અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને ગ્રીન શીપ રિસાઇકલ યાર્ડ તરીકે વિકસાવાશે
અલંગ શીપ બ્રેકિંગ યાર્ડને ગ્રીન શીપ રિસાઇકલ યાર્ડ તરીકે વિકસાવાશે
પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તેમજ સ્થાનિક લોકોની રોજગારીમાં વૃદ્ધિ થાય તે માટે જુદી જુદી ત્રણ દિવાદાંડીને પ્રવાસન સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. તેમજ ભારત સરકાર દ્વારા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડના વિકાસ માટે ફંડ અને ગુજરાતની ત્રણ દીવાદાંડીને પ્રવાસન તરીકે વિકસાવવા કેન્દ્ર સરકાર ભંડોળ પુરુ પાડશે.

અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ઇકો ફ્રેન્ડલી બનાવાશે
આ અંગે કેન્દ્રિય પ્રધાન મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ૨૧૫ કરોડના ખર્ચે ગુજરાતમાં અલંગના વિકાસ માટે અને તેના શીપ બ્રેકીંગ પ્લોટમાં આધુનિક સિસ્ટમ વિકસાવવા માટે ફંડ આપવામાં આવ્યું છે. અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડને ફાળવવામાં આવેલ ફંડના ઉપયોગથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ તથા અલંગ શીપ રીસાયકલીંગ યાર્ડ એસોસીએશન દ્વારા અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના વિકાસ માટે અલગ અલગ પ્રવૃતિઓ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા દેશભરના ૭,૦૦૦ કી.મીના દરિયાકિનારાને સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ટુરીઝમ અંતગર્ત વિકસિત કરવામાં આવી રહ્યો છે. અલંગ શીપ રિસાયકલિંગ યાર્ડ ઇકો ફ્રેન્ડલી રિસાયકલિંગ યાર્ડ બને તે માટે સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. આગામી સમયમાં નેવીના શીપનું પણ રિસાયકલિંગ થાય તે માટે સુવિધા ઉભી કરવાનું આયોજન કેન્દ્ર સરકાર કરી રહી છે.

ત્રણ દિવાદાંડી સ્થળો પ્રવાસન ધામ તરીકે વિકસાવાશે
પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તે માટે ત્રણ દિવાદાંડીને પણ પ્રવાસન હેતુ માટે વિકસાવવામાં આવી શકે છે. ગુજરાતના દ્વારકાની ૪૩ મીટર ઉંચી દીવાદાંડી, વેરાવળની ૩૦ મીટર ઉંચી દીવાદાંડી અને ગોપનાથની ૪૦ મીટર ઉંચી દીવાદાંડીને આ પ્રોજકેટમાં ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકસાવવામાં આવશે જેમાં અલંગનો પણ સમાવેશ કરવામાં આવશે. જ્યાં ટાવર ઉભો કરી લોકો ત્યાંથી અલંગ શિપયાર્ડ અને દરિયાને પણ જોઈ શકશે. જે દિવાદાંડી મરીન નેવિગેશન માટે મદદરૂપ થવાની સાથે સાથે ટૂરિઝ્મ સ્થળ તરીકે પણ વિકસાવી શકાશે.

પરપ્રાંતિયો માટે આવાસનું નિર્માણ કરાશે
આ ઉપરાંત તાજેતરમાં પરપ્રાંતિય મજૂરો સાથેના સંઘર્ષ બાદ પરિસ્થિતિ વિકટ બનતાં તેના નિવારણ માટે સરકારે પ્રયાસ કર્યો છે. અલંગમાં સરકાર દ્વારા ત્યાં કામ કરતાં પરપ્રાંતીય મજૂરોને રહેવા માટે ૧,૦૦૦ જેટલા હાઉસિંગ તૈયાર કરવામાં આવ્યા છે અને કુલ ૧૦,૦૦૦ જેટલા હાઉસ તૈયાર કરવામાં આવશે અને આ ઉપરાંત શીપ બ્રેકીંગના પ્લોટ માલિકો દ્વારા પણ કેમ્પસમાં હાઉસિંગની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ રીતે તેમને રહેવા માટે આવાસ મેળવવા કોઇ મુશ્કેલી ન પડે તે ધ્યાન રાખવામાં આવશે. અલંગ શિપયાર્ડમાં હાલ ૧૦૯ જેટલા શીપ બ્રેકિંગ પ્લોટ છે. આ શીપ બ્રેકિંગ યાર્ડમાં વર્ષ ૩૫૦ જેટલા શીપ તોડવાની કામગીરી કરવામાં આવે છે. અલંગ એશિયાનું સૌથી મોટું શીપ બ્રેકીંગ યાર્ડ છે. અત્યાર સુધી અલંગમાં યુદ્ધના જહાજો બ્રેકીંગ માટે આવતા ન હતા હવેથી એ અલંગમાં આવશે અને અહિયાં અલંગ શીપ યાર્ડનો વધુ વિકાસ થશે અને મજૂરોને રહેવા માટે પણ મકાન મળશે. અલંગને એશિયાનો જહાજનો સૌથી મોટો ભંગારવાડો ગણવામાં આવે છે. જેમાં સુવિધાઓને મોડર્ન કરીને તેમાં ઇન્ટરનેશનલ ડીફેન્સના શીપ પણ બ્રેક કરવામાં આવે છે.

પ્રવાસીઓ-કામદારો માટે વિવિધ સુવિધા વિકસાવાશે
દિવાદાંડીના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સાથે સાથે ત્યાં પ્રવાસીઓને આકર્ષવા માટે વિવિધ સુવિધા ઉભી કરવામાં આવશે. જેમાં, આ દીવાદાંડી- લાઈટ હાઉસમાં વિઝીટર રૂમ, કિઓસ્ક, મેરીટાઈમ અને સ્થાનિક ઈતિહાસ દર્શાવતું એલઇડી, ફાઉન્ટેન , દરિયાકાંઠે વોક-વે, ટોઇલેટ બ્લોક અને સીટીંગ જેવી સુવિધા ઉભી કરવામાં આવશે. તો અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ માટે બાઉન્ડ્રી વૉલ, સર્વિસ રોડ, ગટર લાઇન, નાઇટ વિઝન ડિઝિટલ સિક્યોરિટી કેમેરા વિકસાવવામાં આવશે. અકસ્માતે મૃત્યુ પામનાર કામદારોને 5 લાખ સુધીની સહાય તેમજ કાયમી અપંગતામાં અઢી લાખ સુધીની સહાય અને લેબર હાઉસિંગ કોલોની, મજૂરો માટે તાલિમ મોડ્યુલ આધુનિકીકરણ અને કામદાર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
