ફિલ્મ 'બર્ફ'માં ફરી નિર્દેશન કરશે પીકે સ્ટાર આમિર ખાન
બોલીવુડ એક્ટર આમિર ખાનની એક્ટિંગનો કસબ તો આપણે સૌ વર્ષોથી જોતા આવ્યા છીએ અને તેમને માનતા આવ્યા છીએ. તાજેતરમાં રિલિઝ થયેલી ફિલ્મ પીનેને આમિર ખાનની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મો પૈકી એક ગણવામાં આવે છે. જો કે આમિર માત્ર એક્ટિંગ નહીં, ડાયરેક્શનમાં પણ શ્રેષ્ઠ છે તે વાત આપણે ફિલ્મ તારે ઝમીં પર જોઇને કહી શકીએ છીએ.
બાળકોની સ્થિતિને દર્શાવતી અત્યંત સંવેદનશીલ અને ભાવુક ફિલ્મ તારે ઝમીં પરમાં નિર્દેશન કરી ચૂકેલા આમિરને હવે ફરી નિર્દેશન કરવું છે. તેમને નિર્દેશન કરે 7 વર્ષ થઇ ચૂક્યા છે. આ કારણે હવે આમિર પોતાની નવી ફિલ્મ 'બર્ફ'ને લઇને ખૂબ ઉત્સાહિત છે. આ અંગે આમિરનું કહેવું છે કે તેઓ ડાયરેક્શનમાં કામ કરવા માટે અનેક પ્લાન બનાવી ચૂક્યા છે. પણ હાલ તેમની કોઇ નિર્દેશિત ફિલ્મ આવવાની નથી.
આ અંગે આગળ વાત કરતા આમિરે જણાવ્યું કે મને એક સ્ક્રીપ્ટ ગમી ગઇ છે. આ ફિલ્મનું નામ છે બર્ફ. મને તેની વારતા ઘણી ઉમદા લાગી છે. આપને જણાવી દઉં કે આ સ્ક્રીપ્ટ મને ચાર વર્ષ પહેલા મળી હતી. પણ તે સમયે ડાયરેક્શનની વાત મારા મનમાં ન હતી. હાલ તો હું કેટલીક સારી ફિલ્મોમાં એક્ટિંગ કરવા માંગુ છું. આ કારણે નિર્દેશનથી દૂર રહું છું. પણ હું જ્યારે પણ નિર્દેશન કરીશ તે ફિલ્મ બર્ફ જ હશે.
આપને જણાવી દઇએ કે વર્ષ 2015માં આપણે આમિર ખાનને પરદા પર જોઇ શકીશું નહીં. ના મોટા પરદે અને ના નાના પરદે. એટલે કે આ વર્ષે આમિરની કોઇ ફિલ્મ આવવાની નથી અને ટીવી પર સત્યમેવ જયતે પણ આવશે નહીં. તેમણે પોતાની આગામી ફિલ્મ દંગલ અંગે જણાવ્યં તે તેમણે અત્યારે કોઇ ફિલ્મ સાઇન કરી નથી. તેમની પાસે અનેક ફિલ્મોની સ્ક્રીપ્ટ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આમિરખાન ફિલ્મ દંગલમાં એક પહેલવાનની ભૂમિકામાં નજરે ચડવાના છે. આ માટે તેમણે તૈયારીઓ શરૂ કરી દીધી છે.