ્મ ઑસ્કાર માટે મોકલવામાં આવી હતી. પછી 2007માં આમિરે તારે જમીન પર બનાવી કે જેણે સારો બિઝનેસ કર્યો. તેને પણ બેસ્ટ ફિલ્મનો ઍવૉર્ડ મળ્યો અને સાથે જ આમિરને બેસ્ટ દિગ્દર્શક તરીકેનો ઍવૉર્ડ હાસલ થયો. 2008માં જ આમિરે પોતાના ભત્રીજા ઇમરાન ખાનને લઈ ફિલ્મ જાને તૂ યા ના જાને ના બનાવી કે જે તે વરસની સૌથી મોટી હિટ સાબિત થઈ. પછી 2011માં તેમણે ધોબી ઘાટ ફિલ્મ બનાવી કે જેને અપેક્ષિત સફળતા મળી નહિં.
હવે આમિર જે ફિલ્મના નિર્માણ અંગે વિચારે છે, તે ફિલ્મની વાર્તા તેમનું એક સપનું છે. આ ફિલ્મ અંગે આમિર ખૂબ જ ઉત્સાહિત છે. હાલ તો આમિર સત્યમેવ જયતે પાર્ટ 2, ધૂમ 3 તેમજ તલાશ ફિલ્મોના કારણે ખૂબ જ વ્યસ્ત છે, પરંતુ ટુંકમાં જ આ તમામ બાબતોમાંથી ફ્રી થઈ તેઓ આગામી ફિલ્મ ઉપર કામ શરૂ કરશે. બેસ્ટ દિગ્દર્શક તો આમિર અગાઉ જ બની ચુક્યાં છે અને આપણે આશા રાખીએ કે મિસ્ટર પરફેક્ટનિસ્ટ જે કઈં કરશે, તે બેસ્ટ જ હશે. પછી ભલે તે એક્ટિંગ હોય, પ્રોડક્શન કે પછી દિગ્દર્શન હોય.