અમદાવાદની હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓનો ધસારો ઘટ્યોઃ સીનિયર ડૉક્ટર
શહેરની હોસ્પિટલના એક સીનિયર ડૉક્ટરે જણાવ્યુ કે અમદાવાદની હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓનો ધસારો ઘટ્યો છે
અમદાવાદઃ શહેરની હોસ્પિટલના એક સીનિયર ડૉક્ટરે જણાવ્યુ કે અમદાવાદની હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓનો ધસારો ઘટ્યો છે અને નોંધવામાં આવ્યુ છે કે દર્દીઓ માટે એડમિશનની પ્રક્રિયા પણ ઝડપી બની છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ. જે વી મોદીએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યુ કે, '13 એપ્રિલથી 6 મે દરમિયાન હોસ્પિટલની આગળ એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળતી હતી. હોસ્પિટલની બહાર 56 દર્દીઓ એમ્બ્યુલન્સની લાઈનમાં રહેતા અને તેમની ત્યાં જ સારવાર ચાલુ કરી દેવામાં આવતી. પરંતુ હવે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની કોઈ લાઈન નથી. જો કોઈ દર્દી હવે આવો તે, અમે તાત્કાલિક તેને દાખલ કરીએ છીએ. અમારા 20 ટકા ઑક્સિજન બેડ ખાલી છે.

તેમણે વધુમાં ઉમેર્યુ કે, 'છેલ્લા ત્રણ-ચાર દિવસમાં કોવિડ એડમિશનમાં 20-25 ટકાનો ઘટાડો થયો છે. ગઈકાલે હોસ્પિટલના મેડિસીટી કેમ્પસમાં આશરે 245 દર્દીઓ દાખલ થયા. 2 મેના રોજ 400 દર્દીઓ દાખલ થયા હતા.'
ચિંતન લોઢા નામના એક સામાજિક કાર્યકર કે જેઓ છેલ્લા છ દિવસોથી સ્મશાનની મુલાકાત લઈ રહ્યા છે તેમણે જણાવ્યુ કે અંતિમ સંસ્કાર માટે આવતા મૃતદેહોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે વધુમાં જણાવ્યુ કે, 'આ પહેલા સ્મશાનની બહાર અંતિમ સંસ્કાર માટે લાઈનો રહેતી હતી. પહેલાના 45-50 મૃતદેહોની સામે અત્યારે 20 કે તેનાથી ઓછા મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે. આ સ્થિતિ સારી થવાનુ ચાલુ રહેવુ જોઈએ.'
તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા 10,990 દર્દી જ્યારે અમદાવાદમાં 3127 નવા દર્દી નોંધવામાં આવ્યા છે. અમદાવાદમાં 6733 અને ગુજરાતમાં 15198 દર્દી રિકવર થયા. જ્યારે મૃત્યુઆંક ગુજરાતમાં 118 અને અમદાવાદમાં 18 છે. ત્યારબાદ કોરોનાના કુલ દર્દી ગુજરાતમાં 7,03,594 અને અમદાવાદમાં 2,10,265 થઈ ગયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ગુજરાતમાં 8629 અને અમદાવાદમાં 3146 છે.












Click it and Unblock the Notifications
