ગુજરાત સરકારે ચહેરો નહીં, પોતાનું કેરેક્ટર બદલવાની જરૂર : કોંગ્રેસ
રાજ્ય સરકારે પરીક્ષણના આંકડા અને બાદમાં મૃત્યુના આંકડા છૂપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવતા ગુજરાત હાઇકોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો, અમિત ચાવડાએ કહ્યું હતું કે, ઘમંડી ભાજપ સરકારે કોઈનું સાંભળ્યું નહીં.
અમદાવાદ : ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે સોમવારના રોજ શપથ લીધા હતા, ગુજરાત કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર નિશાન સાધતા કહ્યું કે, રાજ્ય સરકારે પોતાના "ચહેરા" ને બદલે "કેરેક્ટર" બદલવાની જરૂર છે.
સોમવારના રોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવનમાં પત્રકાર પરિષદમાં બોલતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, શનિવારના રોજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસેથી માંગવામાં આવેલ રાજીનામું કોરોના કાળ દરમિયાન ગુજરાત સરકારની ગુનાહિત બેદરકારી અને બિનકાર્યક્ષમતા સાબિત કરે છે.
"કોવિડ રોગચાળા દરમિયાન ગુજરાતના 6.5 કરોડ લોકો ભાજપના નેતૃત્વવાળી રાજ્ય અને કેન્દ્ર સરકારોની બિનકાર્યક્ષમતા અને ગુનાહિત બેદરકારીનો ભોગ બન્યા હતા. એક પણ કુટુંબ એવું નથી કે, જેણે કોઈ પ્રિયજન ગુમાવ્યું ન હોય. આ સરકારની નિષ્ફળતાના પુરાવા તરીકે વિજય રૂપાણીને રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું હતું. સરકારની બેદરકારીના પરિણામે કોરોનાની બીજી લહેર દરમિયાન પીડાદાયક મૃત્યુ પામેલા લોકો માટે ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને દવાઓની અછત સર્જાઇ હતી.
રાજ્ય સરકારે પરીક્ષણના આંકડા અને બાદમાં મૃત્યુના આંકડા છૂપાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવતા ગુજરાત હાઇકોર્ટે હસ્તક્ષેપ કર્યો હતો, અમિત ચાવડાએ કહ્યું હતું કે, ઘમંડી ભાજપ સરકારે કોઈનું સાંભળ્યું નહીં, જેના કારણે લગભગ 3 લાખ લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના રોગચાળા દરમિયાન આજે પણ સરકાર કહી રહી છે કે, માત્ર 10,000 લોકોના મોત થયા છે.
મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા સાથે તે સ્પષ્ટ થઈ ગયું છે કે, લગભગ 3 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા, જે એક સંસ્થાકીય હત્યા હતી. સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે, તેના જ કારણે ભાજપ સરકારને ચહેરો બદલવાની ફરજ પડી છે.
છેલ્લા 45 દિવસમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા 22,000 લોકોના પરિવારજનોને વ્યક્તિગત રીતે મળ્યા છે અને વિગતો એકત્ર કરી છે, તેવો દાવો કરતા કોંગ્રેસી નેતાઓએ જણાવ્યું કે, આ તમામે 4 લાખ રૂપિયાનું વળતર મેળવવા અરજી કરી છે.
અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, જેમાંથી 4,600 પરિવારો સૌરાષ્ટ્રના, 5,750 ઉત્તર ગુજરાતના, 3,500 મધ્ય ગુજરાતના અને 8,300 દક્ષિણ ગુજરાતના લોકોનો સમાવેશ થાય છે. આ રિમોટ કંટ્રોલવાળી સરકાર કામ કરશે નહીં. ભાજપ વિચારે છે કે, તે મુખ્યમંત્રીનો ચહેરો બદલીને પોતાના લોહીથી ખરડાયેલા હાથ ધોવા માંગે છે, પરંતુ આવું થઇ શકે નહીં. ભાજપે ચહેરો નહીં પરંતુ કેરેક્ટર બદલવાની જરૂર છે.