રાજશ્રી પ્રોડક્શન પુનઃ સલમાન સાથે બનાવશે ફિલ્મ
મુંબઈ, 29 મે : રાજશ્રી પ્રોડક્શન ઘણા સમય બાદ પુનઃ સલમાન ખાન સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યું છે. રાજશ્રી પ્રોડક્શન હેઠળ સલમાન ખાનની છેલ્લી ફિલ્મ હમ સાથ સાથ હૈં આવી હતી. બાર વરસ પહેલા આવેલી આ ફિલ્મ બાદ સલમાન ખાન પુનઃ એક વાર રાજશ્રી પ્રોડક્શન સાથે કામ કરવાની તૈયારી કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ દિગ્દર્શક સૂરજ બરજાત્યાએ પોતાની આવનાર ફિલ્મ માટે સલમાન ખાન સાથે કરાર કર્યો છે. સૂરજ બરજાત્યા આ ફિલ્મ સાથે જ બૉલીવુડમાં કમબૅક પણ કરશે. સૂરજ બરજાત્યા દિગ્દર્શિત ફિલ્મ વિવાહ છેલ્લે 2006માં આવી હતી. સાત વરસ બાદ સૂરજ પુનઃ કોઈ ફિલ્મ લઈને આવી રહ્યાં છે.
સલમાન ખાનના બૉલીવુડ કૅરિયરમાં રાજશ્રી પ્રોડક્શનનો મહત્વનો ફાળો રહ્યો છે. સલમાનની પહેલી ફિલ્મ તો સદા સુહાગન હતી, પરંતુ સલમાનની પ્રથમ હિટ ફિલ્મ મૈંને પ્યાર કિયા હતી કે જે રાજશ્રી પ્રોડક્શન હેઠળ બની હતી. તે પછી સલમાન ખાને રાજશ્રી બૅનર હેઠળ હમ આપકે હૈં કૌન અને છેલ્લે હમ સાથ સાથ હૈં ફિલ્મમાં કામ કર્યુ હતું.
હવે બાર વરસ બાદ સલમાન-રાજશ્રીનું મિલન થઈ રહ્યું છે. રાજશ્રી પ્રોડક્શન હેઠળની છેલ્લી ફિલ્મ વિવાહ પણ હિટ રહી હતી કે જેમાં શાહિદ કપૂર અને અમૃતા રાવ મુખ્ય ભૂમિકામાં હતાં. સલમાન-રાજશ્રીની જોડી પણ હંમેશા સફળ રહી છે. મૈંને પ્યાર કિયા, હમ આપકે હૈં કૌન અને હમ સાથ સાથ હૈં ત્રણે ફિલ્મો સફળ નિવડી હતી. જોઇએ હવે આ જોડી આગળ કઈ કમાલ કરે છે.
બીજી બાજુ સલમાન ખાન હાલ પોતાની આવનાર ફિલ્મ મેંટલ અને કિક અંગે વ્યસ્ત છે. તેમાં પણ મેંટલની હીરોઇન સના ખાન ફરાર થઈ જતાં સલમાન ખાન વધુ ચર્ચામાં છે.