અમદાવાદ સિવિલ અને એલજી હોસ્પિટલના કોરોના વૉરિયર્સ પણ કોરોના પૉઝિટીવ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અસારવામાં 9 અને એલજી હોસ્પિટલમાં 1 ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે.
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણમાં વધારો સતત ચાલુ જ છે. ડૉક્ટરોમાં કોરોના સંક્રમણનુ પ્રમાણ વધી રહ્યુ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અસારવામાં 9 અને એલજી હોસ્પિટલમાં 1 ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના ત્રણ રેસિડેન્ટ ડૉક્ટરો બીજી વાર કોરોના સંક્રમિત થયાછે. વળી, સર્જીકલ વિભાગના એક ડૉક્ટર પણ કોરોના સંક્રમિત થતા તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સિવિલ હોસ્પિટલની સુપ્રિટેન્ડન્ટ ઓફિસમાં પણ કોરોના કેસ નોંધાયો છે. જેમાં પબ્લિક રિલેશન ઓફિસરનો સ્ટાફ કોરોના પૉઝિટિવ આવ્યો છે. જો કે સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસ વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. એલજી હોસ્પિટલના ડૉક્ટર કોરોના પૉઝિટીવ આવતા તેમને એસવીપીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે અમદાવાદની ખાનગી હોસ્પિટલોના અમુક ડૉક્ટરો પણ કોરોના સંક્રમિત થયા છે પરંતુ તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના કુલ 14 દર્દીઓ સારવાર હેઠળ છે.
રાજ્યમાં કોરોના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 5396 નવા કેસ નોંધવામાં આવ્યા છે. કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે બે મોત થયા છે. શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં 2281, સુરતમાં 1350, વડોદરામાં 239, રાજકોટમાં 203, વલસાડમાં 142, આણંદમાં 133, ખેડામાં 104, સુરત જિલ્લામાં 102, ગાંધીનગર શહેરમાં 91, રાજકોટ જિલ્લામાં 69, ભાવનગર શહેરમાં 51, ભરુચમાં 50, નવસારીમાં 49 કેસ નોંધવામાં આવ્યા છે.
આ ઉપરાંત મહેસાણામાં 48, વડોદરામાં 42, ગાંધીનગર 41, જામનગર શહેરમાં 40, મોરબીમાં 34, અમદાવાદ જિલ્લામાં 30, સાબરકાંઠામાં 28, અમરેલીમાં 20, જૂનાગઢ શહેરમાં 19, બનાસકાંઠા, દાહોદમાં 17-17, પંચમહાલમાં 16, ભાવનગરમાં 12, અરવલ્લીમાં 11, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગરમાં 10-10 કેસ નોંધવામાં આવ્યા છે. ગીરસોમનાથ, સુરેન્દ્રનગરમાં 9-9 કેસ નોંધાયા છે.