Pics : મનોજ કુમારનું સફળ ઑપરેશન, ફૅન્સ ખુશ!
મુંબઈ, 24 જુલાઈ : અભિનેતા મનોજ કુમારનું થોડીક વાર પહેલા જ મુંબઈની કોકિલાબેન હૉસ્પિટલમાં ગૉલ બ્લૅડરનું સફળ ઑપરેશન થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ મનોજ કુમારનું આ ઑપરેશન એક કલાક ચાલ્યું. બે દિવસ બાદ તેમને હૉસ્પિટલમાંથી રજા મળી જશે.
મનોજ કુમાર હવે ઠીક છે. તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. મનોજ કુમારનો આજે જન્મ દિવસ પણ છે અને તેમના ફૅન્સ તેમના માટે દુઆ કરી રહ્યા છે. ઑપરેશન સફળ રહેતાં ફૅન્સ ખુશ છે. મનોજ કુમાર આજે 75 વર્ષના થયાં છે. ગત વર્ષે મનોજ કુમારે જન્મ દિવસ નહોતો ઉજવ્યો. તેમના મિત્ર રાજેશ ખન્ના તથા દારા સિંહના નિધનના પગલે મનોજે ગત વર્ષ જન્મ દિવસ નહોતો ઉજવ્યો અને આ વખતે પ્રાણ સાહેબના નિધનના પગલે તેઓ જન્મ દિવસ ઉજવવાના નહોતાં.
આવો તસવીરો સાથે જાણીએ કે મનોજ કુમારને દુનિયા ભારત કુમાર કેમ કહે છે?
હૅપ્પી બર્થ ડે
દેશમાં મિસ્ટર ભારત તરીકે જાણીતાં મનોજ કુમારનો જન્મ 24મી જુલાઈ, 1937ના રોજ પાકિસ્તાનના અબોટાબાદ ખાતે થયો હતો. તેમનું સાચુ નામ હરિકિશન ગિરી ગોસ્વામી છે. દેશના ભાગલા બાદ તેમનો પરિવાર રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં આવી વસ્યો હતો. વનઇન્ડિયા તરફથી મનોજ કુમારને શુભેચ્છાઓ.
પહેલી ફિલ્મ ફૅશન
મનોજ કુમારે 1957માં બનેલ ફિલ્મ ફૅશન વડે મોટા પડદે કદમ મૂક્યો હતો. તેમની પ્રથમ હિટ ફિલ્મ હરિયાલી ઔર રાસ્તા (1962) હતી. તેમણે વો કૌન થી, હિમાલય કી ગોદ મેં, ગુમનામ, દો બદન, પત્થર કે સનમ, યાદગાર, શોર, સંન્યાસી, દસ નમ્બરી, પૂરબ ઔર પશ્ચિમ, ઉપકાર, રોટી કપડા ઔર મકાન તથા ક્લર્ક જેવી ફિલ્મોમાં કામ કર્યું. તેમની છેલ્લી ફિલ્મ મૈદાન-એ-જંગ (1995) હતી.
બહુમુખી પ્રતિભાના માલિક
મનોજ કુમાર બહુમુખી પ્રતિભાના માલિક હતાં. તેમને જોઈ લોકોને લાગતું કે પડદા ઉપર સાચે જ કોઈ ભારત માતાનો સપૂત ઊભો છે કે જેના માટે પોતાના દેશ કરતાં વધુ કંઈ જ નથી. મનોજને શહીદ માટે સર્વશ્રેષ્ઠ વાર્તાકારનો રાષ્ટ્રીય ઍવૉર્ડ મળ્યો હતો. મનોજે પોતાના કૅરિયરમાં શહીદ, ઉપકાર, પૂરબ ઔર પશ્ચિમ, ક્રાંતિ, રોટી કપડા ઔર મકાન જેવી દેશભક્તિ આધારિત ફિલ્મોમાં કામ કર્યું અને તમામ ફિલ્મોમાં તેમનું નામ ભારત જ હતું.
ઉપકારે રચ્યો ઇતિહાસ
શહીદ પછી તેમણે દિગ્દર્શક તરીકે બે વર્ષ બાદ પોતાની પ્રથમ ફિલ્મ ઉપકારનું નિર્માણ કર્યું. તેમાં મનોજે ભારત નામના કિસાન યુવાનનો રોલ કર્યો. ફિલ્મમાં બદલાતા ભારતની તસવીર હતી. ઉપકારને સર્વશ્રેષ્ઠ ફિલ્મ, દિગ્દર્શક, કથા અને સંવાદ શ્રેણીમાં ફિલ્મફૅર ઍવૉર્ડ મળ્યો હતો. ફિલ્મને બીજી સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ઍવૉર્ડ તથા સર્વશ્રેષ્ઠ સંવાદનો બીએફજેએ ઍવૉર્ડ પણ અપાયો હતો.
પદ્મશ્રી પુરસ્કાર
મનોજને 1972માં બેઈમાન ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતા, 1975માં રોટી કપડા ઔર મકાન માટે સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકનો ફિલ્મફૅર ઍવૉર્ડ અપાયો, તો 1992માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી તેમને નવાજ્યાં.