નવેમ્બરમાં ધૂમ મચાવશે જાન, સરદાર, કૃષ્ણા અને તલાશ
અમદાવાદ, 3 નવેમ્બર : આ મહીનો છે દીવાળીનો. આગામી 13મી નવેમ્બરે દીવાળી છે. તેમાંય ગુજરાતમાં તો દીવાળી એટલે હર્ષોલ્લાસ, ઉમંગ અને મોજ-મસ્તીનો તહેવાર. દીવાળી કરતાં વધુ ઉત્સાહ લોકોને બેસતું વરસ, ભાઈબીજ અને પછી લાભ પાંચમ સુધીની રજાઓને લઈને હોય છે. એટલું જ નહિં, દીવાળી પછીના દિવસોમાં પણ ગુજરાતમાં લોકો ઉપરથી દીવાળીનો ઉત્સાહ ઓસરતો નથી. એવામાં બૉલીવુડને ગુજરાતની દીવાળી કઈંક વધુ જ ફળી શકે છે. એટલે જ તો આ મહીને કુલ ચાર ફિલ્મો રિલીઝ થઈ રહી છે.
આમ ગુજરાતમાં લોકો બેસતું વરસથી લાભ પાંચમ સુધી મસ્તી કરતાં હોય છે અને આ મસ્તીમાં વધારો કરશે બૉલીવુડ. દીવાળીના દિવસે જ બૉલીવુડની બે જોરદાર ફિલ્મો જબ તક હૈ જાન એટલે કે જેટીએચજે તથા સન ઑફ સરદાર એટલે કે એસઓસ. કિંગ ઑફ રોમાંસ યશ ચોપરાજી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ જબ તક હૈ જાન એમેય યશજીને કારણે બહુચર્ચિત હતી જ, પરંતુ અધવચ્ચે તેમના નિધનના કારણે હવે આ ફિલ્મ મોસ્ટઅવેટેડ થઈ ગઈ છે. ફિલ્મમાં શાહરુખ ખાન મુખ્ય આકર્ષણનો કેન્દ્ર છે, તો પછી પહેલી વાર તેમની સાથે આવી રહી કૅટરીના કૈફને પણ જોવા લોકો આતુર છે. અનુષ્કા શર્મા પણ ફિલ્મમાં કઈંક નવું જ લોકો સામે પીરસશે, એવી આશા છે. બીજી બાજુ અજય દેવગણની સન ઑફ સરદાર ફિલ્મ પણ દીવાળીના દિવસે જ રિલીઝ થઈ રહી છે. અશ્વની ધીર દિગ્દર્શિત આ ફિલ્મના નિર્માતા અક્ષય કુમાર છે. ફિલ્મમાં અજય દેવગણ સાથે સોનાક્ષી સિન્હા છે.
લોકો આ બંને ફિલ્મોનો રસાસ્વાદ પૂર્ણ કરશે, ત્યાં સુધીમાં રૂપેરી પડદે કૃષ્ણ અવતરશે. 23મી નવેમ્બરે રાજીવ એસ. રુઇયા દિગ્દર્શિત ફિલ્મ મૈં કૃષ્ણા હૂઁ એટલે કે એમકેએચ રિલીઝ થવાની છે. નંદન મોહતો નિર્મિત આ એક એનિમેશન ફિલ્મ છે કે જેમાં રજનીશ દુગ્ગલ, મિસ્ટી મુખર્જી અને જુહી ચાવલા જેવા કલાકારો છે. ફિલ્મમાં સ્પેશિયલ એપીયરેંસ તરીકે કૅટરીના કૈફ અને હૃતિક રોશન પણ આકર્ષણના કેન્દ્ર બનશે.
મૈં કૃષ્ણા હૂઁ પછી રિલીઝ થશે તલાશ. આમિર ખાનની તલાશની પણ લોકોને લાંબાગાળાથી ઇંતેજારી છે. 30મી નવેમ્બરે રિલીઝ થનાર આ ફિલ્મના દિગ્દર્શક રીમા કાગતી છે. આમિર ખાન તથા ફરહાન અખ્તર નિર્મિત ફિલ્મમાં રાણી મુખર્જી આમિરના પત્નીના રોલમાં છે, તો કરીના કપૂર ફિલ્મના મુખ્ય કલાકારોમાં શામેલ છે. ફિલ્મમાં આમિર ખાન એક પોલીસ ઇંસ્પેક્ટરની ભૂમિકામાં છે, તો કરીના વેશ્યાવૃત્તિ કરનાર તરીકેનો રોલ કરી રહ્યાં છે.