લોકોને પુનઃ હસાવવા આવે છે મુન્ના-સર્કિટની જોડી
મુંબઈ, 1 માર્ચ : ફરી એક વાર આ સૌ હસવા માટે તૈયાર થઈ જાઓ. મસ્તીમાં ઝૂમવા માટે બેચેન થઈ જાઓ. કારણ કે ફરી એક વાર આપ સૌને હસાવવા માટે મુન્ના-સર્કિટની જોડી રૂપેરી પડદે આવી રહી છે. રાજકુમાર હીરાણી પુનઃ આપની સામે મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મ લઈને આવી રહ્યાં છે.
રાજકુમાર હીરાણીની મુન્નાભાઈ સિરીઝની છેલ્લી બંને ફિલ્મો મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ સુપર-ડુપર હિટ રહી હતી. બંને ફિલ્મો મુન્નાભાઈ એમબીબીએસ (2003) તથા લગે રહો મુન્નાભાઈ (2006) બૉક્સ ઑફિસે રેકૉર્ડ તોડનારી સાબિત થઈ હતી. તેવામાં રાજકુમાર હીરાણી પાસે લોકોને પુનઃ કમાલની અપેક્ષા છે. અગાઉ આવેલી બંને ફિલ્મોમાં સંજય દત્ત મુન્નાભાઈના રોલમાં હતાં, જ્યારે અરશદ વારસીએ સર્કિટનો રોલ કર્યો હતો.
નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ જણાવ્યું કે મુન્નાભાઈ સિરીઝની ત્રીજી સિક્વલની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેઓ સંજય દત્ત અને અરશદ વારસી સાથે આ ફિલ્મની સિક્વલ ઉપર કામ કરવાં તૈયાર છે.
નોંધનીય છે કે મુન્નાભાઈ એમબીબીએસ અને લગે રહો મુન્નાભાઈ બંને જ ફિલ્મોએ માત્ર કરોડોનો બિઝનેસ જ નહોતો કર્યો, પણ આ ફિલ્મો વડે જ સામાન્ય પ્રજા વચ્ચે સંજય દત્તની વિલન તરીકેની છબી મટી હતી. લોકોને લાગવા લાગ્યું કે સંજૂ બાબા પણ એક સારા માણસ છે. ભલે તેમના થોડાંક કર્મો ખોટાં રહ્યા હોય, પરંતુ તેઓ માણસ સારાં છે. તેથી એ જોવું રસપ્રદ રહેશે કે રાજકુમાર હીરાણી મુન્નાભાઈ સિરીઝની હૅટ્રિકમાં કઈ કમાલ કરે છે?