સંજય દત્ત અંગે બિગ બી અને ત્રણે ખાનો મૌન કેમ ?
મુંબઈ, 22 માર્ચ : સુપ્રીમ કોર્ટ દ્વારા મુન્નાભાઈને પાંચ વરસની સજા ફરમાવાતાં બૉલીવુડના મોટાભાગના કલાકારો દુઃખ વ્યક્ત કરી રહ્યાં છે, પરંતુ મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચન અને ત્રણે ખાનો એટલે કે શાહરુખ ખાન, આમિર ખાન તથા સલમાન ખાન તરફથી અત્યાર સુધી કોઈ પ્રત્યાઘાત આવ્યાં નથી.
બિગ બી અને ત્રણે ખાનોના મૌન અંગે સવાલો ઊભા થવાં લાગ્યાં છે. સંજય દત્તને સજા થતા તેમના નિવાસ સ્થાને આખુ બૉલીવુડ ઉમટી પડ્યું, તો મહેશ ભટ્ટ સહિત અનેક બૉલીવુડ કલાકારોએ ટ્વિટ કરી સંજય દત્તને સજા અંગે દુઃખ વ્યક્ત કર્યું, પરંતુ અમિતાભ બચ્ચને આ અંગે બીજા દિવસે પણ મોઢું ખોલ્યું નહીં.
જોકે અમિતાભના પત્ની અને સાંસદ જયા બચ્ચને જણાવ્યું કે તેઓ સંજય દત્તની સજાની માફી માટે મહારાષ્ટ્રના રાજ્યપાલને રજૂઆત કરશે, પરંતુ અમિતાભનું મૌન સૌને હેરાન કરી રહ્યું છે.
બીજી બાજું ત્રણે ખાનો શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન પણ સામાન્ય રીતે આવા મુદ્દે બોલતાં હોય છે, પરંતુ આ સંજય મુદ્દે ત્રણે મૌન રહ્યાં છે. એમાં પણ સંજય દત્ત સાથે સાજન, ચલ મેરે ભાઈ જેવી ફિલ્મો કરનાર સલમાન ખાનનું મૌન તો વધુ આશ્ચર્ય ઉપજાવે તેવું છે.
જોઇએ હવે બિગ બી અને ત્રણે ખાનો ક્યારે સંજય અંગે પ્રત્યાઘાતો આપે છે.