Coronavirus: કોરોના કેસમાં વધારાને કારણે અમદાવાદમાં બસ સેવા, ઝુ, લેક, બગીચાઓ બંધ કરવાનો આદેશ
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS) બસ સેવા અને અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ ગુરુવારથી આવતો આદેશ ન મળે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલા સતત વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS) બસ સેવા અને અમદાવાદ બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (BRTS)ગુરુવારથી આવતો આદેશ ન મળે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં 17 માર્ચના રોજ કોરોનાના દૈનિક કેસો 1000નો આંકડો પાર કરી ગયા છે જે છેલ્લા 3 મહિનામાં પહેલી વાર બન્યુ છે. મોટાભાગના સ્થળોએ કોરોના કેસમાં વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આઠ વૉર્ડમાં 15 માર્ચથી આગલા આદેશ ન મળે ત્યાં સુધી ખાણીપીણી, રેસ્ટોરાં અને મૉલ્સ 10 વાગ્યા પછી બંધ કરવાનો આદેશ આપી દીધો છે.
કોરોના વાયરસના કેસોમાં થઈ રહેલા સતત વધારાને કારણે ગુજરાત સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યુ લગાવી દીધો છે. 31 માર્ચ સુધી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. અમદાવાદ મ્યુનિસિપાલ કૉર્પોરેશને તેના આદેશમાં વધુમાં જણાવ્યુ કે, 'આઠ વૉર્ડમાં કોરોના કેસમાં વધારો થવાથી રેસ્ટોરાં, મૉલ્સ, શો-રૂમ, ચાની કિટલીઓ, નમકીન સ્ટોર્સ, કપડાની દુકાનો, પાન પાર્લર, હેર સલૂન, સ્પા, જીમ અને ક્લબ 10 વાગ્યા પછી બંધ કરી દેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.' વધુમાં તેમાં કહેવામાં આવ્યુ છે કે કોરોના કેસમાં વધારો થતા સાવચેતીના પગલાં રૂપે અમદાવાદના કાંકરિયા તળાવ અને ઝુ સહિત બધા બાગ-બગીચાઓ આજથી વધુ આદેશ ન મળે ત્યાં સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. લેટેસ્ટ ડેટા મુજબ અમદાવાદમાં કોરોનાના કારણે મોતની સંખ્યા 2,269 સુધી પહોંચી ગઈ છે. જ્યારે 58,043 લોકો કોરોનાથી રિકવર થઈ ગયા છે. અમદાવાદમાં કોવિડ-19 રિકવરી રેટ 95.3 ટકા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના વધારા કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે અમુક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજી હતી. આ બેઠક બાદ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દૈનિક ટેસ્ટીંગ અને રસીકરણની સંખ્યામાં વધારો કરવા માટે નિર્દેશ આપ્યા હતા અને રાજ્યમાં મહામારીની સ્થિતિ રિવ્યુ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. મુખ્યમંત્રી રૂપાણી હાઈ-લેવલ પેનલનુ નેતૃત્વ કરશે. મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલ રિલીઝમાં કહેવામાં આવ્યુ છે કે ટ્રેસિંગ કૉન્ટેક્ટ કરવા અને જ્યાં પણ જરૂરી હોય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન વધારવા પર વધુ ફોકસ કરવામાં આવશે. રિલીઝમાં વધુમાં જણાવવામાં આવ્યુ કે, 'રાજ્યના ચાર મેટ્રો સિટીમાં કોરોના સંક્રમણમાં વધારાને જોતા સંક્રમણને અંકુશમાં લાવવા અને સારવારના પગલાં લેવા સ્થાનિક સંસ્થાઓને માર્ગદર્શન આપવા માટે આ શહેરોની જવાબદારી ચાર સીનિયર ઓફિસરોને તાત્કાલિક ધોરણે આપવામાં આવી છે.'
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવ, IMDએ આપ્યુ યલો એલર્ટ