Sparsh Mohotsav : સ્પર્શ મહોત્સવમાં CM ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રહ્યા ઉપસ્થિત
Sparsh Mohotsav : સ્પર્શ મહોત્સવમાં પોતાના સંબોધનમાં CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભૌતિકતાનો સદુપયોગ કેવી રીતે થાય તે માટે આચાર્ય શ્રી વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે.
Sparsh Mohotsav : અમદાવાદમાં આયોજિત 'સ્પર્શ મહોત્સવ'માં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હાજરી આપી હતી. જે દરમિયાન તેમને પોતાના સંબોધનમાં જણાવ્યું કે, અમદાવાદના આંગણે પદ્મભૂષણ આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વરજી મહારાજના 400મા પુસ્તકના વિમોચન પ્રસંગે આયોજિત સ્પર્શ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો, તે મારા માટે સૌભાગ્યની વાત છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે ખરા અર્થમાં આ સમય અમૃતકાળ બને તે માટે મહારાજ સાહેબના પુસ્તકો ઉપયોગી બનશે. સદવાંચનનું મહત્વ સમજાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે સૌ ભૌતિકતા તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે ભૌતિકતાનો સદુપયોગ કેવી રીતે થાય, તે માટે આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વર મહારાજ સાહેબના પુસ્તકો ખૂબ ઉપયોગી બનશે.
ઉલ્લેનખનીય છે કે, 22 જાન્યુઆરી સુધી અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે સ્પર્શ મહોત્સવ ચાલશે. અત્યાર સુધીમાં 400 પુસ્તકો અને પ્રવચનો થકી સમાજમાં આગવી ઓળખ બનાવનારા આચાર્ય વિજયરત્ન સુંદર સુરીશ્વરજીની જ્ઞાનવાણીનો લ્હાવો મેળવવા આ મહોત્સવમાં હજારો મુલાકાતીઓ આવશે. સાથોસાથ અહીં પ્રતિદિન અનેક સામાજિક-આધ્યાત્મિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. આ ઉપક્રમે સમગ્ર દેશમાંથી 250 જેટલી ગૌશાળાને 5 કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે.
સ્પર્શ મહોત્સવમાં સેવાની ભાવનાને બિરદાવતા મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, જીવનમાં આગળ વધવા માટે સદકાર્યો અને ધર્મકાર્યો કરવા માટે અધ્યાત્માનો સ્પર્શ ખૂબ જરૂરી છે. જીવનમાં ગમે તેટલી ઝડપે ગતિ કરીએ પણ સાચી દિશા જાળવવા માટે સાધુ ભગવંતોની વાણીનો સ્પર્શ જાળવી રાખીવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાનામાં નાના અને છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયાસમાં સમગ્ર સરકારને સાધુ ભગવંતોના આશીર્વાદની મળશે, તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રીએ સંબોધન કરતા જણાવ્યું કે, આવા મહોત્સવમાં પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સમાજને સંસ્કારીત કરવાનું કામ થઈ રહ્યું છે. પરિવહન મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારત તથા 5 ટ્રીલિયનની ઈકોનોમી બનાવવાનું લક્ષ્ય છે. ત્યારે સમાજ અને દેશનિર્માણ માટે વિઝનની સાથોસાથ સંસ્કાર પણ જરૂરી છે. જે સ્પર્શ જેવા મહોત્સવો થકી થાય છે.
સ્પર્શ મહોત્સવમાં ભારતીય ઉત્સવ પરંપરાનો મહિમા જણાવતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સમાજને જીવન જીવવાની નવી દ્રષ્ટિ પ્રદાન કરવાના હેતુ સાથે ભારતમાં પ્રાચીનકાળથી ઉત્સવોની પરંપરા છે. આજે મહોત્સવો દ્વારા પ્રાચીન પરંપરા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી સમાજનિર્માણનું કામ થઈ રહ્યું છે, જે પ્રશંસાને પાત્ર છે. સંસ્કૃત ઉક્તિનો ઉલ્લેખ કરીને નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, તમે કોઈને આંખોનું દાન કરી શકો પણ દ્રષ્ટિ (વિઝન) ન આપી શકાય. સમાજ નિર્માણની દીર્ઘદ્રષ્ટિ અધ્યાત્મ દ્વારા જ મળે છે.
સ્વામી વિવેકાનંદના સુપ્રસિદ્ધ વચનને ટાંકતા ગડકરીએ જણાવ્યું હતું કે, જેમ આકાશમાંથી વરસતું પાણી, નદીઓના માધ્યમ થકી સમુદ્રને મળે છે, તેમ આપણું અધ્યાત્મ સાધના-ભક્તિના વિવિધ માર્ગો થકી આપણને ભગવાન પાસે પહોંચાડે છે. મૂલ્યનિષ્ઠ સમાજની રચના એ આપણી સંસ્કૃતિના પાયામાં છે. ભગવાનના અવતારો, સંતો, શાસ્ત્રો આ તમામ દ્વારા અત્યાર સુધી જીવન નિર્માણનો પ્રયાસ થતો આવ્યો છે. અને એ જ દિશામાં પ્રયાસરત સરકારને ગરીબ, શોષિત, પીડિતની સેવા કરવાની હિંમત મળે અને સૌનું જીવન ઉન્નત બને તેવી શુભપ્રાર્થના અંતે તેમણે કરી હતી.
ઉલ્લેખનીય છે કે, પદ્મભૂષણ આચાર્ય વિજયરત્ન સુંદર સૂરીશ્વરના 400મા પુસ્તકનું ભવ્ય શોભાયાત્રા બાદ વિમોચન થવાનું છે. ત્યારે આજે આયોજિત સમારોહમાં એલિસ બ્રિજ વિસ્તારના ધારાસભ્ય અમિત શાહ અને અન્ય આમંત્રિત મહેમાનો તેમજ જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.