KBC Exclusive : એક એવું ગામ કે જ્યાં લોકો ઉંદર ખાય છે
કૌન બનેગા કરોડપતિ 6 એટલે કે કેબીસી 6ના સેટ પર તાજેતરમાં જ આવી પ્રજાપતિના એક સભ્ય મનોજ કુમારે પગલુ મુક્યું. તેમનો સાથ આપવા આવ્યાં બૉલીવુડ એક્ટર મનોજ બાજપાઈ. કેબીસી 6ના સેટ પર પહોંચેલ મનોજ કુમાર બિહારના પાટનગર પટણાથી 15 કિલોમીટરના અંતરે વસે છે કે જ્યાં આ પ્રજાતિના લોકો રહે છે.
મનોજ કુમારનો સાથ આપવા બૉલીવુડ એક્ટર મનોજ બાજપાઈ પણ શોમાં આવ્યાં. મનોજ બાજપાઈએ જણાવ્યું કે પટણાથી 15 કિલોમીટરના અંતરે આવેલ જમશોદ ગામે નથી ખેતી માટે જમીન કે નથી અનાજ ખરીદવાના પૈસા. ત્યાં સફાઈ પણ થતી નથી. લોકો કાદવમાં જ પોતાનું જીવન પસાર કરવા મજબૂર છે. ત્યાં સાક્ષરતાનો દર માત્ર 3 ટકા છે, કારણ કે માતા-પિતા પોતાના બાળકોને મજૂરીએ જોતરવા માંગે છે. તેમને સાક્ષર બનાવવા માંગતા નથી. આ પ્રજાતિના લોકો દલિતોમાં પણ દલિત ગણાયાં છે અને સરકાર તેમને મહાદલિત નામે ઓળખે છે. તેમને જીવન પસાર કરવા માટે જરૂરી કોઈ પણ પ્રકારની માળખાકીય સુવિધાઓ નથી મળતી.
મનોજ બાજપાઈએ જણાવ્યું કે જ્યારે આ લોકોને ભૂખ મટાડવા માટે અનાજ ઉપલબ્ધ ન કરાવાયું, તો તેમણે પોતાના ઘરોની આજુબાજુ રહેતાં ઉંદરો જ ખાવાં શરૂ કરી દીધાં અને આજે તે તેમની ટેવ પડી ગઈ છે. ગરીબીના કારણે તેમણે સસ્તી દારૂ બનાવવી પણ શરૂ કરી અને મનોરંજન માટે તે જ દારૂનું સેવન કર્યું.
મનોજ બાજપાઈના જણાવ્યા મુજબ એક ભૂતપૂર્વ આઈએએસ ઑફિસ જ્યોતિ કુમાર સિન્હા હાલ આ પ્રજાતિના બાળકોને પટણા ખાતે આવેલ પોતાના હૉસ્ટેલમાં મફતમાં રાખે છે અને તેમને શિક્ષણ આપે છે. આ સ્કૂલનું નામ છે શોષિત સમાધાન કેન્દ્ર. કેબીસીમાં ભાગ લેવા આવેલ મનોજ કુમારે જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે આ પ્રજાતિના લોકો પણ ભણી-ગણીને યોગ્ય બને અને આગળ વધે. અમિતાભ બચ્ચને મનોજના આ જજ્બાને સલામ કર્યાં અને સાથે જ તેમને શોમાં એક સારી રકમ જીતવા માટે પ્રોત્સાહન આપ્યું.