વિશ્વરૂપમ વિવાદ : કમલે આપી દેશ છોડવાની ધમકી
ચેન્નઈ, 30 જાન્યુઆરી : ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા કમલ હસને દેશ છોડવાની ધમકી આપી છે. કમલ હસને જણાવ્યું છે કે જો તેમને ન્યાય નહીં મળે, તો તેઓ દેશ છોડવાની હદે પણ જઈ શકે છે.
કમલ હસને તેમની સૌથી મોંઘી ફિલ્મ વિશ્વરૂપમ અંગે ચાલતા વિવાદા પગલે આવી ધમકી આપી છે. કમલ હસને અહીં એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન વિશ્વરૂપમ અંગે તામિળનાડુ સરકારના વલણ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ પોતાની ફિલ્મ અંગે ચાલતા રાજકારણથી આઘાતમાં છે અને ન્યાય નહીં મળે, તો દેશ પણ છોડી શકે છે.
તેમણે જણાવ્યું કે જો તેમને અભિવ્યક્તિની આઝાદી નહીં મળે, તો તેઓ દેશ છોડી જતાં રહેશે. જો તેમની સાથે આવો જ વ્યવહાર ચાલુ રહે અને ન્યાય નહીં મળે, તો એમ. એફ. હુસૈનની જેમ તેમને પણ દેશ છોડવો પડશે. તેઓ બિનસામ્પ્રદાયિક દેશમાં રહેવા માંગે છે, પરંતુ તેમની સાથે રાજકારણ રમાઈ રહ્યું છે.
નોંધનીય છે કે મદ્રાસ હાઈકોર્ટે કમલની ફિલ્મ વિશ્વરૂપમની રિલીઝ પર લગાવવામાં આવેલ પ્રતિબંધ દૂર કરવાનો આદેશ આપ્યો છે. જોકે તામિળનાડુ સરકારે હાઈકોર્ટના આ ચુકાદાને હાઈકોર્ટની ફર્સ્ટ બેંચ સમક્ષ પડકાર્યો છે. તે અંગે કમલ હસને નારાજગી વ્યક્ત કરી છે.