સૈફરીનાના લગ્ન ઇસ્લામ વિરુદ્ધ : મૌલવી નાયાબ ખાન
મુંબઈ, 20 ઑક્ટોબર : સૈફ અલી ખાન અને કરીના કપૂર ભલે કાયદેસર રીતે પતિ-પત્ની બની ગયાં હોય, પરંતુ અમે તો ક્યારેય કરીનાને સૈફના પત્ની નહિં ગણી શકીએ અને વગર લગ્ને કોઈ છોકરી જો કોઈ છોકરા સાથે રહેતી હોય, તો આવા સંબંધને સમાજમાં શું કહેવાય છે? તે આપ તમામ જાણો જ છો.
આમ કહેવું છે ચાંદ તારા મસ્જિદના મૌલવી મોહમ્મદ નાયાબ ખાનનું. તેમણે જણાવ્યું કે દારૂલ ઉલુમે સૈફ-કરીનાના લગ્નને યોગ્ય ગણાવ્યાં નથી, તો અમે કઈ રીતે તેને યોગ્ય કહી શકીએ. આ લગ્ન ઇસ્લામિક રીતે કાયદેસર નથી, ગેરકાયદેસર છે.
નોંધનીય છે કે સૈફ સાથે કરીનાએ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યા વગર જ લગ્ન કર્યાં છે. બંનેએ કોર્ટ મૅરેજ કર્યાં છે. દારૂલ ઉલુમે સૈફ-કરીનાના લગ્નને ગેરકાયદે, અયોગ્ય અને ઇસ્લામ વિરુદ્ધ ઠેરવ્યાં છે.
ઉલુમના જણાવ્યા મુજબ સૈફ-કરીનાના લગ્નને ઇસ્લામિક માન્યતા ન મળી શકે, કારણ કે કરીનાએ ઇસ્લામ કબૂલ કર્યા વગર સૈફ સાથે લગ્ન કર્યાં છે. તેથી તે સૈફના બેગમ ન કહેવાય અને આ પ્રકારનો સમ્બંધ ઇજ્જતને યોગ્ય નથી અને મંજૂરીને લાયક પણ નથી. ઉલુમે તો કરીના માટે એટલે સુધી કહ્યું છે કે કરીનાએ ખાસ કારણસર સૈફ સાથે લગ્ન કર્યાં છે. તેઓ સૈફને પ્રેમ કરતાં નથી.