સૂરોના સરતાજ મન્ના ડેનું બેંગલોરમાં નિધન, શોકમાં બોલિવુડ
બેંગલોર, 24 ઓક્ટોબર: એક દુ:ખદ સમાચાર બોલિવુડમાંથી આવી રહ્યા છે, સૂરોના સરતાજ અને એક બહુમુખી પ્રતિભાના માલિક મન્ના ડેનું બુધવારે મોડી રાત્રે સાડા ત્રણ વાગ્યે બેંગલુર ખાતે નિધન થઇ ગયું છે. તેઓ 94 વર્ષના હતા, તેમજ તેઓ લાંબા સમયથી બિમાર હતા. તેમની કિડનીએ કામ કરવાનું બંધ કરી દીધું હતું, તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. 19 સપ્ટેમ્બરના રોજ પણ તેમની હાલત ખરાબ થઇ હતી તો તેમને બેંગલોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મે 2013માં જ પોતાના જીવનના 94 વર્ષ પૂરા કરનારા મન્ના ડે છેલ્લા ઘણા વર્ષોથી બિમાર ચાલી રહ્યા હતા. તેમની સારવાર તેમની દીકરી બેંગલોરમાં કરાવી રહી હતી. મન્ના ડે છેલ્લા ઘણા સમયથી પોતાની પુત્રી સાથે બેંગલોરમાં જ રહી રહ્યા હતા.
મન્ના ડેના જન્મ દિવસ પર મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે મન્ના ડેની અવાજમાં જાદુ છે જે દરેકનામાં નથી હોતો. સંગીતનો આ મહાન ઉપાસક આજ ભલે જીંદગીને અલવિદા કહીને જતા રહ્યા હોય પરંતુ આજે પણ તેઓ પોતાની મધુર અવાજથી લોકોના હૃદયમાં ધડકી રહ્યા છે. સંગીતના આ મહાન જાદુગરની પવિત્ર આત્માને શાંતિ મળે એ માટેની પ્રાર્થના વનઇન્ડિયા પરિવાર પણ કરે છે...
(આ પણ વાંચો સુરોમાં હયાત મન્ના)