Don 3: Ranveer Singh બહાર થતા જ Shah Rukh Khan ફરી બનશે 'ડોન', પરંતુ મૂકી આ મોટી શરત!
Don 3: બ્લોકબસ્ટર ફિલ્મ 'ધુરંધર'ની જબરદસ્ત સફળતા બાદ રણવીર સિંહે ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડોન 3' થી પોતાને અલગ કરી લીધા છે. આ નિર્ણય બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દર્શકોમાં ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 'ડોન' ફ્રેન્ચાઈઝીમાં ફરી એકવાર શાહરૂખ ખાનની એન્ટ્રી થઈ શકે છે.

નોંધનીય છે કે, અગાઉ 'ડોન 3' માટે શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહને કાસ્ટ કરવામાં આવ્યો હતો. આ નિર્ણય જાહેર થતા જ સોશિયલ મીડિયા પર રણવીરને ભારે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે અનેક ચાહકો શાહરૂખ ખાનને જ આ પાત્રમાં ફરી જોવા માંગતા હતા. હવે 'ધુરંધર'ની ભવ્ય સફળતા બાદ રણવીર સિંહે પોતાની કરિયરની પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટ છોડી દીધો છે.
ટેલીચક્કરના એક રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને 'ડોન 3' માં વાપસી કરવા માટે સકારાત્મક સંકેત આપ્યા છે, પરંતુ તેમણે આ માટે એક મહત્વની શરત મૂકી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખ ઈચ્છે છે કે તેમની તાજેતરની સુપરહિટ ફિલ્મ 'જવાન' ના નિર્દેશક એટલી (Atlee) ને આ પ્રોજેક્ટ સાથે જોડવામાં આવે. તેમનું માનવું છે કે એટલીની નિર્દેશન શૈલી અને મોટા પાયે ફિલ્મ બનાવવાની સમજ 'ડોન 3' ના સ્તર અને દર્શકોના ઉત્સાહને અનેકગણો વધારી શકે છે.
જોકે, હજુ સુધી શાહરૂખ ખાનની વાપસી અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મેકર્સ હાલ આ મુદ્દે મંથન કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 'ડોન' ફ્રેન્ચાઈઝીની અગાઉની ફિલ્મોમાં શાહરૂખ ખાને 'ડોન'નું પાત્ર ભજવીને તેને એક અલગ જ ઓળખ અપાવી હતી, જેને દર્શકો આજે પણ યાદ કરે છે. એવામાં તેમની સંભવિત વાપસીથી ફેન્સને ફરી એકવાર તેવા જ કરિશ્માની આશા છે.
બીજી તરફ, ફિલ્મની ફીમેલ લીડ (અભિનેત્રી) ને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ નથી. પહેલા રણવીર સિંહ સાથે કિયારા અડવાણીને કાસ્ટ કરવામાં આવી હતી, પરંતુ રણવીરે પ્રોજેક્ટ છોડ્યા બાદ કિયારાએ પણ ફિલ્મથી અંતર જાળવી લીધું છે. ત્યારબાદ કૃતિ સેનનનું નામ ચર્ચામાં આવ્યું હતું. હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે જો શાહરૂખ ખાન ફિલ્મમાં પરત ફરે છે, તો તેમની સામે કઈ અભિનેત્રી જોવા મળશે.












Click it and Unblock the Notifications
