અમદાવાદ: જાહેર સ્થળો પરથી હટાવાશે નોનવેજ-ઇન્ડાની લારીઓ, વહીવટી તંત્રએ આપ્યા આદેશ
રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હવે અમદાવાદ શહેરમાં આવતીકાલ મંગળવારથી શહેરના મુખ્ય માર્ગો, સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ
રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરમાં ઈંડા અને નોનવેજની લારીઓ ઉભી રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. હવે અમદાવાદ શહેરમાં આવતીકાલ મંગળવારથી શહેરના મુખ્ય માર્ગો, સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓને હટાવવા માટે ડ્રાઇવ શરૂ કરવામા આવશે.
ટાઉન પ્લાનિંગ કમિટિના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરના મુખ્ય માર્ગો પર જે નોનવેજ અને ઇંડાની લારીઓ ઉભી રહે છે તેને દૂર કરવાના આદેશ આપી દેવાયા છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ થઈ ચૂક્યો છે અને ગુજરાત હાઈકોર્ટની પણ ગાઈડલાઇન છે કે સ્કૂલ, કોલેજો, ધાર્મિક સ્થાનો, લગ્ન હોલ, કોર્પોરેશન હોલ, ગાર્ડન સહિતની જગ્યાઓના 100 મીટરમાં આવી લારીઓ ઉભી રાખી શકાય નહીં. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના દરેક વિસ્તારમાં અને સાતેય ઝોનમાં આ કાર્યવાહી કરવામાં આવશે.
દેવાંગ દાણીએ વધુમાં જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહિના પહેલા શહેરમાં ધાર્મિક સ્થાનોની આસપાસ ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય જેથી તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેને વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ શહેરમાં હવે દરેક વિસ્તારમાં જાહેરમાં ઈંડા-નોનવેજની લારીઓથી માંડી અને ફૂડ સ્ટોલ ઉભા થઇ ગયા છે. સાંજે મોટાભાગના વિસ્તારોમાં ઇંડાની લારીઓની લાઈનો લાગે છે. જેમાં લારીમાં ખુલ્લેઆમ ચિકન, મટન, માસ અને મચ્છી તળેલી મુકવામાં આવે છે. સાંજે રોડ પરથી પસાર થતા ઘણા લોકોને નાક બંધ કરવું પડે તેવી ગંધ આવતી હોય છે. અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં જાહેરમાં લારીઓ પર નોનવેજ ખુલ્લામાં વેચાતું હોય છે છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ આ મામલે કાર્યવાહી કરતા નથી. જેથી હવે એસ્ટેટ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાશે.
દેવાંગ દાણીએ અંતમાં જણાવ્યું કે શહેરના ચાંદખેડા વાળીનાથ ચોકમાં જાહેરમાં 5થી7 લારીઓ, પૂર્વ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર ઓઢવ-નિકોલથી નરોડા તરફ જતા રોડ પર અનેક ઈંડા અને નોનવેજના ફૂડ સ્ટોલ અને રેસ્ટોરન્ટ ઉભી થઇ ગઇ છે. બાપુનગર, ગોમતીપુર, જમાલપુર, નરોડા, મેઘાણીનગર, ગોતા, થલતેજ, વસ્ત્રાપુર તળાવ વગેરે જગ્યાએ ઈંડા અને નોનવેજની જાહેરમાં લારીઓ ઉભી રહે છે.