23 જુલાઇ, 2014 : ગુજરાતના સમાચારોની હાઇલાઇટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને અપડેટ રહેવા માટે નીચે આપેલી સ્લાઇડર પર ક્લિક કરતા જાવ...

અમદાવાદમાં હિટ એન્ડ રનમાં સગર્ભાને કચડી
અમદાવાદ શહેરના દાણીલીમડા ઢોર બજાર પાસે સગીર યુવાને 22 જુલાઇની રાત્રે અંદાજે 2.30 કલાકે ફૂડ સ્પીડે કાર ચલાવી ફૂટપાથ નજીક સુતા કેટલાક લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં બે સ્થાનિકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘવાયા છે. ઘવાયેલાઓમાંથી એકની હાલત નાજુક છે. મૃત્યુ પામનારમાં એક પુરુષ ઉપરાંત એક સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. સગીર આરોપી દાણીલીમડાનો જ રહેવાસી છે. પોલીસે ગુનો નોંધી સગીરની ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

આસારામની જામીન અરજી અંગે હાઇકોર્ટની ગુજરાત સરકારને નોટિસ
સુરતની એક છોકરીના બળાત્કારના કેસમાં આસારામ બાપુએ રેગ્યૂલર જામીન માટે નોંધાવેલી અરજીના સંબંધમાં મંગળવારે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ મોકલી હતી. ઉપરાંત આગળની સુનાવણી માટે 21 ઓગસ્ટની તારીખ નક્કી કરી હતી. આસારામે એવો આરોપ મૂક્યો છે કે મલિન ઈરાદાઓ સાથે તેમની સામે બળાત્કારનો કેસ કરવામાં આવ્યો છે. બળાત્કારની ફરિયાદીએ 11 વર્ષ જેટલા લાંબા સમયગાળા બાદ તેમની સામે કેસ કર્યો છે તેથી એમાં મલિન ઈરાદા છે.

ટાટા સાથેના કરારની વિગતો મેજ પર મુકો : કોંગ્રેસ
ટાટા ગ્રુપના ચેરમેન સાયરસ મિસ્ત્રી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે થયેલી મુલાકાત બાદ આજની વિધાનસભા કાર્યવાહી દરમિયાન ગૃહમાં ટાટા નેનોનો મુદ્દો ઉછળ્યો હતો. વિપક્ષના નેતા શંકરસિંહ વાધેલાએ આ મુદ્દે સરકારને પ્રશ્ન પૂછ્યો હતો કે હાલ સાણંદ ખાતેના પ્લાન્ટમાં ઉત્પાદન બંધ છે ત્યારે રાજ્ય સરકાર શા માટે ટાટાને લોન આપે છે? આ સંદર્ભમાં ટાટા મોટર્સ કંપની અને સરકાર વચ્ચેના એગ્રીમેન્ટની વિગતો વિધાનસભા મેજ પર મુકવા કોંગ્રેસે માંગણી કરી હતી. જવાબમાં મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ એગ્રીમેન્ટ સરકાર અને કંપની વચ્ચેના કોન્ફિડેન્શીયલ ડોક્યુમેન્ટ હોવાથી તે ગૃહમાં રજુ કરી શકાય કે કેમ ? તેની ટેકનિકલ બાબત ચકાસ્યા બાદ નિર્ણય લેવાશે.

ગુજરાતમાં વરસાદનો વિરામ
ગુજરાતમાં મંગળવારે મોરબી, ગોંડલ, જૂનાગઢ, વિસાવદરમાં વરસાદના હળવા ઝાપટાં પડ્યા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘરાજાએ વિરામ લીધો છે. નોંધનીય છે કે રાજ્યમાં સિઝનનો હજુ માત્ર 19.29 ટકા જ વરસાદ થયો છે. એક તાલુકો એવો છે જ્યાં વરસાદનો છાંટોય પડ્યો નથી. જ્યારે 50 તાલુકામાં માત્ર એકથી દોઢ ઈંચ જેટલો જ વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતો, લોકો અને સરકારની ચિંતા વધી છે.

ગુજરાત યુનિવર્સિટીએ 20 કરોડનીગ્રાન્ટ ગુમાવી
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નિયમ મુજબ કોઇ પણ યુનિર્વસિટીએ પુરતી ગ્રાન્ટ મેળવવા માટે નેક-એક્રેડેશન મેળવવું ફરજીયાત છે. ગુજરાત યુનિવર્સિટીને મળેલી નેક-એક્રિડેશનની મુદત પુરી થયે બે વર્ષ કરતાં પણ વધુ સમય વિતી ચુક્યો છતાં હજી સુધી નેક-રિએક્રીડેશન મેળવવામાં આવ્યું નથી. જેના કારણે યુજીસી દ્વારા ગુજરાત યુનિર્વસિટીને મળતી ગ્રાન્ટમાંથી રૂપિયા 20 કરોડની રકમ અટકાવી દેવામાં આવી છે.

સેલ્ફ ફાઇનાન્સ વર્ગોનો વિરોધ
ગુજરાત યુનિર્વસિટીમાં સેનેટ સભ્યોની આગેવાનીમાં એનએસયુઆઈના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત યુનિર્વસિટી ખાતે ગુજરાત યુનિર્વસિટી સાથે સંલગ્ન બીએસસીની કોલેજમાં આપવામાં આવેલા સેલ્ફ ફાઈનાન્સ વર્ગો અને ગ્રાન્ટેડ બીએસસીની કોલેજમાં અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓની નિમણુંક કરતી નથી તેના લીધે સાયન્સ કોલેજોમાં સેલ્ફ ફાઈનાન્સ વર્ગોની મંજુરી આપી વિદ્યાર્થીઓને ફી વધારાનો ભોગ બનાવી રહી છે તે બાબતનો વિરોધ નોંધાવ્યો છે. 48 કલાકમાં નિરાકરણ નહીં આવે તો એનએસયુઆઇ ગુજરાત યુનિર્વસિટી તથા તેની સાથે સંલગ્ન બીએસસીની કોલેજોમાં હડતાલ તથા તાળા બંધીના કાર્યક્રમો અને ઉગ્ર આંદોલન યોજશે.

ડાંગના પ્રવાસન સ્થળોને 49 કરોડના ખર્ચે વિકસાવાશે
ગુજરાતના પ્રવાસન રાજ્ય પ્રધાન જયેશભાઈ રાદડીયાએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસીઓની સંખ્યા તથા પ્રવાસન વિકાસની શક્યતાને ધ્યાને લઈને પ્રવાસન સ્થળને વિકસાવવાની કામગીરી કરવામાં આવે છે; તે અંતર્ગત ડાંગ જિલ્લામાં નવ સ્થળોને રૂપિયા 49.20 કરોડના ખર્ચે વિકસાવાશે. ડાંગ જિલ્લામાં સાપુતારા, શબરીધામ, ગીરા ફોલ, વઘઈ, મહાલ, કિલાડ, પંપા સરોવર, અંજનીકુંડ અને ડોન જેવા નવ સ્થળોને વિકસાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
