#Boycott: સ્ટાર્સ કરી રહ્યાં છે સોશિયલ મીડિયા એપનો બહિષ્કાર!!
બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર એક એપ વિરુદ્ધ પોતાની ગુસ્સો કાઢી રહ્યાં છે. શું છે આખો મામલો, જાણો અહીં..
હાલના સમયની વાત કરીએ તો આખું બોલિવૂડ જાણે સોશિયલ મીડિયા પર જ વસે છે. બોલિવૂડની દુનિયાની ઘણી-ખરી જાણકારી સ્ટાર્સના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરથી મળી રહે છે. સ્ટાર્સ માટે પણ પોતાના ફેન્સ સાથે કનેક્ટેડ રહેવાનો આ સરળ અને ઝડપી રસ્તો છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં એક વિવાદને કારણે તમામ બોલિવૂડ સ્ટાર્ય એક સોશિયલ મીડિયા એપમાંથી પોતાના એકાઉન્ટ ડીલિટ કરી રહ્યાં છે.
દેશભક્ત બોલિવૂડ સ્ટાર્સે આ સોશિયલ મીડિયા એપનો બહિષ્કાર કર્યો છે. આટલું જ નહીં તેમણે આ એપ સામે ટ્વીટર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.
સ્નેપચેટનો બહિષ્કાર
સ્ટાર્સ જે એપનો બહિષ્કાર કરી રહ્યાં છે, તે એપનું નામ છે સ્નેપચેટ. આ પાછળનું કારણ છે, સ્નેપચેટના સીઇઓ ઇવાન સ્પીગલનું નિવેદન. તેમણે ભારત અંગે અણછાજતું નિવદેન કર્યું છે અને દરેક ભારતીય નાગરિકની માફક બોલિવૂડ સ્ટાર્સ પણ ઇવાન તથા તેમની એપ વિરુદ્ધ પોતાનો ગુસ્સો પ્રગટ કરી રહ્યાં છે. બોલિવૂડ સ્ટાર્સ સ્નેપચેટ ડિલીટ કરી રહ્યાં છે અને તેમના ફેન્સને પણ આમ કરવા પ્રોત્સાહન આપી રહ્યાં છે.
શું કહ્યું હતું સ્નેપચેટના CEO એ?
ઉલ્લેખનીય છે કે, સ્નેપચેટના સીઇઓ ઇવાન સ્પીગલે ભારતને 'ગરીબ દેશ' ગણાવી ભારતમાં પોતાનો વેપાર ન વધારવાની વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, બિઝનેસ આગળ વધારવા માટે ભારત અને સ્પેન ખૂબ ગરીબ દેશો છે. તેમના આ નિવેદન બાદ ભારતમાં સ્નેપચેટ વિરુદ્ધ જાણે અભિયાન શરૂ થયું છે. ભારતીયો સ્નેપચેટના સીઇઓના આ નિવેદનને વખોડતાં આ એપ ડીલિટ કરી રહ્યાં છે. આ અભિયાનમાં બોલિવૂડ સ્ટાર્સ કઇ રીતે પાછળ રહી જાય?
શરૂ થયો વિરોધ
સ્નેપચેટના સીઇઓના નિવેદન બાદ અન્ય સોશિયલ મીડિયા એપ અને ખાસ કરીને ટ્વીટર પર સ્નેપચેટનો બહિષ્કાર કરવાનું અભિયાન ચાલ્યું છે. લોકો પોતાના સ્નેપચેટ એકાઉન્ટ્સ ડીલિટ કરી સોશિયલ મીડિયા પર #uninstallsnapchat ટેગ હેઠળ આ વાત જાહેર કરી રહ્યાં છે અને અન્યોને પણ આમ કરવાની સલાહ આપી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યાં છે સીઇઓ
સ્નેપચેટના સીઇઓ પોતાના આ નિવેદન બાદ દરેક સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યાં છે. અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સ જ્યાં ભારતને સૌથી વિશાળ અને પોટેન્શિયલ માર્કેટ તરીકે જુએ છે, એવામાં સ્નેપચેટના સીઇઓનું આ નિવેદન કેટલું મુર્ખામીભર્યું છે, એ સાબિત કરવાનો પ્રયત્ન થઇ રહ્યો છે.
અનુપમ ખેર
ટ્વીટર પર એક્ટિવ બોલિવૂડના પીઢ અભિનેતા અનુપમ ખેરે આ અંગે મજેદાર ટ્વીટ કરતાં લખ્યું છે, ગરીબ કે અમીર, દરેક ચેટને સ્નેપ કરવાની તાકાત અમારી પાસે છે. આ સાથે જ તેમણે #uninstallsnapchat ટેગ હેઠળ લોકોને આ એપ ડીલિટ કરવાની પણ સલાહ આપી છે.
બિપાશા બાસુ
બિપાશા બાસુ આ એપની યૂઝર નહોતી, આમ છતાં તેણે ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરતાં લખ્યું છે, હું આમ પણ સ્નેપચેટ પર નહોતી, પરંતુ આજના જમાનામાં આ રીતનું નિવેદન ખરેખર દુઃખજનક છે.
ઉર્વશી રૌતેલા
ઉર્વશી રૌતેલાએ તો સ્નેપચેટના સીઇઓ ઇવાનને ટેગ કરી તેમને એક મેસેજ લખ્યો છે. તેણે લખ્યું છે, ભારત એટલો અમીર દેશ છે કે, અહીં કોણ ગરીબ છે એ જાણવા માટે પીએમ મોદીએ નોટબંધી લાગુ કરવાની ફરજ પડી હતી.
રફ્તાર
સિંગર રફ્તારે પણ સ્નેપચેટ તરફ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું છે, સ્નેપચેટ ડીલિટેડ. ક્યારેક આવો દિલ્હીના ગોલ્ફ લિંક્સમાં..તમને અમારી ગરીબી દેખાડીશું.
ટ્વીટર પર ટ્રેન્ડ કરે છે આ અભિયાન
ટ્વીટર પર #BoycottSnapchat અને #uninstallsnapchat ટેગ ટ્રેન્ડ કરી રહ્યાં છે. એપ સ્ટોર પર પણ આ એપની રેટિંગ્સ ડાઉન જઇ રહી છે. ટ્વીટર પર જેમ સ્નેપચેટ એકાઉન્ટ ડીલિટ કરવાનું અભિયાન શરૂ થયું છે, એમ જ ગૂગલ પ્લે સ્ટોર તથા એપલ એપ સ્ટોર પર આ એપને એક સ્ટારનું રેટિંગ આપવાનું અભિયાન છેડાયું છે, જેમાં મોટાભાગના ભારતીયો જોડાઇ ગયા છે.
અહીં વાંચો