સરકારી પૈસે તાયફા કરનારી ભાજપ કુપોષણ દુર કરવા ખર્ચ કરેઃ કોંગ્રેસ
ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારના કાર્યક્રમોને સરકારી તિજોરીમાંથી થતાં તાયફા ગણાવ્યા છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા સરકારના કાર્યક્રમોને સરકારી તિજોરીમાંથી થતાં તાયફા ગણાવ્યા છે. કરોડો રૂપિયાની જાહેરાત અને સ્વપ્રસિધ્ધી માટે રાજ્યમાં એલ.ઈ.ડી. રથ અને કાર્યક્રમો પાછળ સરકારી તિજોરીના અબજો રૂપિયા વેડફાટ કરનાર ભાજપ સરકાર આ નાણાં કુપોષિત બાળકોને સ્વસ્થ કરવા વાપર્યા હોત તો ગુજરાત સાચા અર્થમાં સ્વસ્થ ગુજરાત બની શક્યુ હોત. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, કુપોષણથી પીડાતા ભુલકાઓમાં દેશના ૧૦૦ જીલ્લાઓમાં ગુજરાતના ૧૪ જીલ્લા સામેલ છે, જાહેરાતોમાં વ્યસ્ત ભાજપ સરકાર કૃપોષણની સમસ્યાને ઘટાડવામાં નિષ્ફળ રહી છે. અતિશય દુબળા ૧.૪૯ લાખ બાળકો સાથે સુરત દેશમાં ત્રીજા ક્રમે, લંબાઈના પ્રમાણમાં દુબળા હોય તેવા ગુજરાતના ૩૨ જીલ્લામાંથી ૧૪ જીલ્લાનો સમાવેશ થાય છે. સુરતમાં ૧.૪૯ લાખ બાળકો દુબળા, અમદાવાદમાં ૨.૨૦ લાખ બાળકો નબળા અને દાહોદમાં સૌથી વધુ ૧.૮૨ લાખ બાળકો ઠીંગણા સામે આવ્યા છે. સમગ્ર દેશમાં કુપોષણના લીધે ઠિંગણાપણું, નબળાઈ, અને ઓછા વજનની ટકાવારીમાં ગુજરાત મોખરે હોવાનું તાજેતરના નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-૫ અને નીતિ આયોગના અહેવાલમાં આવેલા ચોકાવનારા આંકડા ગુજરાત માટે ચિંતાજનક છે.

ગરીબ - શ્રમિક - સામાન્ય વર્ગના લાખો બાળકોને હક્કના પોષણક્ષમ ભોજનથી વંચિત રાખવા બીજી બાજુ તેમના મળતીયાઓને સતત તંદુરસ્ત કરવાની ભાજપ સરકારની નિતિ ને લીધે ગુજરાતમાં કુપોષણની સમસ્યામાં સતત વધી રહી છે.
રાજ્યમાં ૨૦૧૮ના વર્ષમાં ૧.૧૧ લાખ બાળકો કુપોષિત હતા, ૨૦૧૯ના વર્ષમાં ૧.૪૨ લાખ બાળકો કુપોષિત હતા. જ્યારે, ૨૦૨૦માં માત્ર છ મહિનામાં કુપોષિત બાળકોની સંખ્યા ૩.૮૬ લાખ થવા પામી હતી. જે ગુજરાત સરકારની કુપોષણ સામે લડવા માટે કેટલી ગંભીર છે તે ઉજાગર કરે છે. હવે કોરોના કાળ બાદ આ સંખ્યા કેટલી થશે તે ગુજરાત માટે ચિંતાનો વિષય છે. રાજ્યની ૪૨ હજાર આંગણવાડીમાં સંજીવની દૂધ યોજના પણ લાંબા સમયથી બંધ છે. અંબાજી થી ઉમરગામ આદિવાસી વિસ્તારના બાળકો માટેની 'દૂધ સંજીવની યોજના’ સદંતર બંધ હતી. મોટી-મોટી જાહેરાતો કરનાર ભાજપ સરકારે આદિવાસી બાળકોના મોંમાથી દૂધ-છીનવી લીધું. કોરોના મહામારીમાં સૌથી વધુ જેની જરૂર હતી તે જ યોજના બંધ કરી હતી, આદિવાસી હજારો બાળકોને કોરોના મહામારી સામે લડવામાં ભાજપ સરકારે હાથ ખંખેરી લીધા છે.
ગુજરાત સરકાર સુપ્રિમકોર્ટના આદેશ છતાં ૨૦૧૨ પછી ગરીબી રેખા નીચેના કુટુંબોનો સર્વે કર્યો નથી. ગુજરાતમાં ૫૪ ટકા કરતા વધુ નાગરિકો એટલે કે ૩.૭૦ કરોડ જેટલા નાગરિકો ગરીબી રેખા નીચે જીવન જીવવા મજબુર છે.
કોંગ્રેસના શાસન દરમિયાન ગુજરાતથી શરૂ થયેલી મીડ ડે મીલ યોજનામાં ગરીબ – સામાન્ય વર્ગના બાળકોને સરકાર શિક્ષણ અને મધ્યાહન ભોજનથી વંચિત રાખવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ત્યારે, કરોડો રૂપિયાના ખર્ચે તાયફા કરનારી ભાજપ સરકાર રાજ્યમાં ગરીબી અને કુપોષણ દુર કરવા માટે યોગ્ય પગલાં ભરે અને સ્વસ્થ ગુજરાત, તંદુરસ્ત ગુજરાત બનાવવા કાર્ય કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે.












Click it and Unblock the Notifications
