'આદિપુરુષ'ના ટીઝર પર ભડક્યા રામાયણના રામ અરુણ ગોવિલ, કહ્યુ - ક્રિએટીવ લિબર્ટીના નામે ધર્મની મજાક ના ઉડાવશો
હવે આદિપુરુષ વિશે પૌરાણિક ધારાવાહિક રામાયણમાં રામનુ પાત્ર ભજવનાર અરુણ ગોવિલે પણ મૌન તોડ્યુ છે. અરુણ ગોવિલે પોતાની યુટ્યુબ ચેનલ પર આદિ પુરૂષ વિશે એક વીડિયો જાહેર કર્યો છે.
મુંબઈઃ પ્રભાષ અને સૈફ અલી ખાનની અપકમિંગ ફિલ્મ 'આદિપુરુષ'ના ટીઝરને લઈને હોબાળો મચેલો છે. આદિપુરુષમાં રાવણ બનેલા સૈફ અલી ખાનનો વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મમાં હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી હોવાના આરોપો પણ લગાવવામાં આવી રહ્યા છે. અમુક હિંદુ સંગઠનોએ એવી પણ ચેતવણી આપી છે કે આ ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવશે નહિ. હવે આદિપુરુષ વિશે પૌરાણિક ધારાવાહિક રામાયણમાં રામનુ પાત્ર ભજવનાર અરુણ ગોવિલે પણ મૌન તોડ્યુ છે. અરુણ ગોવિલે પોતાની યુટ્યુબ ચેનલ પર આદિ પુરૂષ વિશે એક વીડિયો જાહેર કર્યો છે.
આદિપુરુષ પર મચી રહ્યો છે હોબાળો
અરુણ ગોવિલે કહ્યુ કે, 'જ્યારથી ફિલ્મ આદિપુરુષનુ ટીઝર આવ્યુ છે ત્યારથી દેશમાં હોબાળો મચી ગયો છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોય, ચેનલો હોય, પત્રકારત્વ હોય કે સમાજ હોય ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. દરેક પ્રકારની સારી અને ખરાબ વાતો કહેવામાં આવી રહી છે. મને પણ ઘણા ફોન આવ્યા. પત્રકારોએ મને પૂછ્યુ કે આ અંગે તમારો શું અભિપ્રાય છે, તમે આ અંગે શું વિચારો છો, જો હું સાચું કહુ તો મે કોઈને એક શબ્દ પણ નથી કહ્યો. મે તે વિષય પર વાત પણ કરી ન હતી. મે સ્પષ્ટ કહ્યુ હતુ કે મારે કહેવા માટે કંઈ નથી.'
'આપણા ધર્મગ્રંથ આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહર છે'
અરુણ ગોવિલે વધુમાં કહ્યું, 'પણ, મને લાગ્યું કે આ વિષય પર તમારી સાથે કંઈક ચર્ચા કરવી જોઈએ. ઘણા સમયથી મારા મગજમાં ઘણી વાતો હતી અને હવે આ કોલાહલ જોઈને મને લાગ્યુ કે તમારી સાથે વાત કરવાનો આ જ યોગ્ય સમય છે. રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત અને આવા તમામ ગ્રંથો આપણા શાસ્ત્રો છે, આ તમામ આપણી સાંસ્કૃતિક અને ધાર્મિક વારસો છે. તેઓ આપણી સંસ્કૃતિ છે, તેઓ આપણા મૂળ છે, તેઓ સમગ્ર માનવ સંસ્કૃતિનો પાયો છે. ન તો એનો પાયો હલાવી શકાય, ન તો મૂળ બદલી શકાય છે. ફાઉન્ડેશન કે મૂળ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કે ગરબડ કરવી યોગ્ય નથી.
'કોરોનામાં આપણી ધાર્મિક માન્યતાઓ વધુ મજબૂત બની'
રામાયણનો ઉલ્લેખ કરતાં અરુણ ગોવિલે કહ્યુ, 'આ શાસ્ત્રોમાંથી આપણને સંસ્કારો મળે છે, જીવન જીવવાનો આધાર મળે છે. આપણી સંસ્કૃતિ વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ છે. આપણી દરેક પેઢી તેને યુગોથી આત્મસાત કરતી આવી છે. આનુ સૌથી મોટુ ઉદાહરણ એ છે કે જ્યારે અઢી વર્ષ પહેલા કોરોના આવ્યો ત્યારે કોરોનાએ લોકોની ધાર્મિક લાગણીઓને વધુ મજબૂત કરી હતી. આ મહામારીએ આપણી માન્યતાઓને વધુ મજબૂત કરી છે. જ્યારે રોગચાળા દરમિયાન ટીવી પર રામાયણ સીરિયલ પ્રસારિત થઈ ત્યારે તેણે નવો રેકૉર્ડ બનાવ્યો.
'2024 સુધી આપણુ રામ મંદિરનુ સપનુ પૂરુ થઈ જશે'
અરુણ ગોવિલે કહ્યું, 'આ આપણી માન્યતાઓ અને પૌરાણિક કથાઓની પ્રામાણિકતાની ખૂબ મોટી નિશાની છે. યુવા પેઢીએ રામાયણને સંપૂર્ણ નિષ્ઠાથી નિહાળી હતી. 500 વર્ષના સંઘર્ષ, અથાગ પરિશ્રમ અને મહેનત પછી રામ મંદિરના પક્ષમાં ચુકાદો આવ્યો અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનુ નિર્માણ થઈ રહ્યુ છે. મંદિરનુ નિર્માણ પણ 2024 સુધીમાં પૂર્ણ થઈ જશે. પ્રશંસનીય બાબત એ છે કે મંદિર તેની તમામ ભવ્યતા, મૌલિકતા અને ભાવના સાથે પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યુ છે.
'આપણી કોઈ માન્યતાને કંઈ નવીનતા આપવાની કોઈ જરુર નથી'
નામ લીધા વિના આદિપુરુષના નિર્માતાઓ પર કટાક્ષ કરતા અરુણ ગોવિલે કહ્યુ, 'આપણે અમારી ધાર્મિક માન્યતાઓ જેમ છે તેમ જાળવી રાખવી જોઈએ. તેનામાં કોઈ ફેરફારની જરૂર નથી અને કોઈએ તે કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહિ. શું કોઈ પોતાનો પાયો હચમચાવે? શું કોઈ તેમના મૂળમાં ફેરફાર કરે? આપણી કોઈપણ માન્યતા, કોઈપણ પરંપરાને નવીનતા આપવાની બિલકુલ જરૂર નથી. જ્યારે અન્ય કોઈ ધર્મની માન્યતાઓ કે પરંપરાઓમાં કોઈ ફેરફાર નથી તો પછી આપણા સનાતન ધર્મ સાથે કેમ આવુ કરવામાં આવે છે?'
'તમને આવો અધિકાર કોણો આપ્યો?'
અરુણ ગોવિલે વધુમાં કહ્યુ કે, 'આજકાલ સનાતન ધર્મની મજાક ઉડાવવાનો ટ્રેન્ડ બની રહ્યો છે. હિન્દુ દેવી-દેવતાઓના વાંધાજનક પોસ્ટરો લગાવવા, તેમને અપશબ્દો બોલતા બતાવો. આખરે કોણે અધિકાર આપ્યો કે તમે અમારી ધાર્મિક માન્યતાઓ સાથે ચેડા કરો અથવા અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડો. કેટલાક ફિલ્મ નિર્માતાઓ, લેખકો, કલાકારોએ ખાસ ધ્યાન રાખવુ જોઈએ કે તેઓ સર્જનાત્મક સ્વતંત્રતાના નામે ધર્મની મજાક ન ઉડાવે અને કોઈની માન્યતા કે પરંપરાને તોડી-મરોડીને રજૂ ના કરે'