સુરતમાં પદ્માવતીની રંગોળી ભૂંસાઇ, દીપિકાએ કહ્યું હવે બસ થયું
'પદ્માવતી' ફિલ્મનો વિરોધ કરવા સુરતના રાહુલ રાજ મોલમાં રાજપૂત સમાજના લોકોએ પોસ્ટર ફાડ્યા અને ત્યાં બનાવેલી ફિલ્મની રંગોળી બગાડી નાખી. આથી દીપિકાએ આ મામલે ગુસ્સો વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું હતું.
સંજય લીલા ભણસાલીના આવનારી ફિલ્મ 'પદ્માવતી' કોઇને કોઈ કારણે ચર્ચામાં આવતી હોય છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરના રોજ રિલિઝ થવાની છે. ફિલ્મની વાર્તાને લઇને રાજપૂત સમાજ સતત વિરોધ કરી રહ્યો છે. 16 ઓક્ટોબરના રોજ સુરત ખાતે એક મોલમાં દીપિકાને રાણી પદ્માનતીના અવતારમાં દર્શાવતી એક રંગોળી કરવામાં આવી હતી. આ રંગોળી બનાવતા 48 કલાકનો સમય લાગ્યો હતો. આ મોલમાં ફિલ્મનો વિરોધ કરવા આવેલા રાજપૂત સમાજના લોકોએ એ રંગોળી બગાડી નાંખી હતી. આ ઉપરાંત મોલમાં લાગેલા ફિલ્મના પોસ્ટર પણ ફાડી નાંખ્યા હતા. આ ઘટનાથી દીપિકા પાદુકોણ ખૂબ જ નારાજ થઈ હતી અને તેણે આ અંગે એક ટ્વીટ કર્યું હતું.
દીપિકાનું ટ્વીટ
મળતી માહિતી અનુસાર, સુરતના રંગોળી કલાકાર કરણે રાહુલ રાજ મોલમાં 14 ઓક્ટોબરના રોજ 'પદ્માવતી'ની રંગોળી બનાવી હતી, તેને દીપિકાએ રિટ્વીટ પણ કરી હતી. આ બાદ 16 ઓક્ટોબરના રોજ ફિલ્મનો વિરોધ કરતા લોકોએ એ રંગોળી ભુંસી નાખી હતી. તેને લઈને દીપિકા રોષે ભરાઇ હતી. દીપિકાએ ટ્વીટ કર્યુ હતું કે, રંગોળી બગાડવી એ કલાકારની કળાનું અપમાન છે. લોકોએ કોઈ કલાકારની મહેનતને બગાડીને વિરોધ ન કરવો જોઈએ.
પોલીસે નોંધ્યો ગુનો
16 ઓક્ટોબરના રોજ રાહુલ રાજ મોલમાં કરેલ 'પદ્માવતી' ફિલ્મની રંગોળીને બગાડનારા લોકો વિરુદ્ધ પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત મોલમાં લગાવેલા ફિલ્મના પોસ્ટરોને પણ રાજપૂત સમાજના લોકોએ નુકસાન કર્યું હતું. આથી 10 લોકોના ટોળા સામે પોલીસે દ્વારા રાયોટીંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાજપૂત સમાજનો વિરોધ
મળતી માહિતી અનુસાર પદ્માવતી ફિલ્મ પર અખિલ ભારતીય ક્ષત્રિય રાજપૂત સમાજ, વિશ્વ હિંદુ પરિષદ બજરંગ દળ, હિંદુ યુવા વાહિકા, મહાકાલ સેના અને રાજપૂત કરણી સમાજને આ ફિલ્મની કથાથી તેમના ઇતિહાસને ખોટી રીતે દર્શાવામાં આવ્યો છે અને તે જ મુદ્દાને લઇને આ ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
'પદ્માવતી' ફિલ્મનો વિરોધ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી ફિલ્મ સતત વિવાદોમાં રહી છે. તેના શુંટિગથી લઈને તેની રિલિઝ ડેટ સુધી ફિલ્મને અનેક વિરોધનો સામનો કરવો પડ્યો છે . થોડા સમય પહેલા જ સ્મૃતિ ઇરાનીએ ફિલ્મને સપોર્ટ કર્યો હતો અને તેની નક્કી કરેલ ડેટે જ ફિલ્મ રિલિઝ થશે તેવી બાંહેધરી પણ આપી હતી.