આર્યન ખાનને ફરીથી લાગ્યો ઝટકો, મુંબઈની સ્પેશિયલ NDPS કોર્ટે ન આપ્યા જામીન
ક્રૂઝ ડ્ર્ગ્ઝ પાર્ટી કેસમાં મુંબઈની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના જામીન ફગાવી દીધા છે.
મુંબઈઃ ક્રૂઝ ડ્ર્ગ્ઝ પાર્ટી કેસમાં મુંબઈની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનના જામીન ફગાવી દીધા છે. અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની જામીન અરજી પણ ફગાવી દીધી છે. આર્યન ખાનની 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી 21 ઓક્ટોબરના રોજ પૂરી થાય છે. માનવામાં આવી રહ્યુ છે કે ત્રણેય આરોપી હવે જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરશે.
તમને જણાવી દઈએ કે એનસીબીને ચેટ મળી છે તેમાં તે એક ડેબ્યુ એક્ટ્રેસ સાથે ડ્રગ્ઝ વિશે વાત કરે છે. આ ચેટને પુરાવા તરીકે રજૂ કરવામાં આવી છે. ક્રૂઝ પર રેડ દરમિયાન આ એક્ટ્રેસ સ્થળ પર હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. એનસીબી તેની પણ પૂછપરછ કરી શકે છે. આ સિવાય પણ અમુક ડ્રગ પેડલર સાથે આર્યનની ચેટ કોર્ટમાં આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ એનસીબીએ આર્યન ખાનની અટકાયત કરી હતી અને 3 ઓક્ટોબરના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યારથી તે લોકઅપમાં છે. 8 ઓક્ટોબરના રોજ આર્યનને આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવ્યો. સેશન્સ કોર્ટમાં 13-14 ઓક્ટોબરના રોજ તેના જામીન પર સુનાવણી થઈ હતી. 14 ઓક્ટોબરે સેશન્સ કોર્ટે 20 ઓક્ટોબર સુધી ચુકાદો અનામત રાખ્યો હતો.
આર્યન ખાનનો કેસ સીનિયર એડવોકેટ અમિત દેસાઈ અને વકીલ સતીશ માનશિંદે જોઈ રહ્યા છે. કોર્ટમાં બંને પક્ષો વચ્ચે લાંબી દલીલો થઈ હતી. એનસીબીનુ કહેવુ હતુ કે આર્યનને ઈન્ટરનેશનલ ડ્રગ પેડલર્સ સાથે કનેક્શન છે. આ મોટુ ષડયંત્ર છે જેની તપાસ થવી જરૂરી છે. આર્યન અરબાઝ પાસેથી ડ્રગ્ઝ લેતા હતા. વળી, આર્યન ખાનના વકીલ અમિત દેસાઈએ સ્ટારકિડની ધરપકડને પાયાવિહોણી ગણાવી હતી. તેમણે કહ્યુ કે આર્યન પાસે કોઈ ડ્રગ્ઝ મળી નથી, ના એનસીબીને કોઈ કેશ મળી છે. જે વ્યક્તિએ આર્યનને પાર્ટીમાં બોલાવ્યો હતો તેની ધરપકડ નથી થઈ. આર્યનને મુનમુન ધામેચા સાથે કોઈ કનેક્શન નથી.
ઉલ્લેખનીય છે કે 2 ઓક્ટોબરના રોજ મુંબઈથી ગોવા જતી ક્રૂઝ શિપ પર યોજાતી ડ્રગ્ઝ પાર્ટીમાં આર્યન ખાન શામેલ થવાના હતા. આ પહેલા જ ક્રૂઝ શિપ પર એનસીબીએ આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધમેચા સહિત 8 લોકોને અટકાયતમાં લીધા હતા. આર્યન પાસે કોઈ ડ્રગ્ઝ મળી નહોતી.