ભારતનો પહેલો કેસ, 71 ટકા દાઝી ગયેલ કોરોના પોઝિટિવ મહિલાનો ચમત્કારિક બચાવ
ભારતનો પહેલો કેસ, 71 ટકા દાઝી ગયેલ કોરોના પોઝિટિવ મહિલાનો ચમત્કારિક બચાવ
અમદાવાદઃ કોરોના કાળમાં સૌકોઇ પરેશાન થઇ ચૂક્યા છે. સામાન્ય નાગરિકોથી લઇ રાજનેતાઓ, અભિનેતાઓ અને બિઝનેસમેન પણ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યા છે. આ દરમિયાન એવા કેટલાય કિસ્સા સાંભળવા મળ્યા જે જાણીને આપણા રૂવાટાં ઉભાં થઇ જાય. આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે.
અમદાવાદના જમાલપુર વિસ્તારનો કિસ્સો
અમદાવાદના જમાલપુરમાં રહેતી 23 વર્ષીય યુવતી અને તેના પુત્ર સાથે એક ગોઝારી ઘટના બની હતી. 9મી મેના રોજ રસોઇ કરતી વખતે યુવતી ગંભીર રીતે દાઝી જતાં તેને તરત જ હોસ્પિટલે લઇ જવામાં આવી, પરંતુ મહિલા જમાલપુર કંટેનમેન્ટ ઝોનમાંથી આવતી હોવાથી હોસ્પિટલોએ તેને દાખલ કરવાની મનાઇ કરી દીધી. આખરે એલજી હોસ્પિટલે મિસબાહ નામની આ યુવતી માટે એક બેડની વ્યવસ્થા કરવામાં આવી. તેની જોડે બીજી ટ્રેજેડી એ બની કે મિસબાહને હોસ્પિટલે દાખલ થયાના થોડા દિવસો બાદ જ કોરોના પોઝિટિવ આવતાં તેને SVP હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.
મહિલાનો ચમત્કારિક બચાવ
71 ટકા જેટલું શરીર દાઝી ગયું હોવાથી પરિજનો પણ ચિંતિત હતા. ડૉક્ટરે મિસબાહના પતિ ફૈઝલ ખારવાલાને કહ્યું કે, 71 ટકા શરીર દાઝી ગયું હોવાથી સ્કીન બેંકમાંથી ગ્રાફ્ટ મટિરિયલ્સ લાવવું પડશે ત્યારે બેલગામમાં 1370 કિમી દૂર કર્ણાટકમાં આવેલી સ્કીન બેંકમાં જઇ મિસબાહના પતિએ લૉકડાઉન દરમિયાન ગ્રાફ્ટ મટિરિયલ્સ લઇને પાછા અમદાવાદ ફર્યા. ડૉક્ટરોએ જણાવ્યું કે કોરોના પોઝિટિવ કોઇ દર્દી આટલી હદે દાઝી ગયો હોય તેવો આ ભારતમાં પહેલો કેસ બન્યો છે.
એકેય હોસ્પિટલ કેસ લેવા તૈયાર નહોતાં
એસવીપી હોસ્પિટલેથી રજા મળી ગયા બાદ મિસબાહે કહ્યું કે, "હું જમાલપુરથી આવી હોવાથી એકેય હોસ્પિટલ મારો કેસ લેવા નહોતા ઇચ્છતા. આખરે અમારા મતદાન ક્ષેત્રના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ એલજી હોસ્પિટલમાં એક બેડની વ્યવસ્થા કરાવી આપી."
સાજા થઇ ઘરે આવી ગયા મિસબાહ
જો કોરોનાથી સાજા ન થયા હોત તો તેના ઘાવ કોહવાઇ ગયા હોત. સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલના બે તબીબ ડૉ. વિજય ભાટીયા અને ડૉ અમીર પારીખે મિસબાહનો કેસ હાથમાં લીધો. મિસબાહ 14 મેના રોજ કોરોનાને માત આપવામાં સફળ રહી. કોરોના મટ્યાના તરત બાદ તબીબોએ ગ્રાફ્ટ પ્રોસીઝરની તૈયારી કરી. હવે મિસબાહ સાજી થઇ ઘરે આવી ગઇ છે.
શ્રાવણ માસના પહેલા દિવસે જ સોમનાથ મંદિરમાં ઉમટી ભીડ, પોલિસે ઉગામી લાઠી