Drug Case: 8 કલાક લાંબી પૂછપરછ બાદ અભિનેતા એજાઝ ખાનની NCBએ કરી ધરપકડ
અભિનેતા એજાઝ ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્ઝ કેસમાં 8 કલાકની પૂછપરછ બાદ મોડી રાતે ધરપકડ કરી લીધી છે.
મુંબઈઃ જાણીતા અભિનેતા એજાઝ ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ડ્રગ્ઝ કેસમાં 8 કલાકની પૂછપરછ બાદ મોડી રાતે ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી મુજબ ડ્રગ પેડલર શાદાબ બટાટાએ પૂછપરછમાં એજાઝ ખાનનુ નામ લીધુ હતુ. બટાટા ખુદ હાલમાં જેલમાં છે. તમને જણાવી દઈએ કે મંગળવારે એનસીબીએ એજાઝની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરી હતી. તે મંગળવારે જ રાજસ્થાનથી મુંબઈ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે અભિનેતા એજાઝ પર આરોપ છે કે તે બટાટા ગેંગનો મહત્વનો સભ્ય છે.
એજાઝના ઘર અને ઑફિસ પર રેડ
ઉલ્લેખનીય છે કે એનસીબીની ટીમે એજાઝની અંધેરી અને લોખંડવાલાના ઘર અને ઑફિસમાં રેડ પણ પાડી છે. તમને જણાવી દઈએ કે એનસીબીએ મુંબઈના સૌથી મોટા ડ્રગ સપ્લાયર ફારુખ બટાટાના દીકરા શાદાબ બટાટાની 2 કરોડની ડ્રગ્ઝ સાથે ધરપકડ કરી હતી. શાદાબ બટાટા પર બૉલિવુડના લોકોને ડ્રગ્ઝ સપ્લાઈ કરવાનો આરોપ છે. બટાટને ડ્રગ્ઝનો સૌથી મોટો સપ્લાયર કહેવામાં આવે છે.
એજાઝની ધરપકડ બાદ બૉલિવુડમાં ખળભળાટ
અભિનેતા એજાઝ ખાનના અરેસ્ટ થયા બાદ બૉલિવુડમાં ખળભળાટ મચી ગયો છે. જો કે, તમને જણાવી દઈએ કે એજાઝ ખાન આ પહેલા પણ જેલમાં જઈ ચૂક્યો છે. વર્ષ 2018માં પણ એજાઝ 1 લાખની ડ્રગ્ઝ સાથે અરેસ્ટ થયો હતો. ત્યારે મુંબઈ પોલિસે તેની ધરપકડ કરી હતી. વળી, થોડા દિવસ પહેલા એજાઝે એક ભડકાઉ પોસ્ટ કરી હતી જેના કારણે તે જેલમાં ગયો હતો. તેણે ફેસબુક લાઈવ દરમિયાન અમુક વાંધાજનત વાતો કહી હતી જેના પર હોબાળો મચી ગયો હતો. એજાઝે કહ્યુ હતુ કે દેશની અંદર દરેક ખોટી વસ્તુઓ માટે માત્ર મુસ્લિમોને જ જવાબદાર ગણવામાં આવે છે.
એજાઝના આ નિવેદન પર હોબાળો
તેણે કહ્યુ હતુ કે, 'દેશમાં કીડી મરી જાય તો મુસ્લિમ જવાબદાર, હાથી મરી ગયો તો મુસલમાન જવાબદાર, એટલે કે દરેક વસ્તુ માટે મુસલમાન જવાબદાર છે. છેવટે આ ષડયંત્ર કરી કોણ રહ્યુ છે.' એજાઝના આ નિવેદન પર હોબાળો મચી ગયો હતો. તેની સામે મુંબઈના ખાર પોલિસ સ્ટેશનમાં કંપલેઈન કરવામાં આવી હતી ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.