જિગ્નેશ મેવાણીની મોડી રાતે પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ, આસામ લઈ ગયા, કોંગ્રેસનુ આજે વિરોધ પ્રદર્શન
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલિસે ધરપકડ કરી છે.
અમદાવાદઃ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની આસામ પોલિસે ધરપકડ કરી છે. જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગે ધરપકડ કરવામાં આવી હતી. આસામમાં જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા છે. જો કે પોલિસે હજુ સુધી FIRની કૉપી આપી નથી તેથી કયા કેસમાં મેવાણીની ધરપકડ કરાઈ એ જાણી શકાયુ નથી. જિજ્ઞેશને પાલનપુર પોલિસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને રોડ મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતી. અહીંથી તેમને મોડી રાતે પ્લેનમાં આસામ લઈ જવામાં આવ્યા.
સૂત્રોના જણાવ્યા મુજબ જિજ્ઞેશ મેવાણીએ કરેલા ટ્વિટ મામલે ધરપકડ કરાઈ હોવાનુ જણાવાયુ છે. જિજ્ઞેશ મેવાણીની ધરપકડ થયાના સમાચાર ફેલાતા જ મેવાણીના સમર્થકોએ હોબાળો મચાવ્યો હતો. જિજ્ઞેશ મેવાણીના વકીલના જણાવ્યા મુજબ જિજ્ઞેશ મેવાણીએ કરેલા એક ટ્વિટ મામલે અરજી થઈ હતી અને આ અરજી બાદ ફરિયાદ થઈ છે. તેમના ટ્વિના લીધે ગુજરાતમાં વાતાવરણ ડહોળાયુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
જિજ્ઞેશ મેવાણીની ધરપકડના સમાચાર મળતા જ તેમના સમર્થનમાં મધરાતે એરપોર્ટ પર સમર્થકો ઉપરાંત કોંગ્રેસ નેતાઓ પણ પહોંચી ગયા હતા. એરપોર્ટ પર પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સહિત ધારાસભ્યો પહોંચ્યા હતા. જેમાં સી.જે.ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને તેમના સમર્થકો સહિતના લોકો એરપોર્ટ પર પહોંચી ગયા હતા. આ ઉપરાંત શહેર કોંગ્રેસના નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ સમર્થકો પણ એરપોર્ટ પહોંચ્યા હતા અને જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં અને આસામ પોલિસ વિરુદ્ધ નારેબાજી કરી હતી.
આસામ પોલીસે MLA જિજ્ઞેશ મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી ધરપકડ કરી, અડધી રાત્રે એરપોર્ટ મારફતે આસામ લઈ ગયા છે. મધરાતે 3.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ ખાતે મુલાકાત કરી. લડાયક યુવાનો ભાજપ ની સરકાર સામે પ્રજાનો અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું. pic.twitter.com/pHXrYxussh
— Jagdish Thakor (@jagdishthakormp) April 20, 2022
જિજ્ઞેશ મેવાણીની અટકાયત મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે જીજ્ઞેશે આરએસએસ પર ટ્વિટ કર્યુ હતુ તેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે. જે ધારાસભ્ય પૈસાથી ના માને તે ધારાસભ્યને ખોટી ફરિયાદમાં ડરાવવાનો આ પ્રયત્ન છે. જિજ્ઞેશ કે કોંગ્રેસ આવી ફરિયાદથી ડરવાના નથી. અમારી લીગલ ટીમ લડત આપશે અને જિજ્ઞેશને છોડાવશે. આવનારા સમયમાં ભાજપના ભૂકા કાઢી નાખશે.
જિજ્ઞેશ મેવાણીના વકીલે જણાવ્યુ હતુ કે સીઆરપીસી એક્ટ 80નો ભંગ કરીને અટકાયત કરાઈ છે. ધારાસભ્યની અટકાયત પહેલા અધ્યક્ષની મંજૂરી લીધી હોવાની અમને જાણ કરાઈ નથી. સામાન્ય માણસની પણ આવી રીતે અટકાયત ના થાય. કયા કારણોસરલ ધરપકડ કરાઈ તેની માહિતી પણ અપાઈ નથી. જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ હતુ કે આસામ પોલિસે કયા મુદ્દે તેમની ધરપકડ કરી એ જણાવ્યુ નથી, એફઆઈઆરની કૉપી પણ આપી નથી. કોઈ ટ્વિટ બાબતે ધરપકડ કરાઈ છે એવુ કહેવાયુ છે પરંતુ કોઈ સચોટ માહિતી આપવામાં આવી નથી. હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. મારી લડત ચાલુ રાખીશ.
@TwitterIndia has withheld my last two tweets.
— Jignesh Mevani (@jigneshmevani80) April 20, 2022
One tweet talks about RSS not hoisting the tricolour for centuries. This is a historical truth & the other is about Modi ji's belief in Godse's ideology.
I challenge the BJP to prove any of these facts wrong. @Twitter pic.twitter.com/yJ2VQ4wqgm
મધરાતે આસામ પોલિસ દ્વારા વર્તમાન ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ધરપકડના વિરોધમાં આજે અમદાવાદ શહેર કોંગ્રેસ પક્ષના આગેવાનો વિરોધ પ્રદર્શન કરશે. અમદાવાદમાં સારંગપુર ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બપોરે 12 વાગે બધા એકઠા થશે અને લોકશાહી બચાવો દેશ બચાવોના સ્લોગન હેઠળ ધરણા કરશે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર ઉપસ્થિત રહેશે.